હનુમાન ગાથા-૬૨- ડો. અશોક નારાયણ
આ બાજુ રાવણ હજુ પણ તેના અભિમાનમાં જ રત છે અને રામ સાથે યુદ્ધ કરવા તેમજ પોતાની રણનીતિ તૈયાર કરવા માટે સભા ભરી રહ્યો છે અને આ બાજુ તેનો જ ભાઈ વિભીષણ પાપકર્મના માર્ગ પણ આગળ વધતા પહેલાં જ ચેતી જાય છે. તેનો અંતરાત્મા જાગ્રત થતાં વિભીષણ તે જ ક્ષણે રામની છાવણી તરફ જવા નીકળી જાય છે અને રામ પણ તેનું ખરા દિલથી સ્વાગત કરે છે
પછી અંગદ અને મારી સાથે બધા વાનર વિભીષણ પાસે ગયા અને આદરપૂર્વક પ્રભુની પાસે લઈ આવ્યા. ભાઈ વિભીષણના સૌભાગ્યની તો વાત જ શું કરવી! એમને તો સાક્ષાત્ ભગવાન રામનાં દર્શન થવાનાં હતાં. જે મોટા મોટા ઋષિ-મુનિઓને સ્વપ્નમાં પણ દુર્લભ છે.
દૂરિહિ તે દેખે દોઉ ભ્રાતા ।
નયનાનંદ દાન કે દાતા ।।
વિભીષણે દૂરથી જ બંને ભાઈઓને જોયા, જે નયનોને આનંદનું દાન આપનારા હતા.
બહુરિ રામ છબિધામ બિલોકી ।
રહેઉ ઠટુકિ એકટક પલ રોકી ।।
રામની છબિને વારંવાર જોઈને મન જકડાઈ ગયું અને એમની સામે એકીટસે જોયા જ કર્યું, જાણે સમયને પણ એમણે રોકી રાખ્યો હોય.
કેમ ન થાય? ભગવાન રામનાં દર્શન કરી એવું કોણ હશે જે પોતાના હોશહવાસ ખોઈ ન બેસે?
ભુજ પ્રલંબ કંજારુન લોચન ।
સ્યામલ ગાત પ્રનત ભય મોચન ।।
લાંબી ભુજાઓ, ખીલેલા કમળ જેવા લોચન, શ્યામ શરીર, જે શરણાગતનો ભય દૂર કરવાવાળા છે.
સિંહ કંધ આયત ઉર સોહા ।
આનન અમિત મદન મન મોહા ।।
સિંહના જેવા ખભા, વક્ષસ્થળ પર વિષ્ણુચિહ્ન, સુંદર કામદેવને પણ મોહ પમાડે તેવું મુખમંડળ.
ગોસ્વામી તુલસીદાસને ભગવાન રામનાં સાક્ષાત્ દર્શન થયાં હતાં. બન્યું એવું કે એક વાર એક વૃક્ષ નીચે તુલસીદાસ આવ્યા, એ વૃક્ષ ઉપર એક પ્રેત રહેતો હતો તુલસીદાસજીને કહ્યું કે, તમે મારા ઉપર ઉપકાર કર્યો છે. હું પણ તમે ઇચ્છો તે વરદાન આપવા માગું છું. તુલસીદાસને ભગવાન રામનાં દર્શન સિવાય બીજું શું જોઈએ? એ જ એમણે માંગી લીધું. પ્રેતે કહ્યું, હનુમાનજીની કૃપા વિના આ અશક્ય છે. માટે તમારે પહેલા હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ.
ગોસ્વામીજીએ કહ્યું, હનુમાનજી મને ક્યાં મળે?
પ્રેતે કહ્યું, ફલાણી જગ્યાએ રામકથા થવાની છે ત્યાં હનુમાનજી આવશે. ક્યાંય પણ રામકથા થાય ત્યાં કોઈ ને કોઈ રૂપે હનુમાનજી રામકથા સાંભળવા જરૂરથી આવે છે. એમને ઓળખવામાં જરા મુશ્કેલી પડે, પણ તેઓ એક બહુ જ ઘરડા બ્રાહ્મણના વેશમાં આવશે અને રામકથા પૂરી થશે ત્યારે ચુપચાપ એક સૂમસાન રસ્તા પર ચાલ્યા જશે અને ઉજ્જડ જંગલમાં એક નાના સરખા મંદિરમાં જશે. બસ ત્યારે તમે તેમનાં ચરણોમાં પડી તેમને પ્રસન્ન કરજો.
આ બધું તો એક નાટક હતું, ખરેખર તો મારા પ્રભુ રામે ગોસ્વામી તુલસીદાસને મળવાનું નક્કી કરી નાંખ્યું હતું અને તેમની આજ્ઞા પ્રમાણે મેં જ પ્રેતને આમ કરવાની પ્રેરણા આપી હતી.
હવે મેં નક્કી કર્યા પ્રમાણે ઘરડા બ્રાહ્મણનો વેશ ધારણ કરી નક્કી કરેલી જગ્યા પર રામકથા સાંભળવા ગયો. તુલસીદાસે મને ઓળખી કાઢયો. કેમ ન ઓળખે?
હવે હું આગળ આગળ અને તુલસીદાસ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યા. ક્યાંય સુધી જંગલમાં ચાલ્યા પછી પ્રેતે બતાવેલા મંદિરમાં જવા લાગ્યો ત્યાં તુલસીદાસે મારા પગ પકડી લીધા. પહેલાં તો મેં એ માનવાનો ઇન્કાર કર્યો કે હું હનુમાન છું, પણ છેવટે તો મારે એ કાર્ય સિદ્ધ કરવાનું જ હતું.
