વડોદરા,તા.૧૧
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં જૈન તથા જૈનેતરમાં પણ જેઓની ઓળખ ઉચ્ચ કોટીના સંત તરીકે છે તેવા પ.પૂ.યુગદિવાકર આચાર્યશ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ની ૧૦૯ મી જન્મ જયંતીની કાલે શહેરમાં ઉજવણી થશે.કોઠીપોળ જૈન સંઘ ખાતેથી સવારે શોભાયાત્રાનું આયોજન કરાયું છે તો સાંજે ૧૧ સંઘોના ઘોડિયા પારણાં તથા ૧૪ સ્વપ્ન દર્શન યોજાશે. ધર્મસૂરીશ્વરજી મ.સા.એ દીક્ષા ગ્રહણ કર્યા બાદ સૌપ્રથમ ચોમાસુ(ચાર્તુમાસ) તેઓએ વડોદરા કર્યુ હતું તે દ્રષ્ટીએ આ મહોત્સવ વડોદરા જૈન સંઘના આંગણે મહત્વનો ગણાય છે.
- પ્રથમ ચાર્તુમાસ વડોદરામાં રહ્યા હતા
આચાર્યશ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.એ દીક્ષા ગ્રહણ કર્યા બાદ સન ૧૯૨૧ માં એટલે કે આજથી ૯૧ વર્ષ પહેલા વડોદરામાં પ્રથમ ચાર્તુમાસ કર્યુ હતું. અને તે સમયે તેઓએ સામૂહિક વ્યાખ્યાન યોજ્યા હતા. ત્યારે પ્રથમ પ્રવચન શ્રેણી તેઓએ કોઠીપોળ જૈન સંઘમાં કરી હતી. સન ૧૯૨૧ બાદ તેઓએ વડોદરામાં સન ૧૯૪૯ માં જાની શેરીમાં અને સન ૧૯૫૨ માં કોઠીપોળ જૈન સંઘ ખાતે ચાર્તુમાસ કરેલું હતું. ૧૯૨૧ પ્રથમ વખતે તેઓ જ્યારે વડોદરા પધારેલા ત્યારે વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ તેમને નિયમિત રીતે મળવા આવતા હતા. ૨૫ વર્ષ પૂર્વે મુંબઇથી પાલીતાણાનો છરીપાલિત સંઘ લઇને તેઓ જ્યારે વડોદરા પધાર્યા હતા ત્યારે કોઠીપોળના નવા ઉપાશ્રયનું ઉદઘાટન પણ તેમના હસ્તે જ થયેલું હતું.
તા.૭ મી માર્ચને ૧૯૮૨ માં ધર્મસૂરીશ્વરજી મ.સા. કાળધર્મ પામ્યા ત્યારે તેમની કાળધર્મ યાત્રામાં એક લાખ કરતા પણ વધુ લોકો એકઠા થયા હતા અને મુંબઇમાં ૨૨ કિ.મી. લાંબી કાળધર્મયાત્રા નીકળી હતી.
તેઓની ૧૦૯ મી જન્મ જયંતીની કાલે વડોદરામાં ઉજવણી થઇ રહી છે. તે નિમિત્તે કાલે રવિવારના રોજ સવારે ૮ કલાકે કોઠીપોળ જૈન સંઘ ખાતેથી શોભાયાત્રા નીકળશે. ૯ કલાકે ગુરૂગુણ ગૌરવગાથા સભા થશે. સાંજે ૬ કલાકે આરતી, સંધ્યા ભક્તિ ઉપરાંત ૧૧ સંઘોના ઘોડિયા પારણાં તથા ૧૪ સ્વપ્ન દર્શનનું આયોજન કરાયું છે. આ પ્રસંગે આચાર્યશ્રી ધર્મસૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય પદ્માનંદસૂરીશ્વરજી ઉપસ્થિત રહેશે.