પાલનપુર, તા.૧૧
ઝહીરખાન અનવરખાન પઠાણ નામના ઇસમને નાણાકીય લેવડદેવડ મામલે અદાવત રાખીને બાલારામ ખાતે જીવતો સળગાવી દેવાતા દાઝી ગયેલ ઝહીરભાઇને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની તબીયત વધુ ગંભીર જણાતા સારવાર અર્થે મહેસાણા લઇ જવાની તજવીજ હાથ ધરી હતી.
ઉપરોક્ત બનાવ સંદર્ભે પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર પાલનપુરમાં રહેતા ઝહીરખાન અનવરખાન પઠાણની પાસે કોઇ માણસો પૈસાની ઉઘરાણી કરતા હતા અને તેના અનુસંધાને આ ઘટના બની હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જ્યારે આ કેસના સંદર્ભમાં અસરગ્રસ્તના ભાઇ એ જણાવ્યા અનુસાર તેના ભાઇ પાસે એક ઈસમ રૂ.૨૫૦૦૦ માગતો હોવાનું કહીને ઉઘરાણી કરવા આવ્યો હતો આથી તેના પૈસા અમે આવતીકાલે આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમને જાણવા મળેલ કે કોઇ ઇસમ તેને બાઇક પર બેસાડીને લઇ ગયેલ અને ત્યારબાદ બાલારામથી ફોન આવ્યો હતો અને મારા ભાઇને સળગાવી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
આમ ઉપરોક્ત ઘટનામાં નાણાકીય લેવડ દેવડના મુદ્દે અદાવત રાખીને જીવતો સળગાવી દેવાની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં દારૂ અને જુગાર અને વરલી મટકાના કાળા કારોબારમાં કેટલાય પરિવારો બરાબર થઇ રહ્યા છે. ત્યારે ઉંચા વ્યાજે નાણા ધીરધારનો ધંધો પણ બેરોકટોક ચાલી રહ્યો છે.