પછી મેં ચિત્રકૂટના પ્રસિદ્ધ ઘાટ પર તુલસીદાસને ભગવાન રામ અને લક્ષ્મણનાં દર્શન કરાવવાની યોજના બનાવી. તુલસીદાસ ઘાટ પર બધાને તિલક કરી રહ્યા હતા ત્યાં રામ અને લક્ષ્મણ પણ સામાન્ય બાળકોનો વેશ બનાવી આવ્યા અને એમણે તુલસીદાસ પાસે તિલક કરાવ્યું. હું સામાન્ય વાનરના રૂપમાં ત્યાં એક ઝાડ પર બેઠો હતો. મારા ઇશારાથી તુલસીદાસે તેમને ઓળખી લીધા અને તેઓ કૃતાર્થ થયા. પછી મારી વિનંતીથી ભગવાને તેમને દિવ્ય રૂપમાં પણ દર્શન કરાવ્યાં.
ગોસ્વામી તુલસીદાસે ભગવાન રામનાં અદ્ભુત દિવ્ય સ્વરૂપનાં દર્શન કર્યાં હતાં. હું એમની વિવશતા સમજી શકું છું. જેણે પ્રભુનાં દર્શન ન કર્યાં હોય તે તો તેમના રૂપનું મનગઢંત વર્ણન કરે, પણ જેણે પોતાની આંખોથી એ રૂપ જોયું છે તે કેમ માને કે એમની વાણીએ એ અવર્ણનીય સૌંદર્યનું પૂરેપૂરું વર્ણન કર્યું છે? રૂપ સૌંદર્યના માલિક ભગવાન રામની છબિનું ભલા કોણ વર્ણન કરી શકે? એનો તો પ્રયત્ન કરવો પણ નકામો છે.
જેને લોકો સૌંદર્યનું વર્ણન સમજે છે એ તો માત્ર એટલી જ વાત હતી કે પ્રેમોન્માદમાં મોંથી અચાનક કોઈ અક્ષર કે અવાજ નીકળે.
વિભીષણની દશા પણ અવર્ણનીય છે.
નયન નીર પુલકિત અતિ ગાતા ।
મન ધરિ ધીર કહી મૃદુ બાતા ।।
આંખોમાં આંસુ ભરી, એકદમ પ્રસન્ન થઈ, મનમાં ધીરજ ધારણ કરી મૃદુ વાણીમાં કહ્યું:
નાથ દસાનન કર મૈં ભ્રાતા ।
નિસિચર બંસ જનમ સુર-ત્રાતા ।।
સહજ પાપપ્રિય તામસ દેહા ।
જથા ઉલૂકહિ તમ પર નેહા ।।
હે નાથ! હું રાવણનો ભાઈ છું. મારો જન્મ દેવતાઓને ત્રાસ આપવાવાળા રાક્ષસકુળમાં થયો છે. એ નાતે મારું શરીર તામસિક છે અને મારાં પાપોથી સહજ અને સ્વાભાવિક પ્રેમ છે. જેવી રીતે ઘુવડને સ્વભાવથી જ અંધકાર પ્રત્યે પ્રેમ હોય છે.
શ્રવન સુજસુ સુનિ આયઉં પ્રભુ ભંજન ભવ ભીર ।
ત્રાહિ ત્રાહિ આરતિ હરન સરન સુખદ રઘુબીર ।।
હે પ્રભુ! આપનો સુયશ સાંભળીને આવ્યો છું. આપ ભવસાગરના ભયનો નાશ કરવાવાળા છો. હે દુઃખહરણ, શરણાગતને સુખ આપવાવાળા રઘુવીર! રક્ષા કરો. રક્ષા કરો.
ભાઈ વિભીષણ તમે તો ધર્માત્મા છો. જો ખરેખર કોઈ એવો હોય તો પણ પ્રભુ એનાં પહેલાંનાં પાપો અને સંસ્કારો પ્રત્યે આંખ ઉઠાવીને જુએ નહીં. જે
અસ કહિ કરત દંડવત દેખા ।
તુરત ઉઠે પ્રભુ હરષ બિસેષા ।।
આવું કહીને વિભીષણ દંડવત્ પ્રભુનાં ચરણોમાં પડી ગયો. પ્રભુ તરત આનંદિત થઈ ઊઠયા.
દીન બચન સુનિ પ્રભુ મન ભાવા ।
ભુજા બિસાલ ગહિ હૃદયં લગાવા ।।
નમ્ર વચન સાંભળી પ્રભુ ઘણા જ પ્રસન્ન થયા. એમને વિભીષણ ગમ્યો. વિશાળ ભુજાઓથી એમને પકડીને પ્રભુએ હૃદયસરસા ચાંપ્યા.
પ્રભુને નમ્રતા બહુ ગમે છે. જેટલી કૃપા તેઓ નમ્ર માણસો પર કરે છે એટલી સમર્થો, જ્ઞાનીઓ, પંડિતો પર ક્યાં કરે છે? તેથી તો કહેવાય છે,
તૂ દયાલુ, દીન હૌં
સંબંધ તો ત્યારે જ બંધાય છે જ્યારે એક દીન હોય અને બીજો દીનદયાળુ. સુદામાએ કૃષ્ણાવતારમાં ભગવાન કૃષ્ણ પાસે જતી વખતે કહ્યું હતું, મારે મારી ગરીબી દૂર કરવી નથી, હું તો દીન-દુઃખી જ સારો છું.
અનુવાદઃ પ્રતિભા રાવલ