સાયન્સ ટોક
ચોમાસા દરમિયાન સામાન્ય રીતે મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. મચ્છરોથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાતા હોઈ તેનાથી બચીને રહેવાની નવી નવી ટેકનિક લોકો અપનાવતા હોય છે. જેમાં સૌથી સરળ રીત એટલે બજારમાં મળતી મચ્છર ભગાડવાની અગરબત્તી. વિવિધ અગરબત્તીઓ અને મેટની મદદથી આપણે મચ્છરો સામે લડત આપતા હોઈએ છીએ ત્યારે ચાલો જાણીએ કે આ અગરબત્તીઓમાં કયો પદાર્થ વપરાય છે કે જેનાથી મચ્છરો ઘરમાં પ્રવેશતા ડરે છે.
આ અગરબત્તીઓમાં અને મેટમાં પાયરેથ્રિન નામનો જંતુનાશક પદાર્થ વપરાય છે. આ પદાર્થ સેવંતીની જાતનાં અમુક ફૂલમાંથી મળી આવે છે.
આ ફૂલને અંગ્રેજીમાં પેઇન્ટેડ લેડી પણ કહેવામાં આવે છે. પાયરેથ્રિન ધુમાડાના સ્વરૂપે છૂટું પડે છે અને આ ધુમાડાના કારણે મચ્છરો આસપાસમાં ફરકતાં નથી. પાયરેથ્રિનની ૨થી ૪ માઇક્રોગ્રામ અસરથી મચ્છર મૃત્યુ પામે છે. આના કરતાં થોડી અસર થાય તો પણ મચ્છરને કરડવાની તાકાત રહેતી નથી. આ કારણે મચ્છરો આવી અગરબત્તીઓ ઘરમાં ચાલતી હોય ત્યારે નજીક આવવાનું સાહસ કરતાં નથી. પરિણામે અગરબત્તી કે મેટ ચાલુ હોય ત્યારે આપણે અનુભવી શકીએ છીએ કે મચ્છરો ઓછાં થઈ ગયાં છે.