નવી દિલ્હી, તા. ૧૧
- ૬.૫ ટકાનો આર્થિક વિકાસદર હાંસલ કરવાનો આશાવાદ
- ભારતીય અર્થતંત્રના ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનો દાવો
આંતરરાષ્ટ્રીય રેટિંગ સંસ્થા મૂડીઝ દ્વારા ભારતનો ગ્રોથરેટ આ વર્ષે નીચો રહેવાની કરવામાં આવેલી આગાહી ચિંતાજનક હોવાનું મનમોહનસિંહે જણાવ્યું હતું, જો કે તેમણે દાવો કર્યો હતો કે ભારતીય અર્થતંત્રના ફન્ડામેન્ટલ્સ મજબૂત છે. ભારત ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે સારો દેખાવ કરીને ૬.૫ ટકાનો વિકાસદર હાંસલ કરશે તેવી આશા તેમણે દર્શાવી હતી. મૂડીઝની આગાહી ચિંતાજનક છે પણ કોઈએ તેના પરથી અનિચ્છનીય તારણો કાઢવાં જોઈએ નહીં.
મૂડીઝ દ્વારા આ અઠવાડિયાની શરૂઆતમાં ચાલુ વર્ષે ભારતનો આર્થિક વિકાસદર ૫.૫ ટકા રહેશે તેવી આગાહી કરી હતી. મનમોહનસિંહે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્રનાં ચાલકબળ સમાન પરિબળો મજબૂત છે. દેશમાં મૂડીરોકાણ અને બચતનું પ્રમાણ વિશ્વમાં સૌથી ઊંચું છે. ગયા વર્ષ કરતાં પણ આ વખતે સારી કામગીરી કરીને ૬.૫ ટકાથી વધુ વિકાસદર હાંસલ કરી શકીશું.
મૂડીઝના નિષ્ણાતો દ્વારા આ વર્ષે ભારતનો જીડીપી ગ્રોથ ૫.૫ ટકા રહેવાની આગાહી કરાઈ હતી જ્યારે ૨૦૧૩માં ગ્રોથરેટ ૬ ટકા રહેશે તેવી ધારણા વ્યક્ત કરાઈ હતી. અગાઉ આ ગ્રોથરેટ ૬.૨ ટકા રહેવાનો અંદાજ રજૂ કરાયો હતો. વૈશ્વિક અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ, દેશમાં નીતિવિષયક વિલંબ, નબળું ચોમાસું જેવાં પરિબળોને કારણે રોકાણકારોએ વિશ્વાસ ગુમાવ્યો છે અને માગ ઘટી છે તેમ મૂડીઝે જણાવ્યું હતું.
વડાપ્રધાન ઈકોનોમીનું સાચું ચિત્ર રજૂ કરતા નથી : ભાજપ
ભારતીય અર્થતંત્ર અંગે વડાપ્રધાનનું નિવેદન સત્યથી વેગળું છે અને સાચી હકીકતો છૂપાવે છે તેમ ભાજપે જણાવ્યું હતું. ભાજપના અરૂણ જેટલીએ કહ્યું હતું કે સરકારે આ સમસ્યાને ચેતવણીસૂચક ગણવી જોઈએ. ઈકોનોમીને સુધારવા માટે આવશ્યક પગલાં લેવાં જોઈએ. વડાપ્રધાન એવો દાવો કરે છે કે ભારતીય અર્થતંત્રના ફન્ડામેન્ટ્લ્સ મજબૂત છે તે આશ્ચર્યજનક છે તેઓ સાચી સ્થિતિ છુપાવી રહ્યા છે તેવો આક્ષેપ રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ કર્યો હતો. દેશમાં નવું રોકાણ આવતું નથી. ફુગાવો આસમાને પહોંચ્યો છે. ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, નીતિવિષયક નિર્ણયો લેવાતા નથી ત્યારે સરકારનો આ દાવો કેવી રીતે સાચો માની શકાય તેમ જેટલીએ કહ્યું હતું.
મંદી દૂર કરવા સરકારને લાંબાગાળાની નીતિ ઘડવા કંપની ક્ષેત્રનું સૂચન
ભારતીય અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે કંપની જગતના માંધાતાઓએ સરકારને લાંબાગાળાની નીતિ ઘડવાનો અનુરોધ કર્યો હતો. સરકારની નીતિઓ અસ્પષ્ટ અને વિલંબકારી છે તેવો આક્ષેપ કંપની ક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. હાલની આર્થિક સમસ્યાઓ માટે તેમણે વ્યાજના ઊંચા દરને જવાબદાર ગણાવ્યા હતા. ઈન્ફોસિસના કામથ અને જીવીકે ગ્રૂપના સંજય રેડ્ડીએ કહ્યું કે નીતિવિષયક નિર્ણયોમાં વિલંબ, ઔદ્યોગિક ઉત્પાદનમાં મંદી, વ્યાજના ઊંચા દર અને બજારમાં ફરતાં નાણાંની ઓછી તરલતા જેવી સમસ્યાને કારણે ગ્રોથરેટ ઘટયો છે. ઉદ્યોગો માટે ઊંચા વ્યાજદર સૌથી મોટો પ્રશ્ન છે. સરકારની જમીન સંપાદનનીતિ અને પર્યાવરણનીતિ સ્પષ્ટ નથી. નારાયણર્મૂિત અને અઝીમ પ્રેમજીએ પણ સરકારની નીતિની ટીકા કરી હતી.