ગાંધીનગર, તા. ૭
અછતગ્રસ્ત જિલ્લા
કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ. જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ
ગુજરાત સરકારે મંગળવારે મોડી સાંજે રાજ્યના ૬૫ ટકા વિસ્તારોને આવરી લેતા કચ્છ અને સૌરાષ્ટ્ર મળી રાજ્યના ૧૪ જિલ્લાને સંપૂર્ણ અછતગ્રસ્ત તેમજ અન્ય છ જિલ્લાના ૧૮ તાલુકા મળીને કુલ ૧૫૨ તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા છે. નૈઋત્યનું ચોમાસું શરૂ થયાના આજે લગભગ બે માસ જેટલો સમય થવા છતાં મોટાભાગના રાજ્યમાં સાર્વત્રિક અને સતત વરસાદનો અભાવ રહેતાં તેમજ જુલાઇ માસમાં પણ સંતોષકારક વરસાદ ન પડવાથી આજે હાઇ પાવર કેબિનેટ સબકમિટીએ અછત જાહેર કરી છે. કમિટીએ પશુધનની સૂકા ઘાસની જરૂરિયાને પહોંચી વળવા તત્કાળ પાંચ કરોડ કિલો ઘાસ ખરીદવા ટેન્ડર્સ બહાર પાડવાનો નિર્ણય લીધો છે.
આ સાથે અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણી તમામ સ્ત્રોતનો ઉપયોગ કરવા અને નર્મદા આધારિત પાઇપલાઇનના કામો યુદ્ધના ધોરણે સંપન્ન કરવાનો પણ નિર્ણય આ કમિટીએ લીધો છે.
રાજ્યમાં અપૂરતા વરસાદ અને ચોમાસાની અનિશ્ચિતતાના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાંમંત્રી વજુભાઇ વાળાના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની ઉચ્ચસ્તરીય સબ સમિટીની રચના કરી હતી. આ કમિટીની આજે મળેલી બેઠકમાં જળસંપત્તિમંત્રી નીતિન પટેલ, મહેસૂલમંત્રી આનંદીબેન પટલે, પંચાયતમંત્રી નરોત્તમ પટેલ, કૃષિમંત્રી દિલીપ સંઘાણી, વનમંત્રી મંગુભાઇ પટેલ, મુખ્યસચિવ એ.કે. જોતિ, જળસંપત્તિ સલાહકાર બી.એન. નવલાવાલા, સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં સમીક્ષા કરવામાં આવી હતી.
બીજા છ જિલ્લાના ૧૮ મળી કુલ ૧૫૨ તાલુકા પણ અછતગ્રસ્ત : કેબિનેટ સબકમિટીની બેઠકમાં લેવાયેલો નિર્ણય
જળસંપત્તિમંત્રી નીતિન પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અછતની સ્થિતિમાં પીવાના પાણીની તંગી ન સર્જાય તેનું આયોજન કરાયું છે. પરંતુ હાલ તો પશુધનને ઘાસચારો ઉપલબ્ધ કરવાના પગલાં લેવાયા છે તેમાં પાચ કરોડ કિલો સૂકું ઘાસ ખરીદવાના ટેન્ડરો તત્કાળ બહાર પડાશે. જ્યારે જે ખેડૂત પોતાના ખેતરમાં લીલુ ઘાસ વાવવા તેયાર થશે તેને સરકાર મફત બિયારણ આપશે અને એક હેક્ટર દીઠ રૂ.૫૦૦૦ની પ્રોત્સાહક સબસિડી પણ આપશે. આ ઘાસને પાણી મળી રહે અને તેની નજીકમાં સોર્સ હોય તો વીજ જોડાણ પણ અપાશે. આ માટે ૧૫૦૦૦ કૃષિ વિજ જોડાણો તત્કાળ છુટા કરાશે. જે ગ્રામ પંચાયતો પાસે ગોચર હોય અને ત્યાં ગાંડા બાવળ ઉગી નીકળ્યા હોય તેને સાફ કરી ઘાસનું વાવેતર કરશે તો તેને પણ રૂ.૨૦૦૦૦ની રકમ પ્રોત્સાહક સબસિડી પેટે અપાશે.
