રાજકોટ તા.૭
નેટ ચેટીંગ, મોબાઈલ, એસ.એમ.એસ. અને ફેસબુકમાં થયેલાં સંપર્કો બાદ પાંગરતાં પ્રેમ પાછળ પ્રેમી યુગલો એકબીજાને પામવા નિર્દોષ વ્યક્તિનો જીવ લેતાં પણ અચકાતા હોતા નથી. આવા વધુ એક કિસ્સામાં ઉતરપ્રદેશના કાનપુરના વતની મહેન્દ્રસિંહ વર્માની હત્યા કર્યાના આરોપ બાદ વતન છોડીને પ્રેમી ઉજ્જૈનના વતની રાજ મુલચંદ લખવાની (ઉ.વ.૨૬) સાથે છ માસથી રાજકોટમાં રહેતી નિલેમ દુબે નામની હિંદી ચેનલની પત્રકારને આર.આર.સેલે આજે પ્રેમી સાથે પકડી પાડી હતી. હત્યાના ગુનામાં વોન્ટેડ પ્રેમી યુગલનો કબ્જો લેવા ઉતરપ્રદેશ પોલીસ રાજકોટ આવી પહોચી છે.
- ફેસબૂક થકી થયેલા પ્રેમનાં ઘાતક અંજામનો વધુ એક ખોફનાક કિસ્સો
- હત્યા કર્યા બાદ મહિલા પત્રકાર અને તેનો પ્રેમી પ્રથમ જામનગર અને બાદમાં રાજકોટ રહેતા હતા
ફિલ્મની કહાનીને પણ ટક્કર મારે તેવી ઘટનાની વિગતો મુજબ કાનપુરના સુલતાનપુરના વતની મહેન્દ્રસિંહ સાથે કાનપુરના હરિપરની વતની શિક્ષીત વિપ્ર પરિવારની યુવતિ નિલમ ભાસ્કર દુબે સાથે પરિચય કેળવાયો હતો. બંને છ વર્ષ પહેલાં લગ્નગ્રંથીએ જોડાયા હતા. પત્રકારત્વની ડીગ્રી હાંસલ કરનાર શિક્ષીત પુત્રીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરતાં નિલમના પરિવારજનોએ નિલમ સાથે સબંધો કટ કરી નાખ્યા હતા. બંને વચ્ચે ચાલતાં સાંસારીક સબંધોમાં ફેસ બુકના વળગણે આગ ચાંપી હતી.
દિલ્હીમાં ખાનગી ન્યુઝ ચેનલમાં ફરજ બજાવતી નિલમને ફેસબુક મારફત ઉજ્જૈનના વતની અને દિલ્હીમાં જ રહેતાં રાજ લખવાની નામના યુવક સાથે સંપર્ક થયા હતા અને બંને વચ્ચે ફેસબુકીયો પ્રેમ પાંગર્યો હતો. અને નિલમ ગત વર્ષે નવેમ્બર માસમાં પતિ મહેન્દ્રનું ઘર છોડીને નાસી ગઈ હતી જે તે સમયે મહેન્દ્રએ નિલમ સામે ઘરમાંથી ત્રીસ હજારની રોકડ અને સોનાના ઘરેણા ચોરીને નાસી ગયાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
દરમિયાન, ગત ૨૮/૪ના રોજ મહેન્દ્રને મોબાઈલ ફોન આવ્યા બાદ મહેન્દ્ર ઘરેથી લાપતા બન્યો હતો અને આઠ દિવસ બાદ મહેન્દ્રની હત્યા કરાયેલી હાલતમાં નદી નજીકથી તા.૬/પના રોજ લાશ મળી હતી. મહેન્દ્રની હત્યા અંગે તેના ભાઈ રામ વર્માએ ઉતરપ્રદેશના ગોસાઈગંજ પોલીસમથકમાં તા.૬/૫ના રોજ હત્યા સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે મહેન્દ્રની પત્ની નિલમ તેના નિલમના બોયફ્રેન્ડ રાજ લખવાની અને નિલમની બહેન આરતીના નામ દર્શાવ્યા હતાં. ઉતરપ્રદેશ પોલીસે જે તે સમયે તપાસ કરી હતી. પરંતુ પોલીસને શકમંદ આરોપીઓ વિષે કોઈ ભાળ મળી ન હતી.
