સુરત, તા.૭
માંડવી એપીએમસીમાં વ્યવસ્થાપક સમિતિ માટે યોજાનારી ચૂંટણીમાં સંસ્થાના વર્તમાન પ્રમુખ પ્રભુભાઈ વસાવા સહિતના પેનલ સામે બારડોલીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ ઉમેદવારી નોંધાવતા માંડવી તાલુકા કોંગ્રેસમાં ચાલી રહેલો કલહ સપાટી પર આવી ગયો હતો. જો કે, આજે ફોર્મ વિતરણ તથા ભરવાની પ્રક્રિયા દરમિયાન કુલ ૩૨ ફોર્મ ભરાયાં હતાં. જેમાં વેપારી મંડળની ચાર બેઠકો પર વર્તમાન પ્રમુખના મનાતા ચાર ઉમેદવારોનાં જ ફોર્મ ભરાયાં હતાં.
- પ્રભુભાઈ વસાવાની પેનલ સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કુંવરજી હળપતિ અને સમર્થકોએ ઉમેદવારી નોંધાવી
- કુલ ભરાયેલાં ૩૨ ફોર્મમાં વેપારી વિભાગમાં ચાર બેઠક બિનહરીફ થવાના સંકેતો
માંડવી તાલુકા એપીએમસીની જાહેર થયેલી ચૂંટણી બાદ આજરોજ ફોર્મ વિતરણ તથા સ્વીકારવાની શરૂ થયેલી કાર્યવાહીમાં વર્ષોથી શાસનધૂરા સંભાળતા ધારાસભ્ય પરભુભાઈ વસાવા તથા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરપતસિંહ વાંસિયા અને સુરત જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી તથા કોંગ્રેસ સહકાર સેલના પ્રમુખ જયંતીભાઈ ભાણાભાઈ ગામીત તથા બાબુભાઈ ગમલાભાઈ પટેલે ફોર્મ ભરી દાવેદારી નોંધાવી છે.
જ્યારે વર્ષોથી આ સંસ્થામાં કોંગ્રેસના જ સભ્યો સત્તામાં હોવા છતાં આ વેળા સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્ય કમલેશભાઈ ચૌધરીએ પણ ફોર્મ ભરી સહકારી ક્ષેત્રમાં ઝંપલાવતા ખળભળાટ મચી ગયો છે.
બંને ધારાસભ્ય વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી આવેલો જૂથવાદ આજે સપાટી પર આવતા તાલુકાના રાજકીય વાતાવરણમાં ભારે ચહલપહલ મચી ગઈ હતી.જિલ્લા અને તાલુકાના મુખ્ય કોંગી આગેવાનો વચ્ચેના જૂથવાદ ચર્ચાએ આજે આખો દિવસ ભારે જોર પકડયું હતું. આગામી વિધાનસભામાં પણ જયારે પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને ધારાસભ્યો વચ્ચેનો જૂથવાદ ચરમસીમાએ પહોંચતા વાતાવરણ ભારે ઉત્તેજિત બન્યું હતું. અને આ ચૂંટણીના પડઘા વિધાનસભાની ચૂંટણીમાં પણ પડવાની શકયતા છે. બીજી તરફ આવી પરિસ્થિતિમાં પણ ભાજપના અગ્રણીઓમાં કોઈ ખાસ હલચલ જણાઈ ન હતી.
જો કે, ભાજપ સર્મિથત ગણાતા કનુભાઈ પટેલ તથા હસમુખભાઈ પટેલ અને જશવંતભાઈ પટેલ એમ માત્ર ત્રણ વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી હતી. આખા દિવસની ચાલેલી કવાયત પછી ખેડૂત વિભાગમાંથી ૨૪, વેપારી મતદાન મંડળમાંથી-૪, ખરીદ વેચાણમાંથી ૪ મળી કુલ ૩૨ ફોર્મ ભરાયાં હતાં. વેપારી વિભાગની ચાર બેઠક પર માત્ર ચાર જ ફોર્મ ભરાયાં હતાં. જેમાં નિમેશભાઈ શાહ, સજીવભાઈ આર. શાહ, આનંદભાઈ ડી. ઘાયલ, તથા હસમુખભાઈ તંબોળીનો સમાવેશ થાય છે. આમ વર્તમાન ધારાસભ્ય પ્રભુભાઈ વસાવાના ચાર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.