રાજકોટ, તા.૭
વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના આગમનને વધાવવા જન્માષ્ટમીએ યોજાનાર ધર્મયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મવડી ચોકડીથી ધર્મયાત્રાનો પ્રારંભ થવા સાથે ભક્તોમાં ભક્તિનું ઘોડાપુર આવશે. શહેરના મુખ્ય ચોક અને માર્ગોને કેસરી ધજા પતાકાથી લહેરાવી દેવામાં આવ્યા છે. મટકીફોડ સહિતના કાર્યક્રમોના આયોજન થયાં છે. બજારોમાં પણ તહેવાર સંદર્ભે ખરીદીનો ચમકારો નજરે પડયો છે.
- નટખટ નંદલાલાને વધાવવા શહેરીજનોમાં ઉત્સાહ
- ધર્મયાત્રાની તૈયારીને આખરી ઓપ : મવડી ચોકડીએ ધર્મસભા : આજે લોકડાયરો
સમિતિ દ્વારા નંદલાલાના વધામણા સાથે વિહિપના સ્થાપના દિનની પણ ઉજવણી કરવામાં આવશે. શહેરને ગોકુળિયું બનાવવામાં કાર્યકરો લાગી પડયાં છે. તમામ મુખ્ય ચોકમાં મંડપ, લાઈટીંગ, ધજા, પતાકા, ઝંડી, હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. ધર્મયાત્રામાં સામાજીક સમરસતાને ચરિતાર્થ કરવા પાણી બચાવો, રાષ્ટ્રભાવના જગાવો, ભ્રષ્ટાચાર હટાવો, વૃક્ષ વાવો, ગૌમાતા બચાવો વગેરે સૂત્રો ચમકશે.ધર્મયાત્રાના મુખ્ય રથનું કામ ઉત્તરપ્રદેશના કારીગરો દ્વારા ચાલી રહ્યું છે. માલધારી સમાજના યુવાનો દ્વારા હુડો રાસ રજૂ કરવામાં આવશે. આજ સુધીમાં ૧૧૧ વાહનો નોંધાયા છે.શહેર ગોકુળીયું ભાસી રહ્યું છે.
ભગવાન દ્વારિકાધીશ પણ દ્વારકા છોડીને રાજકોટમાં પધારવાના હોય તે રીતે સોસાયટીના મુખ્ય ચોક અને લતાને શણગારવામાં આવ્યા છે. આ વખતે મવડી ચોકડીથી યાત્રા શરૂ થવાની હોય આ વિસ્તારના ભાઈ-બહેનોમાં હરખની હેલી ચડી છે. આ વખતની ધર્મયાત્રા શહેરના નેવું ટકા વિસ્તારને આવરી લેવાશે. તેના કારણે તમામ વિસ્તારના લોકો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકશે.મવડી ચોકડીએ યોજાનાર ધર્મસભામાં મુખ્ય વકતા તરીકે બજરંગદળના રણછોડભાઈ ભરવાડ રહેશે. તેમજ વિહિપના ડો.પ્રવીણ તોગડીયા સાથે જવાબદારી સંભાળનાર વિનાયક રાવ દેશપાંડે, અપૂર્વ સ્વામી ઉપસ્થિત રહેશે.
મવડી ચોકડીએ તા.૮ના રોજ રાત્રે નવ વાગ્યે લોકડાયરો યોજાશે.બ્રહ્મસેના દ્વારા સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ સહિતના વિસ્તારને કેસરી ધજા-પતાકા અને રોશનીથી શણગારવામાં આવ્યો છે. તા.૯-૧૦ના રોજ પેડક રોડ, પાણીના ઘોડા પાસે રાસ-ગરબા અને દેશ ભક્તિના ગીતનો કાર્યક્રમ યોજાશે. ૧૧ જેટલી સંસ્થા દ્વારા ધર્મયાત્રાનું સ્વાગત કરાશે.કોઠારીયા કોલોનીમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. ભગવાન કૃષ્ણની મઢૂલી તૈયાર કરવામાં આવી છે. મંદિરને આકર્ષક સુશોભન કરાયું છે તેમજ ધજા-પતાકાનો શણગાર કરાયો છે. જન્માષ્ટમીની રાત્રે બાર વાગ્યે અબીલ-ગુલાલની છોળ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા ક્રિષ્ના મહોત્સવનું ચુનારાવાડ શેરી નં.૧ ખાતે આયોજન કરાયું છે. જેમાં કૈલાસ પર્વતનો અદ્દભૂત ફ્લોટ નિર્માણ કરાયો છે. તેમજ જન્માષ્ટમીની રાત્રે મટકી ફોડનો કાર્યક્રમ બાર વાગ્યે થશે.