નવી દિલ્હી, 8 ઓગસ્ટ
પોતાના નક્કી કરેલા હેતુ સિવાયના હેતુઓને સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી ચાલતી અનેક બિનસરકારી સંસ્થાઓને મોટો ફટકો પડયો છે, કારણ કે સરકારે આવી ચાર હજારથી વધુ બિનસરકારી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે જ્યારે ૩૨ સંસ્થાઓનાં બેન્કખાતાં જ સીલ કરી દેવામાં આવ્યાં છે.
રાજ્યકક્ષાના ગૃહમંત્રી મુલ્લાપલ્લી રામચંદ્રને આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેટલીક બિનસરકારી સંસ્થાઓ તેના નક્કી કરેલા નિયમોની વિરુદ્ધ ચાલીને કામ કરતી હોવાને કારણે તેવી સંસ્થાઓની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આવી સંસ્થાઓમાંથી ૩૨ના બેંકખાતાં સીલ કરી દીધાં છે જ્યારે ૭૨ સંસ્થાઓને વિદેશી ધન લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ઉપરાંત ૪,૩૪૯ સંસ્થાઓનું રજિસ્ટ્રેશન જ રદ કરી દેવામાં આવ્યું છે.
રાજ્યસભામાં આ સંસ્થાઓ અંગે ભૂપેન્દ્ર યાદવે પૂછેલા એક સવાલના જવાબમાં મુલ્લાપલ્લી રામચંદ્રને લેખિતમાં આ સંસ્થાઓની વિગતો રજૂ કરી હતી. આ સંસ્થાઓની વધુ તપાસ સીબીઆઇ તેમજ રાજ્ય પોલીસને સોંપી હોવાનું રામચંદ્રને જણાવ્યું હતું.