અમદાવાદ, તા. ૧૧
કેન્દ્ર સરકાર ૨૧ ઓગસ્ટથી પોલિયેસ્ટર યાર્ન પરની એન્ટિ ડમ્પિંગ ડયુટી રદ કરશે. આના કારણે હમણાંથી આસમાને જઇ રહેલા પોલિયેસ્ટર યાર્નના ભાવ કાબુમાં આવશે અને મંદીના માહોલ વચ્ચે સંઘર્ષ કરી રહેલા વિવિંગ ઉદ્યોગને રાહત મળશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ એન્ડ સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ (ફીઆસ્વી)એ પોલિયેસ્ટર પરની એન્ટિ ડમ્પિંગ ડયુટી હટાવવાની કેટલાય સમયથી રજુઆત કરી હતી. નાણા મંત્રાલયે આ અંગે એક પરિપત્ર બહાર પાડયો છે કે, પોલિયેસ્ટર પરની એન્ટી ડમ્પિંગ ડયુટી ૨૦ ઓગસ્ટ સુધી જ ચાલુ રહેશે. ૨૧ ઓગસ્ટ બાદ પોલિયેસ્ટર યાર્નની આયાત કરાવતા પહેલા કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં અરજી કરીને લાઇસન્સ મેળવી લેવાનું રહેશે. કેન્દ્ર સરકારના આ નોટિફિકેશનના પગલે પોલિયેસ્ટરના ભાવ નીચા આવશે અને પોલિયેસ્ટરનું કાપડ સસ્તુ થશે.