ભુજ, તા. ૧૧
શ્રાવણ વદ આઠમની રાત્રિએ કચ્છ જાણે ગોકુળમય બની ગયું હોય તેવો માહોલ જામ્યો હતો. નંદ કિશોરના જન્મને વધાવવા જિલ્લામાં ઠેરઠેર અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રવાડી, મટકી ફોડ, રાસની રંગતો જામી હતી અને લગભગ જગ્યાએ મેળાઓ ભરાયા હતા જેને મનભરી લોકો માણતા હતા.
ભુજ : ભુજવાસીઓએ કૃષ્ણ જન્મને વધાવવા અનેક કાર્યક્રમો ઘડી કાઢયા હતા. સવારથી રાત સુધી લોકો કૃષ્ણના રંગે રંગાયેલા રહ્યા હતા. દરબારગઢ પાસે બપોરે શોભાયાત્રા, ઉપરાંત ઉપલી પાળ પાસે વંડી ફળિયા, નાગરચકલા, તળાવ શેરી સહિત ઠેરઠેર ગોવિંદાઓએ મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમ ભારે ભકિતભાવપૂર્ણ આટોપાયો હતો. મહાલક્ષ્મીધામના હિતશ મહારાજે કરેલા દીપ પ્રાગટય બાદ નગરપતિ નરેન્દ્રભાઈ ઠક્કરે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. રાત્રિના સ્વામિનારાયણ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં રાસોસ્ત્વ, મટકી ફોડ, વેશભૂષા સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા.
અંજાર : જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૃપે શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીકૃષ્ણ જન્મની ધામધૂમ એવમ હર્ષાલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત અંજાર સોરઠિયા (આહિર) સમાજ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ તેમજ શોભાયાત્રાને લઈ વિશાળ સંખ્યામાં જનમેદની આ અવસરનો લાભ લેવા એકત્ર થયા હતા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી નાદ કરતા શોભાયાત્રામાં ઉમટી પડેલા, તો આ શોભાયાત્રામાં મહાલવા શહેરના વિવિધ માર્ગો પર લોકોની ભીડ ઉમટી પડેલી. સાંજે સચ્ચિદાનંદ મંદિરના ફાર્મ હાઉસમાં નંદ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આદિપુર : જન્માષ્ટમી ઉત્સવ સમિતિ તથા વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે આદિપુરમાં શોભાયાત્રા નીકળી હતી. સવારે ૯-૦૦ વાગ્યે ૩ વારી અંબેમાના મંદિરથી શોભાયાત્રા શરૃ થઈ હતી. નાના બાળકો શ્રીકૃષ્ણ ભગવાનના વેશમાં શહેરની પરિક્રમા કરી હતી.
મુન્દ્રા : છેલ્લા પચ્ચીસ વર્ષથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા નુકકગ્રુપ દ્વારા જન્માષ્ટમીની પરંપરાગત અને ઉત્સાહભે ર ઉજવણી કરવામાં આી હતી. આ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ રાંધણ છઠ્ઠના રાત્રિના અખિલમ, મધુરમના નૃત્ય તથા કચ્છી નાટક માથાભારે પડોશી સાથે થયો હતો. શીતળા સાતમના સાંજે કોટેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી યોજાઈ હતી. જન્માષ્ટમીના નૃસિંહજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી અનેક સ્થળેએ મટકી ફોડ કરવામાં આવી હતી. કોટેશ્વર મંદિરના મંદિરમાં અંતિમ મટકી ફોડના અંતે સુશોભિત મટકીના પ્રથમ વિજેતા મચ્છુ કઠિયા સઈસુતાર યુવક મંડળને રૃ. પ૦૦૧, દ્વિતીય સ્વામિનારાયણ મંદિર યુવક મંડળને રૃ. રપ૦૦ તથા તૃતીય સ્થાન મળેલા રણછોડરાય મંદિર યુવક મંડળને રૃ. ૧પ૦૦ના ઈનામો પ્રવીણભાઈ ગણાત્રા, વિશ્રામભાઈ ગઢવી, કિશોરસિંહ પરમાર, ધર્મેન્દ્ર જેસર, રમેશ ભટ્ટના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. રાત્રિના યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસલીલા બાદ મોડી રાત્રે મદનમોહનાય અને પન્નાલાલ હવેલી મધ્યે કૃષ્ણ જન્મ થતાં જ વાતાવરણ નંદ ઘેર આનંદ ભયોના વાતાવરણથી ગુંજી ઉઠયું હતું.
રાપર : જગતપિતા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વાગડના રાપર શહેરે ધામધૂમપૂર્વક મનાવ્યો હતો, જેમાં સમગ્ર વાવતારણ ભકિતમય રહ્યું હતું. યોગેશ્વર મંદિરેથી દરિયાસ્થાન સુધી ગોવિંદા આલા રે ના નાદ સાથે રવાડી નીકળી હતી, તો ૧ર વાગ્યે દરિયાસ્થાન મંદિરે મટકીફોડમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સાંજે ૪ વાગ્યે મોટાવાસ રામ મંદિરે, રાધાકૃષ્ણ મંદિર (અયોધ્યાપુરી), રામમંદિર શંકરવાડી, ગોકુલનગર વિગેરે મંદિરોએ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમ નિમિત્તે રતનેશ્વર મંદિરે મેળાનું આયોજન કરવામાં આવેલું.