- આ બેઠકમાં કલેક્ટરોને રાહતકામો તેમજ જ્યાં જરૂર પડયે કેસ ડોલ્સના વિતરણની પણ તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે.
- પીવાના પાણી માટે ખુટતી કડીઓના કામો
- નર્મદા કેનાલ આધારિત પીવાના પાણીની પાઇપલાઇનના કામો યુદ્ધના ધોરણે શરૂ કરાયા છે
(૧) ધ્રાંગધ્રા કેનાલના ટેઇલ એન્ડથી પાઇપલાઇન દ્વારા મોરબી પાઇપલાઇનના કામો ઝડપી પૂરાં કરી રાજકોટ, જામનગર અને કચ્છને દૈનિક ૩૫૦ મિલિયન લિટર પાણીનો વધારાનો જથ્થો અપાશે.
(૨) ધોળીધજા ડેમથી રતનપુર સુધીની પીવાનાપાણીની પાઇપલાઇનના કામો પણ ત્વરિત ધોરણે હાથ ધરી દૈનિક ૨૧૦ મિલિયન લિટરનો વધારાનો જથ્થો ઉપલબ્ધ કરાશે.
(૩) નર્મદા કેનાલના નાવડા નજીક ખાસ પંપિંગ સ્ટેશન કરીને પીવાના પાણીની તંગીવાળા ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર જિલ્લાઓની પીવાના પાણીની અછતને હળવી કરવા યુદ્ધના ધોરણે પ્રયાસો.
(૪) કચ્છ જિલ્લામાં તીવ્ર અછત જોતાં તાત્કાલિક ધોરણે પીવાના પાણીના ૫૦૦ બોર કુવા રિચાર્જિંગનું કામ હાથ ધરીને દૈનિક ૧૨૦ મિલિયન લિટર વધારાનું પાણી ઉપલબ્ધ કરાશે.
- પાંચ કરોડ કિલો સૂકું ઘાસ ખરીદવા તત્કાળ ટેન્ડર બહાર પડાશે
- લીલા ઘાસનાં વાવેતર માટે ખેડૂતોને ૫,૦૦૦ની સબસિડીઃ ગૌચર ધરાવતી પંચાયતને ૨૦ હજારની સબસિડી
- ઘાસચારાનાં વાવેતર માટે ખેડૂતોને તત્કાળ ૧૫,૦૦૦ વીજ જોડાણો આપવાના નિર્ણય લેવાયા
આ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે રાજ્યના જે જિલ્લામાં અત્યાર સુધી ૧૫૦ મી.મી.થી ઓછો વરસાદ થયો છે તે તમામ જિલ્લાના તમામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે જે જિલ્લાના તાલુકામાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ થયો છે તેને પણ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ ઉપરાંત આ તમામ વિસ્તારોમાં પીવાના પાણીના પુરવઠાની સ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારના સ્ત્રોતનો ઉપયોગ કરવાનું પણ કમિટીએ નક્કી કર્યું છે.
રાજ્યમાં ખેડૂતો પોતાનાં ખેતરમાં લીલા ઘાસનું વાવેતર કરે તો રૂપિયા ૫,૦૦૦ની પ્રતિ હેક્ટર પ્રોત્સાહક સબસિડી તેમજ ગૌચર ધરાવતી ગ્રામ પંચાયતોને ૨૦,૦૦૦ સુધીની સહાય આપવાની જાહેરાત પણ આ કમિટીએ કરી છે.
અછતગ્રસ્ત ૧૮ તાલુકા
- સાબરકાંઠા : બાયડ, પ્રાંતિજ
- ખેડા : ખેડા, મહેમદાવાદ, મહુધા, માતર અને નડિયાદ
- આણંદઃ પેટલાદ, તારાપુર, ઉમરેઠ
- વડોદરા : ડભોઇ, નસવાડી, ક્વાંટ અને વાઘોડિયા
- પંચમહાલ : ગોધરા, ખાનપુર અને શહેરા