મેલબોર્ન, તા. ૧૦
ઓસ્ટ્રેલિયામાં બોક્સકટર વડે પોતાની પત્નીનું ગળું આઠ વખત કાપીને નિર્મમ હત્યા નિપજાવનાર ૨૪ વર્ષીય ભારતીય વ્યક્તિ સિંઘને સ્થાનિક અદાલતે માનવહત્યા બદલ દોષિત માન્યો છે. આ પૂર્વે આ જ અદાલતે તેને હત્યાના આરોપમાંથી મુક્ત કર્યો હતો. ૨૦૦૯માં બનેલા આ હત્યાકાંડમાં, પોતાની પત્નીનું ગળું કાપી નાખ્યા બાદ આ વ્યક્તિ તેની પત્નીને લોહીનાં ખાબોચિયામાં તરફડતી છોડીને જતો રહ્યો હતો, સિંઘને ૨૪ મેના રોજ સજા સુણાવવામાં આવશે.
બોક્સકટર વડે આઠ વખત ગળું કાપીને પત્નીની હત્યા નિપજાવી હતી
ન્યૂ સાઉથ વેલ્સની સુપ્રીમ કોર્ટે આરોપી સિંઘને તેની ૨૮ વર્ષીય પત્ની મનપ્રીત કૌરની પોતાના પશ્ચિમી સિડનીસ્થિત ઘરમાં હત્યા નિપજાવવાના આરોપમાં દોષિત ગણ્યો નહોતો.
અદાલતમાં ચાલેલા ખટલા દરમિયાન જ્યૂરીને જણાયું હતું કે સિંઘને તેની પત્નીને ઓસ્ટ્રેલિયામાં બંધાયેલી નવી દોસ્તીની ઇર્ષ્યા થતી હતી અને ઘણી વાર તે પોતાની પત્નીને માર મારતો હતો, આખરે ૨૯ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી.
સિંઘને માનવહત્યા બદલ દોષિત ગણવા દલીલ કરવામાં આવી હતી, પરંતુ તેનું કહેવું હતું કે તેને ઉશ્કેરવામાં આવ્યો હતો આથી તે હત્યા માટે જવાબદાર નથી.
મૃતક અને સિંઘનાં લગ્ન વર્ષ ૨૦૦૮ના સપ્ટેમ્બરમાં ભારતમાં થયાં હતાં અને લગ્ન બાદ જાન્યુઆરી ૨૦૦૯માં મનપ્રીત સ્ટુડન્ટ વિઝા દ્વારા ઓસ્ટ્રેલિયા ગઈ હતી, તેનો પતિ ડિપેન્ડન્ટ સ્પાઉસ વિઝા મેળવીને મે ૨૦૦૯માં પોતાની પત્ની પાસે પહોંચ્યો હતો.
સિંઘના વકીલે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે તેમનો અસીલ પોતાની પત્નીની અવિશ્વસનીયતા, ભારત પરત ફરવાની દહેશત અને નાણાકીય દબાણને લીધે ત્રણ બાજુએથી નિરાશા અનુભવતો હતો. સરકારના વકીલે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે સિંઘને તેની પત્નીના નવા મિત્રોની ઇર્ષ્યા થતી હતી, તેથી તે ઘણીવાર તેને માર મારતો હતો અને આખરે તેની હત્યા કરી નાખી.
આ કેસમાં સજા સંભળાવવાની કાર્યવાહી ૨૪ મે પર મુલતવી રાખવામાં આવી છે.