નવી દિલ્હી, તા. ૧૧
સંઘના વડાનાં નિવેદનથી મોદીને ફટકો
સુશાસનની દૃષ્ટિએ બિહાર કરતાં ગુજરાત આગળ છે તેવી સંઘના વડા મોહન ભાગવતની ટિપ્પણીથી ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સમસ્યાઓમાં વધારો થયો છે. ગુજરાતનાં સુશાસન હોવાના જે દાવા પર નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાનપદની ઉમેદવારીને મજબૂત બનાવી રહ્યા હતા તે મુદ્દા પર જ ભાગવતની ટિપ્પણીથી પ્રહાર થયો છે. અત્યાર સુધી હિન્દુત્વના મુદ્દે નરેન્દ્ર મોદીને ટેકો આપી રહેલા સંઘે અચાનક જ તેનું વલણ બદલ્યું છે અને બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારના ગુણગાન ગાવાનું શરૂ કર્યં છે.
વિદેશી પત્રકારોને ભાગ્યે જ મુલાકાત આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નવી દિલ્હીમાં કેટલાક વિદેશી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિકાસની બાબતમાં બિહાર ગુજરાતથી પણ આગળ છે. સુશાસન અંગે કઈ રાજ્ય સરકાર સૌથી સારી છે તેવા પ્રશ્નના જવાબમાં મોહન ભાગવતે બિહારનું નામ આપ્યું હતું, જોકે, પાછળથી સંઘે ભાગવતનાં નિવેદનનું મીડિયાએ ખોટું અર્થઘટન કર્યું હોવાનું જણાવ્યું હતું. ભાજપે પણ દાવો કર્યો હતો કે ભાગવતે કોઈ પણ રાજ્યને આગળ ગણાવ્યું નથી. મીડિયાએ તેમનાં નિવેદનને તોડી-મરોડીને રજૂ કર્યું છે.
આ પત્રકાર પરિષદમાં હાજર પત્રકારોના જણાવ્યા પ્રમાણે ભાગવતે કહ્યું હતું કે 'બિહાર, ગુજરાત, અમુક અંશે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો.' સુશાસનની દૃષ્ટિએ આગળ છે. તેમણે બિહારને આગળ મૂક્યું હોવા અંગે તેમને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે 'આવું લોકો કહે છે,' આમ, સરસંઘચાલકે ઇશારા ઇશારમાં બિહારને આગળ ગણાવીને નીતીશ અને મોદી વચ્ચે ચાલી રહેલી લડાઈને નવો વળાંક આપી દીધો છે.
ભાગવતને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાનપદનો ઉમેદવાર કોણ હશે તે અંગેના પ્રશ્નના જવાબ આપવાનો ઇનકાર કરતાં આ મામલે ભાજપ અને એનડીએ નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું. આ પહેલાં વડાપ્રધાનપદના ઉમેદવાર અંગે નીતીશ પર જ નિશાન તાકતાં ભાગવતે કહ્યું હતું કે કોઈ હિંદુત્વવાદી દેશનો વડાપ્રધાન શા માટે ના હોઈ શકે. આ નિવેદન બાદ એનડીએમાં વડાપ્રધાનપદને લઈને ઘમાસાણ શરૂ થઈ ગયું હતું.
ભાજપે ભાગવતનાં નિવેદન પર વિવાદનો મધપૂડો છંછેડાવાની શક્યતાનો ઇનકાર કરતાં મીડિયાએ નિવેદનને તોડી-મરોડીને રજૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે આરએસએસે પણ ભાગવત દ્વારા આવાં કોઈ નિવેદનો ઇનકાર કર્યો છે. મીડિયાના એક વર્ગે તોડી-મરોડીને રજૂ કરેલાં નિવેદન પર હું જવાબ આપી શકું નહીં.
ભાગવતનાં નિવેદનનો અર્થ શું ?
સંઘપ્રમુખનું આખરે હૃદયપરિવર્તન કેમ થયું કે પ્રશ્ન અગત્યનો બની ગયો છે. ભાગવતનાં આ નિવેદનને નીતીશને ખુશ કરવાના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. નીતીશે હાલમાં જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યુપીએને સમર્થન આપીને એનડીએથી દૂર થવાના સંકેતો આપ્યા હતા. મોહન ભાગવતે આ નિવેદન એનડીએમાં પડી રહેલી તિરાડને રોકવા માટે પણ આપ્યું હોઈ શકે. બીજો એક સવાલ પણ છે કે મોદીએ વડાપ્રધાન માટે પારોઠનાં પગલાં તો નથી ભર્યાં ને ?
મીડિયાનું અર્થઘટન ખોટું : સંઘ
સંઘપ્રમુખ ભાગવતે આપેલાં નિવેદન બાદ વિવાદ સર્જાવાનાં એંધાણને જોતાં સંઘે તાત્કાલિક પ્રતિક્રિયા આપીને મીડિયાએ નિવેદનનું ખોટું અર્થઘટન કર્યું હોવાની વાત કહી હતી. સંઘના પ્રવક્તા રામ માધવે કહ્યું હતું કે મીડિયાની વાત ખોટી છે અને ભાગવતજીએ કોઈ રાજ્યને સુશાસન અંગે અગ્રતાક્રમ આપ્યો જ નથી.
ભાગવતનાં નિવેદન પર કોણે શું કહ્યું
'મોહન ભાગવત એક અનુભવી વ્યક્તિ છે અને બિહાર અંગે જે કંઈ કહ્યું તે સત્ય છે. તેનાં નિવેદનથી સાબિત થાય છે કે નીતીશકુમાર દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી છે. ' -શરદ યાદવ, જેડીયુ
'ભાગવતે બીજાં લોકોએ કહેલી વાત જ કહી છે. બિલ ગેટ્સ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને રાહુલ ગાંધી પણ બિહારના વિકાસનાં વખાણ કરી ચૂક્યા છે ' -નિરજકુમાર, પ્રવક્તા, જેડીયુ
'ભાગવતનાં આ નિવેદનથી નીતીશકુમારનો કોમવાદી ચહેરો સામે આવ્યો છે. સંઘની પ્રશંસાને કારણે સાબિત થઈ ગયું છે કે સંઘને મોદી કરતાં નીતીશ વધુ પસંદ છે.' -રામકૃપાલ યાદવ, મહાસચિવ, આરજેડી