કરજણ, તા. ૧૧
કરજણ તાલુકાના લાકોદરા ગામની સીમમાં ને. હા. ૮ પર આવેલ એક કંપનીએ કોઈ અગમ્ય કારણોસર સરકારી ટયુબવેલને પોતાના કબજામાં કરી લઈ દિવાલ ચણી લેતા છેલ્લા નવ માસથી ધરતીપુત્રોને ખેતીમાં પિયાત નહીં મળતા ખેતીના પાકો નિષ્ફળ જવા પામ્યા હતા. સંબંધકર્તાઓને કરેલી અરજીઓ તથા ઉપવાસ આંદોલન પણ નિષ્ફળ જતા વળી ચાલુ વર્ષે વરસાદની અછત વર્તાતા આ વર્ષે પણ પાક નિષ્ફળ જવાની ભીતીએ રોષે ભરાયેલા ખેડૂતો અને પિયત મંડળીના વહીવટકર્તાઓએ થાકીને જાતે જ આ દિવાલ તોડી પાડી પિયત માટેનો માર્ગ મોકળો કરી લીધાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત જળ સંપતિ નિગમ લી. દ્વારા ખેડૂતોને રાહત ભાવે પાણી મળે અને પાક પકવી શકે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં ઠેર ઠેર ગર્વમેન્ટ ટયુબવેલો બનાવવામાં આવ્યા હતા. પાછળથી પિયતની સગવડોના સ્ત્રોત વધતા આ કુવાઓ પિયત મંડળીઓને ભાડા પટ્ટે ચલાવવાની યોજના મુકવામાં આવી અને મોટા ભાગના તમામ ટયુબવેલો છેલ્લા ઘણા વર્ષોથી મંડળીઓ સારી રીતે ચલાવે છે તે મુજબ તાલુકાના આ ગામે જય અંબે પિયત જૂથ મંડળ, લાકોદરાએ ૧૭-૧૧-૧૧ થી પાંચ વર્ષના ભાડા પટ્ટે રીન્યુ કરાવી આ ટયુબવેલની બાજુમાં લાગુ એક કંપની નામની ખાનગી કંપની આવેલ છે. કંપનીએ જે તે સમયે ખરીદેલી જમીન પૈકી બ્લોક નં. ૪૩૩ વાળી જમીનમાં સને ૧૯૮૫ થી ૮૦ બાય ૮૦ ની જગ્યામાં આ પાતાળ કુવો આવેલો હતો. જયારે કંપનીએ ત્યારબાદ પાંચ દશ વર્ષ બાદ આ જગ્યા ખરીદ કર્યાનું કહેવાય છે. પરંતુ આ કંપનીએ ટયુબવેલવાળી ૮૦ બાય ૮૦ ની જગ્યાનો આગળનો ભાગ કે જે ખેડૂતો અને મંડળને વહીવટ કરવામાં મુશ્કેલી ના પડે તેટલો ખુલ્લો રાખી બાકીની દિવાલ ચણવામાં આવી હતી. જેથી કંપની અને ખેડૂતોમાં કોઈ વિવાદ સર્જાયો ન હતો.
પરંતુ આ કંપનીએ કોઈપણ કારણોસર ગત વર્ષે પંજાબ ગૃપની કોઈ કંપનીને વેચાણ આપતા આ કંપનીના ડાયરેકટરોએ કંપનીને કરી આપેલ દસ્તાવેજ આધારે વેચાણ રાખનાર નવી કંપનીના માણસોએ આ કહેવાતો સરકારી કુવા ફરતે પણ પાકી દિવાલ ચણી લઈ પોતાના કબજામાં કરી લેતા છેલ્લા નવેક માસથી ખેડૂતોને પિયત માટે મળતુ પાણી બંધ થતા ગત વર્ષનો તૈયાર થયેલો પાક છેલ્લા એકાદ બે પાણીવિના બગડતા ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન ખેડૂતોને ભોગવવુ પડયુ હતું. તેમજ સંબંધકર્તાઓને આ બાબતે મંડળ અને ખેડૂતો દ્વારા લખાપટ્ટી કરવા છતાં નિરાકરણ નહીં આવતા તેમજ ચાલુ વરસે વરસાદની અછત ઉભી થવા પામી છે. ત્યારે આ વર્ષનો પાક પણ ખેડૂતોનો પાણી વિના નિષ્ફળ જાય તેમ જણાતા રોષે ભરાયેલા ખેડૂતો અને મંડળના વહીવટકર્તાએ ભેગા મળી કાયદાની ઐસી તૈસી કરી ૩૦ થી ૩૫ જેટલા ખેડૂતો જાતે જ ત્રિકમ, કોદાળા, પાવડા લઈ આ દિવાલ તોડી પાડી કુવો ચલાવવા માટે અને કબજામાં લીધેલા ચાર ગાળા તોડી પાડી ખુલ્લુ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. જો કે કંપની વિરૂધ્ધ શરત ભંગનો કેસ ટીડીઓએ કર્યો હોય તા. ૧૬ના રોજ મળનારી કારોબારીમાં તે ચર્ચામાં લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.