મૂવિ મંચ - દિવ્યેશ વેકરિયા
આજે ફ્રેન્ડશિપ ડે છે અને જો બોલિવૂડની દોસ્તીને યાદ ન કરીએ તો ખોટું કહેવાય. બોલિવૂડ સ્ટારને પણ મિત્રો તો હોય જ ને! પરદા પરની દોસ્તી તો આપણે માણીએ જ છે, આજે પરદા પાછળની દોસ્તીની વાતો જાણીએ
અમિતાભે જે રીતે ફિલ્મોમાં દોસ્તીને ભજવી છે તેવી રીતે તેઓ રિયલ જીવનમાં દોસ્તી નિભાવી શક્યા હતા? અમિતાભનો બોલિવૂડમાં સૂર્યોદય થયો ત્યારે તેને દોસ્તો કરતાં દુશ્મનો વધુ મળ્યા હતા. વીર સંઘવીએ એક મુલાકાતમાં અમિતાભને પૂછેલું કે રાજીવ ગાંધી તમારા માટે શું છે? અમિતાભે કહ્યું હતું કે "રાજીવ મારા બેસ્ટ મિત્ર છે અને રહેશે. રાજીવ પ્રામાણિક માણસ હતા અને પ્રામાણિક માણસ માટે રાજકારણ ક્યારેય યોગ્ય સ્થાન નથી." ભાગ્યે જ ક્યાંક આવી મિત્રતાની હકીકત બનતી હશે કે એક દેશનો વડાપ્રધાન હોય અને બીજો દેશનો સુપરસ્ટાર હોય. વારસામાં મળેલી આ દોસ્તીને રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચને પણ નિભાવી છે. બંનેને એકબીજા પ્રત્યે ખૂબ લગાવ હતો. ઇન્દિરાનું અવસાન થયું ત્યારે દેશની ધુરા રાજીવને સોંપવામાં આવી અને માત્ર રાજીવના કહેવાથી જ અમિતાભ અલ્હાબાદથી ચૂંટણી લડયા હતા. (કોંગ્રસને ખ્યાલ હતો કે તેના માટે અલ્હાબાદ સીટ કેટલી મહત્ત્વની છે અને જીતવાનું હતું એચ.એન.બહુગુણા સામે જે યુપીના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. જેની સામે અમિતાભે ભવ્ય વિજય મેળવ્યો. તેમણે માત્ર મિત્ર માટે રાજકારણમાં પ્રવેશ કરેલો અને તેનું પરિણામ પણ ભોગવવું પડયું હતું ) તેમની વચ્ચે કેવી દોસ્તી હતી, તેને ટીકા-ટિપ્પણી કરવાવાળા ક્યારેય નહીં સમજી શકે. જેણે મિત્રતાને જાણી છે અને નિભાવી છે તે ક્યારેય દોસ્તીને દોષિત નથી ઠેરવતા. સમયના વહેણમાં ક્યારેક તિરાડ પડે છે પણ તે ક્ષણભર હોય છે. આજે લોકો જે કહે તે પણ કરણ જોહર અને શાહરૂખ ખાનની દોસ્તીને માનવી પડે. બંને પાસે પોતાનો પાવર છે પણ તેમની દોસ્તી કરણ જોહરે ફિલ્મ નહોતી બનાવી તે પહેલાંથી છે. 'કુછ કુછ હોતા હૈ'થી આ દોસ્તી વધુ પરિપક્વ બની અને કરણે ત્યાર પછી અત્યાર સુધી પોતાના દિગ્દર્શન હેઠળની એક પણ ફિલ્મ શાહરૂખ વગર બનાવી નથી. શાહરૂખે પણ તેની દરેક વાતનો સ્વીકાર કર્યો. તેમની વચ્ચે કડવાશ જરૂર ઊભી થઈ હતી પણ તેમણે દોસ્તી બરકરાર રાખી અને સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. આ દોસ્તી બંનેની સફળતાનો પર્યાય બની હતી ખાસ કરીને કરણ માટે.
દરેક વખતે દોસ્તી સફળતા નથી આપતી તેનો ભોગ પણ ક્યારેક બનવું પડે છે, અભિષેક બચ્ચન અને ગોલ્ડી બહલની દોસ્તીમાં અભિષેકને ઘણુ નુકસાન સહન કરવું પડયું છે. 'બસ ઇતના સા ખ્વાબ હૈ' અને 'દ્રોણા'નામની આ બંને ફિલ્મો ગોલ્ડી બહલે બનાવી હતી અને અત્યંત નિષ્ફળ રહી હતી. છતાંય આજે તેમની દોસ્તીમાં આ નિષ્ફળતાએ અવરોધ ઊભો કર્યો નથી.
બે સિંહ સારા મિત્રો હોય તે માનવામાં ન આવે પણ બોલિવૂડના બે સુપરસ્ટાર આમિર ખાન અને સલમાન ખાનની દોસ્તી પ્રશંસાને પાત્ર છે. બીજાની સફળતાને પોતાની સફળતા માનવાવાળા આ દોસ્ત હંમેશાં જાહેરમાં એકબીજા માટે દુઆ કરતા રહે છે. સલમાન તેના ગુસ્સાવાળા સ્વભાવ માટે જાણીતા છે અને તે માટે તેના વિશે જાહેરમાં ટિપ્પણી કરવાનું કોઈ સાહસ ન કરી શકે સિવાય આમિર. તેમની એકબીજા પ્રત્યેની દિલ્લગી તેઓ વારંવાર બતાવી ચૂક્યા છે. સલમાન માટે આમિરે ઘણી વખત પોતાના નિયમો નેવે મૂકીને તેના માટે રેમ્પ વોક પણ કરી છે. સલમાનની યારી બોલિવૂડમાં અજય દેવગન, સંજય દત્ત સાથે પણ છે. આમિરની એ.આર.રહેમાન સાથેની જુગલબંધી પણ જાણીતી છે. અજય દેવગન ક્યારેય રોહિત શેટ્ટીની ફિલ્મની સ્ક્રિપ્ટ પણ નથી વાંચતા અને રોહિત પણ ક્યારેય અજયને નારાજ નથી થવા દેતા.
દોસ્તીની અમર ફિલ્મોનાં અમર પાત્રો ભજવનાર કલાકોરોની દોસ્તી પણ 'રંગ દે બસંતી' જેવી જ છે. આ દોસ્તી માટે 'દોસ્તાના' ફિલ્મના ગીતની એક લાઇન બહુ મસ્ત છે, 'પતા કોઈ પૂછે તો કહેતે હૈં હમ, એક દુજે કે દિલ મેં રહેતે હૈં હમ'