અમદાવાદ, તા. ૭
ગુજરાત યુનિ. સિન્ડિકેટની ચૂંટણી યોજવાની જાહેરાત ન કરાતા સતત ચોથા દિવસે પણ કોગ્રેસે 'કુલપતિ મુકુલ શાહ દ્વારા લોકશાહીનું બેસણુ' કાર્યક્રમ આપ્યો હતો. બપોરે એક કલાકે કોગ્રેસના સિન્ડિકેટ સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં સફેદ વસ્ત્રો પહેરીને આવ્યા હતા. તેમણે પરંપરાગતરીતે માથે ઓઢીને રડતા રડતા આવતા વાતાવરણમાં ગમગીની ફેલાય ગઇ હતી. આજે કોઇ સુત્રોચ્ચાર કરાયા ન હતા અને શાંતિપુર્વક બેસણાનો કાર્યક્રમ યોજયો હતો. સતત બે કલાક કાર્યક્રમ યોજયા પછી કોગ્રેસે સિન્ડિકેટની ચૂંટણીનો મુદ્દો કોર્ટમાં ગયાનું કારણ રજૂ કરીને આ મુદ્દે આંદોલન પુર્ણ થયાની જાહેરાત કરતા સત્તાધીશોના ચહેરા પરથી ચિંતાના વાદળો વિખેરાયા હતા.
- ચૂંટણીના મુદ્દે કોર્ટમાં રિટ કરાતા કોંગ્રેસનું આંદોલન સમેટાયું
- સિન્ડિકેટની ચૂંટણી જાહેર ન થતા બેસણામાં પોક મૂકી
કોગ્રેસના સતત ત્રણ દિવસના આંદોલન પછી પણ યુનિવર્સિટીના કુલપતિએ સિન્ડિકેટની ચૂંટણી જાહેર ન કરાતા કોગ્રેસે કુલપતિ દ્વારા લોકશાહીનું ખૂન થતું હોવાનો આક્ષેપ કરીને આજે બેસણાનો કાર્યક્રમ આપ્યો હતો. આ માટે બપોરે એક કલાકે કોગ્રેસના સિન્ડિકેટ સભ્યો અને એનએસયુઆઇ, યુથ કોગ્રેસના કાર્યકરો મરણના મલાજા જેવી મર્યાદા રાખીને શીસ્તબધ્ધરીતે બપોરે એક કલાકે યુનિવર્સિટીમાં આવી પહોંચ્યા હતા. તેમણે કુલપતિ કાર્યાલયમાં જઇને તેમની બેઠકની બાજુંમાં આવેલી બારીની જગ્યા પર યુનિવર્સિટી ટાવર, કુલપતિ અને લોહીયાળ રીવોલ્વર દર્શાવતો એક ફોટો મુકયો હતો. આ ફોટાની આગળ સિનિયર કોગ્રેસ સભ્યો બેઠા હતા. તેમની પાસે વારાફરતી કાર્યકરો ચાર-પાંચના ટોળામાં આવીને રૂઢિગતરીતે જે રીતે શોક મનાવવામાં આવે છે તે રીતે માથે સફેદ ટુવાલ કે ફાળીયુ ઓઢીને પોકી મુકીને રડતા રડતા આવતા હતા. તેમણે સિનિયર સિન્ડિકેટ સભ્યો અને કુલપતિની સમક્ષ લોકશાહીના હનનનો ખરખરો કરીને ફોટાને પુષ્પો ચઢાવ્યા હતા. આ રીતે લોકશાહીના બેસણામાં શોક મનાવવામાં આવ્યો હતો. એક પછી એક કાર્યકરો ફોટાને પુષ્પ ચઢાવતા હતા. આવું સતત બે કલાક ચાલ્યા પછી કુલપતિ સમક્ષ સિન્ડિકેટની ચૂંટણી યોજવાની માંગણી વધુ એકવખત કરાય હતી.
ભાજપના સિન્ડિકેટ સભ્યો ચૂંટણીથી ડરે છે : અમીન
ભાજપના સિન્ડિકેટ સભ્યો ચૂંટાય શકે તેમ ન હોવાથી તેઓ ચૂંટણીથી ડરે છે. તેમના ડરના કારણે રાજ્ય સરકાર કુલપતિ પર ચૂંટણી ન યોજવાનું દબાણ કરે છે. કોગ્રેસને બહુમતી મળે તેમ હોવાથી ચૂંટણી ન યોજાય તેવા તાયફા રાજ્ય સરકાર કરે છે. તેમણે કહ્યું હતું કે કોગ્રેસ સિન્ડિકેટની ચૂંટણી યોજવા કોઇ પણ સમયે તૈયાર છે.
આખરે નવા કાર્યકારી રજિસ્ટ્રાર નિમાયા
કાર્યકારી રજીસ્ટાર બળદેવ પટેલે ગયા શનિવારે રાજીનામું આપી દેતા બે દિવસથી યુનિવર્સિટી રજીસ્ટારનું પદ ખાલી હતું. બે દિવસમાં જ પચાસ જેટલી ફાયલ મંજૂરી માટે અટવાય હતી. આવા સંજોગોમાં તાત્કાલિક રજીસ્ટરાની નિમણૂંક અનિવાર્ય બની હતી. પ્રો. બળદેવ પટેલને સમજાવવાના આજે નવા રજીસ્ટાર ચાર્જ લે તે પહેલા પણ હાથ ધરાયા હતા. પરંતુ તેઓ તૈયાર ન થતા અંતે લિગ્વીસ્ટીક્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. અરવિંદ ભંડારીને કાર્યકારી રજીસ્ટાર તરીકે નિમી દેવાયા હતા.તેમણે બપોરે ૧૨ કલાકે ચાર્જ સંભાળી લીધો હતો. જો કે તેમની નિમણૂંકનો નિર્ણય કુલપતિએ તેમની વિશેષ સત્તા વાપરીને કરતા કોગ્રેસે વિરોધ વ્યકત કર્યો હતો.