આયુર્વેદ - વૈદ્ય મનુભાઈ ગૌદાની
અજમેરથી રઝિયાબહેને પોતાની કેસ હિસ્ટ્રી આપતાં જણાવ્યું કે, “મને છેલ્લા આઠેક મહિનાથી રોજ સાંજે જ તાવ ચડે છે. આખો દિવસ કંઈ જ નહીં. સાંજ પડે એટલે આખા શરીરમાં કળતર થાય અને તાવ આવે. એ વખતે પગની પિંડીઓ અને પીઠમાં ખૂબ જ કળતર થાય. માથું ભારે રહે, બગાસાં આવે તથા સુસ્તી રહે. બે-ત્રણ ડોક્ટરોની આ માટે આઠ મહિના ટ્રીટમેન્ટ લીધી. બધી તપાસ કરાવી. કંઈ જ નિદાન થતું નથી, તો શું કોઈ પણ કારણ વગર તાવ આવે ખરો? હવે તો મને લાગે છે કે આયુર્વેદથી જ મારો તાવ મટશે, એવી આશા અને શ્રદ્ધા સાથે તમારી પાસે આવી છું.”
રઝિયાબહેનની આટલી હકીકત સાંભળ્યા પછી મેં તેમને આહાર વિશે થોડી સામાન્ય સૂચનાઓ આપીને તેમને ૧૦ દિવસની દવામાં (૧) લઘુસુદર્શન ચૂર્ણનાં અને (૨) ત્રિભુવન ર્કીર્તિ રસનાં પડીકાં બાંધી આપ્યાં. આમાંથી એક-એક પડીકી લઘુસુદર્શન ચૂર્ણ સવારે, બપોરે અને રાત્રે પાણી સાથે લેવું અને એ જ પ્રમાણે ત્રિભુવનર્કીર્તિ રસની એક-એક ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી. આ પ્રમાણે દસ દિવસના ઉપચાર પછી ફરી મળવાની સલાહ આપી.
રઝિયાબહેન ૧૧મા દિવસે ફરી મળવા આવ્યાં ત્યારે મેં પૂછયું કે હવે તબિયત કેમ છે? રાત્રે તાવ આવે છે?
ના, તાવની અનુભૂતિ થતી નથી. તમારી દવાઓથી સાતમા દિવસે તાવ સાવ જતો રહ્યો છે. ત્યાર પછી તાવ આવ્યો નથી. ભૂખ સારી લાગે છે. કળતર પણ મટી છે.
જુઓ રઝિયાબહેન, તમને દવાઓથી ફાયદો છે. એટલે દવાઓમાં ફેરફાર કરતો નથી, પરંતુ જીર્ણજ્વર મટી ગયા પછી એકાદ મહિનો ચ્યવનપ્રાશ બે-બે ચમચી સવારે અને રાત્રે લેવો જોઈએ તથા જીર્ણજ્વર મટી ગયા પછી પણ બે અઠવાડિયાં તો દવાઓ લેવી જ જોઈએ. એમ કહીને અમે રઝિયાબહેનને બીજી ૧૫ દિવસની યથાવત્ દવાઓ આપી.
સોળમા દિવસે રઝિયાબહેન મળવા આવ્યાં ત્યારે તેમના મુખ પર સ્મિત હતું. સાથે તેમના પતિ મહંમદભાઈ પણ આવ્યા હતા. રઝિયાબહેનની નાડી તપાસતી વખતે રઝિયાબહેન બોલ્યા મારો જીર્ણજ્વર ગયો તે ગયો. એણે પાછું વળીને જોયું નથી. હવે તો મને ભૂખ પણ સારી લાગે છે. પંદર દિવસમાં બે કિલો વજન વધ્યું છે. મારે હવે આ દવાઓ અને તમે જણાવેલ કડક પરેજી કેટલા દિવસ ચાલુ રાખવાના છે.
વાચકોને ઉપયોગી થાય એ માટે જીર્ણજ્વરનાશક લઘુસુદર્શન ચૂર્ણ ઘરે બનાવવાની રીત જણાવું છું:
લીમડાની પુષ્ટ-દળદાર ગળો, લીંડીપીપર, ગંઠોડા, હરડે, શ્વેત ચંદન, કડવા લીમડાની અંતરછાલ, સૂંઠ અને લવિંગ. આ બધાં ઔષધો સરખા વજને લઈ તેને ખૂબ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી તેમાં તેના જેટલું જ કરિયાતાનું ચૂર્ણ મિશ્ર કરી બાટલી ભરી લેવી. આ થયું અમારા વૈદોનું માનીતું લઘુસુદર્શન ચૂર્ણ.
આ ચૂર્ણ જીર્ણજ્વરમાં તો ઉત્તમ ફાયદો આપે જ છે, પરંતુ આ સિવાય પણ તે કફજ્વર, પિત્તજવર, અગ્નિમાંદ્ય, વજન ઘટતું જવું વગેરેમાં ઉત્તમ પરિણામ આપે છે.
ઘરગથ્થુ ઉપચાર
લોહીવાનું ઉત્તમ ઔષધ કયું? મર્હિષ ચક્રદત્તે ઉગ્ર લોહીવાનો પણ નાશ કરે એવો પ્રયોગ આ પ્રમાણે જણાવ્યો છેઃ
બસો ગ્રામ બકરીના દૂધમાં એકથી દોઢ ચમચી અશોકની છાલનું ચૂર્ણ નાખી તેને ધીમા તાપે ઉકાળવું. સો ગ્રામ રહે ત્યારે તેને ઉતારી ઠંડું પાડીને પી જવું. એક વાર સવારે અને એક વાર સાંજે. આ પ્રયોગ ચાલુ હોય ત્યારે ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણવાળાં આહારદ્રવ્યો લેવાં નહીં. ઉગ્ર લોહીવા હોય તથા તેને લીધે જ વારંવાર કસુવાવડ થઈ જતી હોય, તો ત્રણથી ચાર મહિના આ પ્રયોગ કરવો.