હત્યાનું આરોપી પ્રેમી યુગલ જામનગરમાં રહેતુ હોવાની માહિતી મળતાં ઉતપ્રદેશ પોલીસ જામનગર પહોંચી હતી. અને આરોપી રાજ લખવાનીના મામાના ઘરે તપાસ કરી હતી. જો કે, ત્યાં કોઈ હકિકત નહીં સાંપડતા પોલીસ પરત યુ.પી.ફરી હતી. ઉતરપ્રદેશ પોલીસના દફ્તરે હત્યાના ગુનામાં વોન્ટેડ પ્રેમી યુગલ રાજકોટમાં રહેતું હોવાની રાજકોટ રેંજ આઈ.જી. પ્રવિણસિંહાને માહિતી મળતાં છુપી રીતે આર.આર.સેલની ટીમને કામે લગાડાઈ હતી. બંનેના મોબાઈલ લોકેશન અને અન્ય વિગતોના આધારે પી.આઈ.એ.પી.જાડેજા, પી.એસ.આઈ.એમ.બી.જાની,એન.એન.ઝાલા તથા સ્ટાફે રૈયારોડના શાંતિનિકેતન પાર્કમાં ભાડાના મકાનમાં રહેતાં નિલમ તથા પ્રેમી રાજ લખવાનીને દબોચી લીધા હતા. ઉતરપ્રદેશ પોલીસે બંનેના મોકેલેલા વોરન્ટના આધારે પોલીસ હત્યાના આરોપના ગુનામાં બંનેની ધરપકડ કરી હતી.પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પુછતાંછમાં નિલમે મૂતક મહેન્દ્ર સાથે લગ્ન ન હોતા કર્યા પરંતુ માત્ર ઓળખના સબંધો હતા અને બંને સાથે રહેતા હતા. હત્યાના ગુનામાં ખોટીરીતે ફસાવી દીધાનુ પોલીસ સમક્ષ કથન કર્યુ હતું. જ્યારે મહેન્દ્રના પરિવારજનોએ મહેન્દ્ર સાથે લગ્ન કર્યા બાદ બંને વચ્ચેના સાંસારીક જીવનથી એક સંતાનને પણ જન્મ આપ્યાનું અને હાલમાં તે ચાર વર્ષનો હોવાનું પોલીસને જણાવતાં પોલીસ પણ સાચુ કોણ ? તે બાબતે મુંઝવણમાં પડી ગઈ છે જોકે યુ.પી.પોલીસ જ દુધનું દુધ અને પાણીનું પાણી કરશે. તેવી રાહમાં વધુ પુછપરછ કરવાનું ટાળ્યુ હતું. મર્ડર મિસ્ટ્રીના ડીટેક્શનમાં પોલીસ માટે વધુ એક વખત મોબાઈલફોન અને મેલ આશીર્વાદરૂપ સાબીત થયા હોવાનું જાણવા મળે છે.
પ્રેમી યુગલે કોર્ટ મેરેજ કર્યાના દશ દિવસ બાદ મહેન્દ્રની હત્યા થઈ
કાનપુરના સોની વેપારી મહેન્દ્રની હત્યાના આરોપના ગુનામાં પકડાયેલી મહેન્દ્રની પત્ની નિલમ અને પ્રેમી રાજુ લખવાનીએ જામનગરમાં ગત તા.૧૮/૪ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા જેમાં સાક્ષી તરીકે જામનગરમાં જ રહેતાં રાજુના મામા ઘનશ્યામ ખટારીયા તથા પ્રકાશે સહીઓ કરી હતી.બંનેએ મેરેજ કર્યાના દશ દિવસ બાદ તા.૨૮/૪ના રોજ મહેન્દ્ર ફોન આવતાં ઘરેથી ગુમ થયો હતો અને તા.૬/૫ના રોજ મહેન્દ્રની હત્યા કરાયેલી લાશ મળી હતી.
