લંડન, તા. ૧
બ્રિટનમાં રહેતા શીખ સમુદાયે ભારતમાં ૧૯૮૪ શીખો પર થયેલા હુમલામાં અને શીખવિરોધી રમખાણોમાં કહેવાતી શકમંદ ભૂમિકા માટે જગદીશ ટાઇટલર, સજ્જનકુમાર, પૂર્વ આઇપીએસ અધિકારી કેપીએસ ગિલ અને એસ. એસ. સૈનીને ઓલિમ્પિક ગેમ્સમાં હાજરી આપવા બ્રિટનમાં પ્રવેશ નહીં આપવા માગણી કરી છે. આ લોકોએ શીખો સામે માનવઅધિકાર ભંગમાં શંકાસ્પદ ભૂમિકા નિભાવી હોવાનો તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો છે.
યુકેમાં વસતા શીખોએ આ માટે બ્રિટિશ સરકારનો સંપર્ક સાધ્યો હતો અને તેમના પર બ્રિટનમાં પ્રવેશબંધી ફરમાવવા કહ્યું હતું. જો કે આ મામલે સરકારે શીખ સમુદાયને કોઈ ખાતરી આપી નથી પણ આવા કિસ્સાઓ નિવારવા માટે ચોક્કસ નીતિ ઘડી હોવાનું જાણવા મળે છે. ભારત માટેના વિદેશી બાબતોના પ્રધાન જેરેમી બ્રાઉને કહ્યું હતું કે આવી વ્યક્તિગત બાબતોમાં તેમનું મંત્રાલય સામાન્ય રીતે કોઈ ટિપ્પણી કરતું નથી.
આવા સંજોગોમાં સામાન્ય રીતે બ્રિટનની નીતિ એવી રહી છે કે બ્રિટન કે બ્રિટિશરોની સુરક્ષા કે સલામતી જોખમાવાતી હોય તેવી વ્યક્તિને બ્રિટનમાં પ્રવેશ આપવાનો ઈનકાર કરવામાં આવે છે. આવી વ્યક્તિઓએ માનવઅધિકારનો ભંગ કર્યો હોય તેવા કોઈ વિશ્વાસપાત્ર પુરાવા મળે તો પણ તેમને બ્રિટનમાં પ્રવેશ અપાતો નથી.