ભાવનગર/ઉમરાળા તા.૧૧
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે આવેલ રંઘોળા ડેમ પાસે ઝેરી ચણ ખાતા ૧૦૦ થી વધુ શાંતિદૂતોના મૃત્યુ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા વન વિભાગ દોડતુ થયુ હતું અને વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈ આટલી મોટી સંખ્યામાં કબુતરના મૃત્યુ અંગે તાબડતોડ તપાસ હાથ ધરી હતી.
- વન વિભાગ દોડતુ થયુ : પીએમ કરી નમુના જુનાગઢ મોકલાયા
- વિકૃત માનસ ધરાવતા શખસે કૃત્ય આચરતા પક્ષી પ્રેમીઓમાં રોષ
- કબૂતરોની સંખ્યા અંગે મોડીરાત સુધી મતમતાંતર
બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રંઘોળા ગામે આવેલ રંઘોળા ડેમની ખુલ્લી જગ્યામાં હજારોની સંખ્યામાં પક્ષીઓ ચણવા આવે છે. દરમ્યાન આજે સવારના સુમારે કોઈ વિકૃત માનસ ધરાવતા શખસોએ ચણમાં ઝેરી પદાર્થ ભેળવી ચણ નાખતા કબુતરો ઝેરી ચણને ખાઈ જતા ૧૦૦-૧રપ જેટલા કબુતરોના ઝેરી અસરથી મોત થયા હતા. આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા એ.સી.એફ એન.ડી.વાઘેલા સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને કબુતરના મૃત્યુ અંગેના સાચા કારણની જાણકારી માટે કબુતરોને પીએમ માટે મોકલી દિધા હતા.
જ્યાં પ્રાથમિક તપાસમાં ઝેરી ચણને કારણે કબુતરોના મોત થયા હોવાનું ખુલતા પીએમના રીપોર્ટ અને નમુનાઓ જુનાગઢ ખાતે મોકલી અપાયા હોવાનુ વનવિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું. એસીએફ વાઘેલાએ વાતચીતમાં જણાવ્યુ હતું કે, સીડયુલ્ડડ ફોરમાં સમાવેશ થતા કબુતરોના મોત અંગે હાલ વિન વિભાગે અજાણ્યા શખસો સામે કાર્યવાહી હાથ ધરી છે.
આટલી મોટી સંખ્યામાં શાંતિદૂતોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા પક્ષી પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને આવી વિકૃતી ધરાવતા શખસો સામે તાત્કાલિક અસરે કાર્યવાહી થાઈ તેવી માંગ કરવામાં આવી છે.