મુંબઈ, તા. 02
શાહિદ કપૂરને બોલિવૂડમાં કોઈ નોંધપાત્ર સફળતા હાથ લાગી રહી નથી જ્યારે બીજી બાજુ એક પછી એક બે બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર સોનાક્ષી સિન્હા સાથે કામ કરવા તમામ કલાકારો ઇચ્છુક છે. પોતાની કરિયર બચાવવા માટે હવે શાહિદ પણ સોનાક્ષી સાથે ફિલ્મ કરવા ઇચ્છુક છે, જે કલાકારો ટોચ ઉપર હોય છે તેની સાથે કામ કરીને અન્ય કલાકારો પોતાની કરિયર બચાવે છે, હવે શાહિદની પણ આવી જ હાલત છે, તે માને છે કે સોનાક્ષી સાથે કામ કર્યા બાદ તેની કરિયરની ગાડી પાટા પર આવી શકે છે. 'તેરી મેરી કહાની' ફ્લોપ સાબિત થયા બાદ શાહિદના નામથી નિર્માતા-નિર્દેશકો દૂર ભાગી રહ્યા છે ત્યારે શાહિદ હવે કરિયરને ફ્રેશ સ્ટાર્ટ આપવાના મૂડમાં છે. શાહિદે હાલમાં કેટલીક મોટાં બેનરની ફિલ્મો સાઇન કરી છે. પ્રભુ દેવા, રાજકુમાર સંતોષી અને સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મો દ્વારા શાહિદ પોતાની કરિયરને આગળ વધારવાનો પ્રયાસ કરશે. તેણે આ ત્રણેય ફિલ્મોના નિર્માતાઓને અપીલ કરી છે કે તેઓ અભિનેત્રી તરીકે સોનાક્ષીને સાઇન કરે.