મુંબઈ, તા. ૭
ભાજપ માંદગીમાં પટકાયો છે કે શું ? એનડીએ હિંમત રાખે
શિવસેનાના સુપ્રીમો બાલ ઠાકરેએ અડવાણીના નિરૃત્સાહી બ્લોગ અંગે ભાજપના આ વરિષ્ઠ નેતાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં નોનભાજપ અને નોનકોંગ્રેસ નેતા વડાપ્રધાન હશે તેવી આગાહી અડવાણીએ તેમના બ્લોગ પર કરી હતી. ઠાકરેએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અડવાણીનું આ નિવેદન 'યુદ્ધ પહેલાં લશ્કરનો જનરલ એવું કહે કે યુદ્ધનું પરિણામ શું આવશે તેની ગેરંટી નહીં.' તેના જેવું છે, આમ આ નિવેદન સમગ્ર આર્મીને નિરુત્સાહ કરનારૂ છે.
આપણા સાથી પક્ષ ભાજપને શું થયું છે ? શું તે માંદગીમાં પટકાયો છે કે પછી આંતરિક વિખવાદમાં અટવાયો છે ? શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં ઠાકરેએ અડવાણીના બ્લોગ અંગે હૈયાવરાળ ઠાલવી હતી. અડવાણીનો આવો બફાટ નિરુત્સાહી છે, તેમણે એનડીએ હિંમત રાખે તેવું કહ્યું હતું. જો અડવાણીને કોઈ શંકા હોય તો તેઓ મારી પાસે આવે, હું તેમને શક્તિ આપીશ અને તેમનામાં ઉત્સાહ રેડીશ, અડવાણીએ તેમના બ્લોગમાં એવું લખ્યું હતું કે નોનકોંગ્રેસ અને નોનએનડીએ ગઠબંધન સત્તા પર આવશે તે અંગે ઠાકરે અડવાણી સામે બળાપો ઠાલવ્યો હતો. ઠાકરેએ નવા ઉત્સાહ સાથે સામાન્ય ચૂંટણીઓની તૈયારીમાં લાગી જવા એનડીએને અનુરોધ કર્યો હતો.
ઠાકરેએ કહ્યું હતું કે એનડીએમાં કોણ વડાપ્રધાન બનશે તે અંગે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની દાવેદારીનો મુદ્દો ચૂંટણીઓ પછી ઉકેલી શકાશે. અડવાણીએ તેમના બ્લોગમાં ૨૦૧૪માં ત્રીજા મોરચાની સરકાર રચવાની શક્યતા નકારી કાઢી હતી પણ કહ્યું હતું કે નોનકોંગ્રેસ અને નોનભાજપ વડાપ્રધાન આ બે પૈકી કોઈ એક પક્ષના ટેકાથી સરકારનું વડપણ સંભાળતા હશે. ઠાકરેએ કહ્યું હતું કે અડવાણીના આ બ્લોગે ભાજપને વિમાસણમાં મૂક્યો છે. ઠાકરેએ ભારપૂર્વક કહ્યું હતું કે હવે પછીના વડાપ્રધાન એનડીએના જ હશે અને ચૂંટણીઓ પૂરી થયા પછી તે અંગે નિર્ણય લેવાશે. બોક્સિંગ રિંગમાં પ્રવેશ્યા વિના હાર સ્વીકારવાનો કોઈ સવાલ જ નથી.
ઠાકરેએ શું કહ્યું
- અડવાણીનું નિવેદન 'યુદ્ધ પહેલાં લશ્કરનો જનરલ એવું કહે કે યુદ્ધનું પરિણામ શું આવશે તેની ગેરંટી નહીં' તેનાં જેવું છે, આ નિવેદન સમગ્ર આર્મીને નિરુત્સાહ કરનારૂ છે.
- આપણા સાથી પક્ષ ભાજપને શું થયું છે ? શું તે માંદગીમાં પટકાયો છે કે પછી આંતરિક વિખવાદમાં અટવાયો છે ?
- જો અડવાણીને કોઈ શંકા હોય તો તેઓ મારી પાસે આવે, હું તેમને શક્તિ આપીશ અને તેમનામાં ઉત્સાહ રેડીશ
- એનડીએમાં કોણ વડાપ્રધાન બનશે તે અંગે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર અને નરેન્દ્ર મોદીની દાવેદારીનો મુદ્દો ચૂંટણીઓ પછી ઉકેલી શકાશે.
- હવે પછીના વડાપ્રધાન એનડીએના જ હશે અને ચૂંટણીઓ પૂરી થયા પછી તે અંગે નિર્ણય લેવાશે.
- ૨૦૧૪ની ચૂંટણીઓ પછી દિલ્હીના લાલ કિલ્લા પર ભગવો લહેરાતો હશે.