માંડવી : જન્માષ્ટમી - શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભાવપૂર્વક માંડવીના નગરજનોએ કરી હતી. માંડવીના માંડવી નગર સેવા સદન આયોજિત પ્રથમ મટકીફોડ હરીફાઈ તેમજ વિવિધ સમાજના યુવાનો દ્વારા તલવારબાજી, લાકડી, ચકરફેરના દાવો રજૂ કરાયા હતા, જેમાં પ્રથમ, બીજા, ત્રીજાને રોકડ પુરસ્કાર અપાયા હતા. માંડવીના વસંતબેન સાયલ, મુલેશ દોશીએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. જ્યારે નોમના માંડવી લોહાણા સમાજની નાની રવાડી નીકળી હતી, જેમાં લોહાણા સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગઢશીશા : ગઢશીશાના બાજુમાં રાજપર અને ભૈરયા ગામની વચ્ચે બિલેશ્વર મહાદેવના મંદિર પાસે જન્માષ્મીનો મેળો યોજાયો હતો. જેનો ગઢશીશા, રાજપર, ભેરૈયા, વિરાણી નાની, લુડવા, દરશડી, વાંઢ આ બધા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો માણ્યો હતો. ભાવિકો મેળાનો આનંદ માણવા ઉમટી પડયા હતા.
વિથોણ : નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે ઉપાસના વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના વિદ્યાર્થીઓ શ્રીકૃષ્ણ અને વિર્દ્યાિથનીઓ રાધાબની હતી. શ્રીકૃષ્ણ જન્મ નાટક પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બધા કૃષ્ણ અને રાધાની જેમ રાસલીલા પણ રમ્યા હતા અને મટકી પણ ફોડવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષક સ્ટાફગણ અને બાળકો ગરબા પણ રમ્યા હતા.
રવાપર : જન્માષ્ટમીના કૃષ્ણ જન્મોત્સવની સાથે આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામે રાસ - ઉત્સવ મટકીફોડ જેવા કાર્યક્રમ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, લક્ષ્મીનારાયણ મંદિર ખાતે લક્ષ્મીનારાયણ સનાતન સમાજના યુવક મંડળના સભ્યોએ ઈલકેટ્રીક ટેકનિશિયનના મદદથી મંદિરમાં રાત્રિના બરોબર બાર વાગ્યે ઘોર અંધારી રાત્રિનું દ્રશ્ય ખડું કરી વીજળીના કડાકા - ભડાકા સાથે આપણે મથુરા નગરીમાં હોઈએ તેવો અહેસાસ કરાવી લાલાના જન્મને વધાવી ધન્યતા અનુંભવી હતી અને નોમના બપોરે શિવ મંદિર ચોક ખાતે ભવ્ય મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
લખપત : શ્રાવણ મહિનાની વદ - ૮ અષ્ટમી એટલે શ્રીકૃષ્ણની જન્માષ્ટમી દર વર્ષની જેમ લખપતના પાટીદાર ગામોમાં સાતમ - આઠમના તહેવારોમાં પરદેશથી આવતા અને પોતાના વતનમાં તહેવારોનો લહાવો લૂંટવા માટે કેટલીય જનમેદની આ તાલુકામાં ઉમટી પડે છે. પ્રથમ જન્મ મહોત્સવ અને પછી રાસમાં જોડાયા અંતે સવાર ક્યારે થઈ તે કોઈને ખબર ન રહી અને સવાર પડતાં જ ઢોલના તાલે નંદ મહોત્સવ એટલે ઠેરઠેર માટલી માખણની હાંડલીઓ ફોડવા આવી હતી.
કોટડા ચાંદ્રાણી : અંજાર તાલુકાના કોટડા ચાંદ્રાણી ગામે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મોટાભાગે આહિર સમાજની વસ્તી ધરાવતા આ ગામે વર્ષાની પરંપરા મુજબ ગામની આહિરાણીઓ દ્વારા માટીમાંથી ગોરબાઈ - કાનુડો એટલે કે શ્રીરાધાકૃષ્ણની મૂતિઓ બનાવવામાં આવે છે, ત્યારબાદ આ મૂર્તિઓને સોનાના આભૂષણો પહેરાવવામાં આવે છે. ત્યારબાદ શોભાયાત્રા રાસ રમવામાં આવે છે.
નારાયણ સરોવર : ચાર પવિત્ર સરોવરમાંના એક એવા નારાયણ સરોવરમાં કૃષ્ણ જન્મને વધાવવા, ગ્રામજનો ઉપરાંત ઠેરઠેરથી લોકો ઉમટી પડયા હતા, ત્રિવિક્રમયરાજી મંદિરમાં મટકીફોડ ઉપરાંત રાસોત્સવ પણ યોજવામાં આવ્યો હતો અને કૃષ્ણ જન્મને ધામધૂપર્વક ઉજવવામાં આવ્યો હતો.