ક્લિનિક કેર - ડો. નિહારિકા મહેતા
હું પ્રેગ્નન્ટ છું. મારે ચોથો મહિનો ચાલે છે, પરંતુ મને પ્રેગ્નન્સી પછી સખત માથું દુઃખે છે. ગળું અને મોં સુકાયા કરે છે, તેનું કારણ શું હશે? નિધિ ગોહિલ, અમદાવાદ
પ્રેગ્નન્સી દરમિયાન વધુ પ્રમાણમાં ચક્કર આવવા, માથું દુખવું, મોં અને ગળું સુકાવું, કબજિયાત થવી વગેરે લક્ષણો ડિહાઇડ્રેશનનાં છે. પ્રેગ્નન્સી દરમિયાન જો પાણી ઓછું પીવામાં આવે કે પ્રવાહી ઓછું લેવામાં આવે તો આ પ્રકારની ફરિયાદો રહે છે. પ્રેગ્નન્સીમાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી પ્રેગ્નન્સીમાં અનેક કોમ્પ્લિકેશન ઊભાં થતાં હોય છે, કારણ કે ગર્ભાશયમાં અમુક માત્રામાં પ્રવાહી રહેવું જરૂરી છે. જો પ્રેગ્નન્ટ સ્ત્રી ઓછું પાણી પીવે તો ગર્ભાશયમાં પણ પ્રવાહીની કમી થઈ જાય છે, જેની અસર બાળકની પોઝિશન પર પડે છે. આ બાબત બહુ જ જોખમકારક છે, જેથી તમારે ઉપર જણાવેલ ફરિયાદને નિવારવા માટે દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી તેમજ એકાદ ગ્લાસ જ્યૂસ પીવો જોઈએ, જેથી સ્ટેમીના જળવાઈ રહે.
મારી ઉંમર ૨૪ વર્ષની છે. મને પ્રેગ્નન્સીનો ત્રીજો મહિનો ચાલે છે, પણ મને થોડા દિવસથી થોડું થોડું બ્લીડિંગ થાય છે, તો શું આ મિસકેરેજનું લક્ષણ હોઈ શકે? ગીતા ચૌહાણ, ગોંડલ
મિસકેરેજનાં અમુક મુખ્ય લક્ષણો છે, એ જાણવા બહુ જ જરૂરી છે. મિસકેરેજમાં બ્લીડિંગ સાથે જો દુખાવો અને બળતરા પણ થતી હોય તો આ બધાં જ મિસકેરેજનાં લક્ષણો છે. ડિલિવરી પછી કમરમાં દુખાવો થાય તે સામાન્ય બાબત છે, પણ જો પ્રેગ્નન્સીની શરૂઆતથી જ કમરમાં દુખાવો થતો હોય તો સાવધાની રાખીને ડોક્ટરને બતાવી દેવું જોઈએ. ઘણી વાર કોઈ પણ પ્રકારનો દુખાવો ન થતો હોય પણ પાતળું બ્લીડિંગ થતું હોય તો તે મિસકેરેજનું લક્ષણ નથી હોતું, પરંતુ આ સમયે પણ ડોક્ટરની સલાહ લઈ લેવી હિતાવહ છે. આવી સ્થિતિમાં ડોક્ટર સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની સલાહ આપે છે. ઘણી વાર પ્રેગ્નન્સી દરમિયાન પેઇનકિલર લેવામાં આવતી હોય તો પણ આવી સમસ્યા ઉત્પન્ન થાય છે. પેઇનકિલર લેવાને કારણે લોહી પાતળું થઈ જાય છે અને બ્લીડિંગ શરૂ થઈ જાય છે, તેથી પ્રેગ્નન્સીના પિરિયડમાં પેઇનકિલર લેવાનું પણ ટાળવું જોઈએ.
હું બાવીસ વર્ષની છું. મારે બે વર્ષ સુધી બાળક નહોતું જોઈતું તો મેં બે વખત એબોર્શન પિલ્સ લીધી હતી, હવે મારું માસિક અનિયમિત થઈ ગયું છે, તો શું કરી શકાય? ભાવના જોશી, રાજકોટ
વારંવાર એબોર્શનની ગોળી લેવાથી આ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તમે એબોર્શન પિલ્સ લો છો તો તેની સાઇડ ઇફેક્ટ પણ જાણી લો. એબોર્શનની ગોળી લીધા બાદ ઘણી વાર મહિલાઓને બ્લીડિંગ બંધ જ નથી થતું, આ બાબત ખૂબ જ નુકસાનકારક છે. વધુ બ્લીડિંગ થવાનો મતલબ એ છે કે ગર્ભાશય પંકચર થઈ ગયું છે અથવા હેમરેજ થઈ ગયું છે. ઘણી વાર ઓછી માત્રામાં બ્લીડિંગ થાય છે. આ બંને પરિસ્થિતિ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વારંવારનો ગર્ભપાત ઇર્ન્ફિટલિટીને પણ નોતરે છે, કારણ કે એબોર્શનને લીધે ગર્ભાશય નબળું પડી જાય છે. જો એબોર્શન પછી માસિકચક્ર નિયમિત ન થતું હોય તો તમારે તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી એબોર્શનની ગોળી લેવાનું એવોઇડ કરવું જોઈએ.
મારી વાઇફનું બે વખત મિસકેરેજ થઈ ગયું છે, તો હવે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં કેટલા સમયનો ગાળો રાખવો જોઈએ? - જયેશ ત્રિવેદી, ભાવનગર
મિસકેરેજ પછી સ્ત્રી માનસિક અને શારીરિક બંને રીતે અપ-ડાઉનમાંથી ગુજરે છે. ઘણી વાર એકથી બે વખત મિસકેરેજ થઈ જવાથી પેશન્ટ ડિપ્રેશનમાં પણ આવી જાય છે. આ ઉપરાંત શારીરિક રીતે પણ તે વીક થઈ ગઈ હોય છે. મિસકેરેજ પછી માસિકચક્ર પણ ડિસ્ટર્બ થઈ જાય છે. તો મિસકેરેજ પછી તમે તમારી વાઇફને શારીરિક રીતે હેલ્ધી બનાવવા માટે પોષણયુક્ત આહાર આપો અને સંપૂર્ણ આરામ કરવા દો. તદુપરાંત માસિકચક્ર નિયમિત થઈ જાય પછી ડોક્ટરની સલાહ લઈને જ પ્રેગ્નન્સી પ્લાન કરો.