સુરત,તા. ૬
યુનિવર્સિટી સેનેટ ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર પાછી ખેંચવાના અંતિમ દિવસે વીસ ફોર્મ પાછા ખેંચાતા હવે ૨૩ બેઠકો માટે ૬૫ જેટલાં ઉમેદવારો રેસમાં રહ્યા છે. આજે બપોર સુધીમાં વીસ જેટલા ઉમેદવારોએ વિવિધ ફેકલ્ટીમાંથી પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા દસ બિન હરિફોમાં ભાજપ સર્મિથત નવ અને એબીવીપીના બે ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા અને તેમના નામના નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયા હતા તેમજ સંબધિત તમામ સ્થળોએ તેની જાણ પણ કરી દેવાઈ હતી.
- દસ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા
બિન હરિફ ઉમેદવારોમાં એન્જિનિયરિંગમાં સંજય દેસાઈ, મહેશ નાગેચા, વિનોદ પટેલ, દિનકરરાય નાયક, નૈષધ દેસાઈ, ઘનશ્યામ રાવળ, ભરત શેઠ, સ્નેહલ જોષી, કમલેશ પટેલ અને સંદિપ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે હવે આગામી તા. ૧૨મીના રોજ યોજાનારી ચૂંટણીમાં હવે ૩૩માંથી ૨૩ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે જેમાં મુખ્ય કેન્દ્ર ફરી એક વખત હવે મુખ્ય ધ્યાન સાયન્સ ફેકલ્ટીમાં હોશંગ મીરઝા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશ પટેલ વચ્ચેની જંગ ઉપર કેન્દ્રીત થયું છે.
મહત્ત્વની બાબત એ છે કે, સ્ક્રુટીની કમિટી દ્વારા જેનું ફોર્મ રદ કરતા હોશંગ મીરઝાએ ભારે હોબાળો મચાવ્યો હતો એ કોમ્પ્યૂટર સાયન્સના કિર્તીબેન પટેલે પણ આજે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા સ્નેહલ જોષી બિન હરિફ બન્યા હતા. કિર્તીબેનના ફોર્મમાં ટેકેદાર બનનારે જ પોતે ટેકો પાછો ખેંચતા હોવાની જાહેરાત કરતા સ્ક્રુટીની દરમિયાન વિવાદ સર્જાયો હતો પરંતુ ફોર્મ પાછું ખેંચાતા આજે વિવાદનો અંત આવ્યો છે.
જ્યારે દસ બિન હરિફમાંથી નવ ભાજપના આવ્યા બાદ દિનેશ દાસા તેમજ અન્યોએ હવે પછીની બાકીની તમામ બેઠકોમાં પણ એબીવીપીના ઉમેદવારો જીતશે એવો દાવો કર્યો હતો.
જયારે શિક્ષકોના મતદાર વિભાગમાંથી નવનીત સેલર અને યોગેશ પટેલ ( લાલી )એ ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે આ બેઠકમાં રાજેશ દેસાઈ અને પંકજ દેસાઈની પેનલ બનવાની સંભાવના છે. જ્યારે માધ્યમિક આચાર્યોમાં પણ બે ઉમેદવારોએ રેસમાં રહેવાનો નિર્ણય કરતા આ બેઠકમાં પ્રવિણ માળીએ પણ ચૂંટણી લડવી પડશે.