મારૂ મર્ડર થાય તો પત્ની નિલમ અને તેનો બોયફ્રેન્ડ રાજુ જવાબદાર
મહેન્દ્રની હત્યાના ઓરોપમાં ફસાયેલી નિલમ અને તેનો બોયફ્રેન્ડ રાજુ તો બંનેને ફસાવી દીધાનું રટણ કરી રહ્યા છે પરંતુ પોલીસને એવી માહિતી મળી છે કે જે તે સમયે મહેન્દ્રએ એક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં 'મારૂ મર્ડર થાય તો મારી પત્ની અને તેનો બોય ફ્રેન્ડ જ જવાબદાર હશે' સહિતના શબ્દો લખાયા હતા જે સ્યુસાઈડ નોટના આધારે જે તે સમયે તા.૬/૫ના રોજ મહેન્દ્રના ભાઈ રામ વર્માએ નિલમ તેના બોયફ્રેન્ડ રાજુ અને નિલમની પરિણીત બહેન આર્મી અફસરની પત્ની આરતી સામે હત્યાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી.
નિલમ રાજકોટમાં બાઈક કંપનીની એજન્સીમાં સેલ્સ મેનેજર હતી
પતિના હત્યાના આરોપમાં સપડાયેલી નિલમ તથા રાજ લખવાની બંને રાજકોટમાં છ માસથી ભાડાના મકાનમાં સાથે રહેતાં હતા. નિલમ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા બાઈક કંપનીની એજન્સીના શોરૂમમાં ૧૫ હજાર રૂપીયાના પગાર દરે સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. જ્યારે પતિ રાજ લખવાની રાજકોટમાં જ વિ રેલ નામની કંપનીમાં નોકરી કરતો હતો.
હત્યાની આરોપી નિલમના માતા, પિતા પણ પત્રકાર
હત્યાના આરોપમાં સપડાયેલા નિલમ દુબેએ જર્નાલીમની ડીગ્રી મેળવીને દિલ્હીમાં ખાનગી ન્યુઝ ચેનલોમા ફરજ બજાવી હતી. નિલમના માતા,પિતા પણ વ્યવસાયે પ્રત્રકાર છે. અને બંને ઉતરપ્રદેશમાં ખાનગી રાષ્ટ્રીય ચેનલોમાં બ્યુરો ચીફ તરીકે ફરજ બજાવતાં હોવાનું જાણવા મળે છે.હત્યાના ફરિયાદી મહેન્દ્રના ભાઈ રામ વર્માએ જે તે સમયે આરોપી નિલમના માતા,પિતા ન્યુઝ ચેનલો સાથે સંકળાયેલા હોય પોલીસ ધરપકડ નહીં કરતી હોવાના પણ ઉતરપ્રદેશ પોલીસ સામે આક્ષેપ કર્યા હતા.
પોલીસ બંને પાસેથી હત્યા કેવી રીતે થઈ તે વાત કઢાવી ન શકી
રાજકોટ આર.આર.સેલની ટીમે ઉતરપ્રદેશની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલીને સારી કામગીરી કરી છે પરંતુ પકડાયેલાં પ્રેમી યુગલ નિલમ અને રાજ બંને પાસેથી હત્યા કેવી રીતે કરાઈ ? લાશ જ્યાંથી મળી ત્યા જ હત્યા કરાઈ હતી કે અન્ય સ્થળે હત્યા કરી લાશ નદી નજીક ફેંકી દીધી ? હથિયારોનો ઉપયોગ થયો હતો ? હત્યા બંનેએ જ કરી કે સોપારી આપીને કરાવી ? સહિતની બાબતો વીશે બંને પાસેથી કશું ઓકાવી શકી ન હતી. જો કે નિલમે તો પોતે નિર્દોષ જ હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યુ હતું. નિલમના બચાવ બાબતે પોલીસે એવી માહિતી આપી હતી કે હત્યા સમયે બંનેના મોબાઈલ લોકેશન અને કડીઓ મળી રહી છે. જો કે, વિશેષ બાબતો પરથી તો રાજકોટ પહોંચનારી યુ.પી.પોલીસ જ પરદો ઉંચકી શકશે.