ભાવનગર, તા.૭
ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાભરમાં બે-બે દિવસ નાગપંચમીની ઉજવણી કરાયા બાદ આવતીકાલે રાંધણ છઠની ઉજવણી કરવામાં આવશે. રાંધણ છઠ નિમિતે ગૃહિણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને જાત જાતની વાનગીઓ બનાવી રાત્રે ચુલો ઠારશે. જ્યારે રાંધણ છઠે બનાવેલી વાનગીઓ શિતળા સાતમે આરોગવાની પરંપરા આજ સુધી જળવાઈ રહી છે. શિતળા સાતમ બાદ શુક્રવારે આઠમ(જન્માષ્ટમી)ની ભાવનગર જિલ્લાભર ધામેધૂમે ઉજવણી કરવામાં આવશે.
લોકવાયરા મુજબ સાતમના આગલા દિવસે એટલે કે છઠના દિવસે શીતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે. જેથી લોકો રાંધણ છનની રાત્રે ઘરના ચુડાની સાફ-સફાઈ કરી ચુલાને ઠારવામાં આવે છે.રાંધણ છઠની વહેલી સવારથી જ ઘરે ઘરે તાવડા મંડાશે ગાંઠીયા, સેવ, ફેપલા, રાયતુ, પુરી સહિતની વાનગીઓ રંઘાયા બાદ મોડી રાત્રે ચુલાને ઠારવામાં આવશે. તો મીઠાઈની દુકાનોમાં પણ ચુરમાના લાડવા, મીઠાઈની ખરીદી માટે મોટી ભીડ જામશે. તો ગુરૂવારે શિતળા સાતમ નિમિતે શહેરના ઘોઘા રોડ સ્થિત સુપ્રસિધ્ધ શિતળા માતાજીના મંદિરે પરંપરાગત મેળા ભરાશે. વહેલી સવારથી માતાજીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડશે. શહેર ઉપરાંત જિલ્લાના સિહોર ખાતે આવેલ પ્રગટનાથ મહાદેવ મંદિરના ઢાળ પાસે આવેલ શિતળા માતાજીના મંદિર ખાતે પણ લોક મેળો ભરાશે.તેમજ મહુવા, તળાજા, બોટાદમાં પણ શિતળા સાતમની ઉજવણી કરવામાં આવશે.
શિતળા સાતમ બાદ શુક્રવારે ગોકુળ આઠમ(જન્માષ્ટમી)ની ધામેધૂમે ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમી નિમિતે શહેર ઉપરાંત જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ, ભગવાન કૃષ્ણની શોભાયાત્રા સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. તો ગલી એ ગલીએ પણ ગોકુળીયુ બનાવવામાં આવશે. શહેરમાં ખાસ કરીને કણબીવાડ, ભરતનગર, કાળીયાબીડ, રામમંત્ર મંદિર, સાગવાડી, નિર્મળનગર, વડવા ચોરા સહિતના વિસ્તારોમાં શેરી મંડળો દ્વારા ગોકુળીયુ બનાવવામાં આવશે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિવિધ લાઈટીંગ વાળા ફ્લોટસ, અમરનાથનું બરફનું શિવલીંગ સહિતના ફોલ્ટસ બનાવવામાં આવશે. શુક્રવારે રાત્રીના ૧ર-૦૦ કલાકે કૃષ્ણ જન્નોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. શહેરના જગન્નાથજી મંદિર ખાતે તો મોડીરાતથી જ ભાવિકોની લાંબી કતારો જોવા મળશે તો વિવિધ મંદિરોમાં પણ કાળા કાનુડાના જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી કરવાના આયોજનો પણ કરવામાં આવ્યા છે.