ભુજ, તા.ર
લખપત તાલુકાના વર્માનગરથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલા બુધ્ધુ બંદર નજીકની બી.એસ.એફ. ચોકીથી દોઢેક કિમી દૂર વણ ફૂટેલો સેલ ફાટતાં ઢોર ચરાવી રહેલા પાંચ માલધારીઓને ગંભીર ઈજાઓ પહોંચવા ઉપરાંત ગાયોને ઈજાઓ થઈ હતી. વણફૂટેલા સેલના કારણે બનેલી દુર્ઘટનાનાં અહેવાલ મળતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આજે સવારે બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારમાં આવા અન્ય કોઈ ફૂટેલા-વણફૂટેલા વિસ્ફોટક છે કે કેમ? તે અંગેની તપાસ કરવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતં, જેમાં અંદાજિત ૪૦ જેટલા અલગ અલગ ફૂટેલા વિસ્ફોટકનાં અવશેષો મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઉપરાંત પોલીસની ખાસ શાખાનાં અધિકારીઓ પણ ઓપરેશનમાં જોડાયા હતા.
- બુધ્ધુ બંદર પાસેના વિસ્તારમાં ફૂટેલા વિસ્ફોટકનાં અવશેષો મળી આવ્યા
સૂત્રોનાં જણાવ્યાનુસાર વણફૂટેલા સેલમાં વિસ્ફોટની ઘટનાનાં પગલે આજે પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરવા ઉપરાંત આવા અન્ય કોઈ વિસ્ફોટકો હોવાની આશંકાથી આજુબાજુનાં વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિસ્તારમાં ઝીણવટભર્યા સર્ચ ઓપરેશનમાં પણ ફૂટેલા વિસ્ફોટકોનો જુદાજુદા સ્થળોએથી અવશેષો હાથ લાગ્યા હતા. અંદાજિત ચાલીસથી પણ વધુ વિસ્ફોટકોનાં અવશેષ પોલીસે કબજે કર્યા હતા. પોલીસ ઉપરાંત સંરક્ષણ સેનાના જવાબદાર અધિકારીઓએ પણ બનાવસ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
બીજીતરફ સમગ્ર મામલે પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી ઘટનાનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે, આ ઉપરાંત ઘવાયેલા માલધારીઓની તબિયતમાં ધીમા સુધાર સાથે પોલીસે તેમના નિવેદનની તજવીજ શરૂ કરી હોવાનું તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બુધવારે કૈયારી ગામના માલધારી પશુઓને ચરિયાણ માટે બુધ્ધુ બંદર વિસ્તારમાં લઈ ગયા હતા, ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં કોઈપણ કારણસર એક વણ ફૂટેલો સેલ અચાનક જ ફાટતાં ત્યાં હાજર ગાય અને માલધારી વિસ્ફોટની અડફેટે આવી ગયા હતા, જેમાં વદાભાઈ રબારી, કાનાભાઈ રબારી, ધાનાજી રબારી, વસનાજી રબારી તથા બેચરાજી રબારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત ચરી રહેલી ગાયોને પણ ઈજાઓ પહોંચી હતી.
વણફૂટેલા વિસ્ફોટકોની વિનાશલીલામાં જવાબદાર કોણ?
કચ્છમાં દોઢ દાયકામાં અલગ અલગ સ્થળોએ વણફૂટેલા વિસ્ફોટકોએ નોતરેલી વિનાશલીલાની દોઢ ડઝનથી પણ વધુ ઘટનામાં માનવજિંદગીઓ મોતનાં ખપ્પરમાં હોમાતી રહી છે, ત્યારે વણફૂટેલા સેલ કેવી રીતે તેની મૂળ જગ્યાએ બહાર પહોંચે છે, તેમજ કોઈપણ એજન્સીઓને પ્રેક્ટિસ બાદ ઉપયોગમાં લેવાયેલા તમામ પ્રકારનાં વિસ્ફોટકોને કબજે કરી સલામત જગ્યાએ પહોંચાડવાનાં હોય છે, તેમ છતાં જિલ્લામાં જુદજુદા સ્થળોએ વણફૂટેલા વિસ્ફોટકો દ્વારા સર્જાયેલી દુર્ઘટનાઓ અવિરત પ્રકાશમાં આવી રહી છે. બુધવારની ઘટના બાદ વધુ એકવાર જાગૃત કચ્છીમાડુઓ આવી ઘટના પાછળ ખરેખર જવાબદાર કોણ અને શા માટે તપાસનીશો અત્યાર સુધીની ઘટનામાં કોઈ ચોકકસની બેદરકારી શોધી શકતી નથી તેમજ તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો વેધક સવાલ કરી રહ્યા છે.