અમદાવાદ,તા.૧૬
અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થયેલા બંને કિનારાના સાડા સાત કિ.મી. વોક-વે મુખ્યમંત્રીનરેન્દ્ર મોદીએ જનતા માટે વિધિસર ખુલ્લો મૂક્યો હતો. સ્વાતંત્ર દિવસની સલૂણી સંધ્યાએ સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે અને વોટરસ્પોર્ટ્સનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક વિકાસનું વિઝન રાજ્ય સરકારે ગુજરાતની ધરતી ઉપર ઉતાર્યું છે.અમદાવાદ જ નહીં ભારત માટે સાબરમતી રિવરફ્રન્ટ નજરાણું બની રહેશે.નર્મદાનાં વહેતાં નીરથી છલકાતી સાબરમતીએ અમદાવાદની રોનક તો વધારી જ છે પરંતુ નદીનું પર્યાવરણીય શુદ્ધિકરણ થયું છે તેવો ઉલ્લેખ કરી તેમણે રિવરફ્રન્ટને પણ સ્વચ્છ-સુથરા રાખવા નગરજનો અપીલ કરી હતી..
- સ્વાતંત્ર દિને સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે અને વોટરસ્પોર્ટ્સનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
- શહેરીજનો રિવરફ્રન્ટ પર ઊમટી પડયાં
સાબરમતી રિવરફ્રન્ટનાં ડિઝાઈન આયોજનને અત્યાર સુધીમાં જ નવ જેટલા ગૌરવ એવોર્ડ પ્રાપ્ત થયા છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે જેઓ ગુજરાતને બદનામ કરવા માગે છે તેમને ગુજરાતે નર્મદા યોજનાનાં પર્યાવરણ અંગે વિશ્વબેંકની નકારાત્મક માનસિકતાનો પણ ભૂકંપ પુનઃવર્સનમાં પર્યાવરણ-રક્ષાનો વર્લ્ડ બેંકનો જ ગ્રીન એવોર્ડ જીતીને જવાબ આપી દીધો હતો.આ જ રિવરફ્રન્ટમાં ઝૂંપડપટ્ટીના સ્લમ વિસ્તાર દૂર કરીને પાકા આવાસો બાંધીને વસાવ્યાં છે. કોંગ્રેસીઓએ અસરગ્રસ્તોને ઉશ્કેરવા અને રિવરફ્રન્ટના હવનમાં હાડકાં નાખવા અદાલતનો મનાઈહુકમ લાવવા હવાતિયાં માર્યા હતાં.પણ હુડકોએ અસરગ્રસ્તોની આ નવી વસાહતોને ઉત્તમ ગણાવીને એવોર્ડ આપ્યો છે.
કોંગ્રેસ પર આકરાં પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, આપણો દેશ ગરીબ અને વિકાસથી વંચિત રહ્યો છે એની પાછળ કોંગ્રેસની આ દરિદ્રની નબળી માનસિકતા જ જવાબદાર છે.ગુજરાતવિરોધીઓ દારિદ્રયની માનસિકતાથી ગુજરાતનું જ અહિત કરી રહ્યા છે.એક બાજુ વડાપ્રધાન તેમનાં પ્રવચનમાં ઉદ્યોગો, વિદેશી મૂડીરોકાણ યુવાનોના કૌશલ્ય ઉપર ભારત મૂકે છે ત્યારે ગુજરાતે આ દિશામાં મેળવેલી સફળ સિદ્ધિઓનો વિરોધ કરતી વિજ્ઞાપનો અહીંના તેમના પક્ષના નેતાઓ પ્રસિદ્ધ કરે છે એવો ર્માિમક કટાક્ષ તેમણે કર્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ માટેની ઉત્તમ ફોટોગ્રાફીસ્પર્ધાનો પ્રાંરભ કરાયો છે. દર મહિને ઉત્તમ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા નેટવર્ક ફેસબુક ઉપર મૂકીને સ્પર્ધા કરાશે અને વર્ષે શ્રેષ્ઠત્તમ ફોટાને રૂ. છ લાખની મોટરકારનું પ્રથમ ઈનામ પણ અપાશે.
શહેરી વિકાસમંત્રી નીતિન પટેલે સાબરમતી નદી સહિત રાજ્યમાં પીવાનાં પાણી, ખેતીવાડી અને સિંચાઈ માટે નર્મદાનાં જળ લોકો સુધી લઇ જવાની પ્રતિબદ્ધતામાં પણ કેન્દ્ર સરકાર અવરોધક બની છે તેનો ઉલ્લેખ કરી ઉમેર્યું કે, નર્મદા બંધની ઊંચાઈ વધારવા તથા દરવાજા મૂકવાની પરવાનગી ન અપાતાં આજે બંધ છલકાઈ રહ્યો છે જેથી તેના જળ ભરૂચ નજીક દરિયામાં નિરર્થક વહી જાય છે, જો કેન્દ્ર તેની આડોડાઈ દૂર કરે ને પરવાનગી આપે તો ગુજરાતના અનેક વિસ્તારોને આ જળ પહોંચાડી શકાય. વિપક્ષના નેતાઓ ગુજરાતના વિકાસના સાચા હિંતચિંતક હોય તો કેન્દ્રમાં આ અંગે કેમ રજૂઆત તેમના નેતાનાઓ પાસે કરતા નથી તેવો વેધક સવાલ પણ શહેરી વિકાસમંત્રીએ કર્યો હતો.
સપ્ટેમ્બરથી સાબરમતીમાં ફેરી સર્વિસ શરૂ થશે : વોટર બસના ઓર્ડર અપાયા
અમદાવાદ : અમદાવાદીઓને હવે બસની રાહ જોવી નહી પડે તેમજ ટ્રાફિકના કંટાળા વિના નદીમાં બોટિંગની મજા સાથે અવરજવર કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. સાબરમતીમાં વાસણાથી લઇને છેક વાડજ સુધી વોટર બસમાં અવરજવર કરી શકાશે.સપ્ટેમ્બર સુધીમાં ફેરી સર્વિસ શરુ થાય તેવી શક્યતા છે. આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર, વોટર સ્પોર્ટસની સુવિધા બાદ હવે કોલકત્તાની જેમ હવે અમદાવાદમાં પણ સાબરમતી નદીમાં ફેરી સર્વિસ શરુ કરવા મ્યુનિ,કોર્પોરેશન આયોજન હાથ ધર્યું છે. અત્યારેશહેરમાં ઝડપી અવરજવર માટે જેમ બીઆરટીએસ શહેરીજનોમાં લોકપ્રિય બની છે તેમ આગામી દિવસોમાં હવે વોટર બસ મારફતે નદીમાં શહેરના બંન્ને છેડે સુધી ગણતરીની મિનિટોમાં આવનજાવન કરી શકાશે. પ્રથમ તબક્કામાં વાસણાથી પિરાણાને જોડતા આંબેડકર બ્રિજથી માંડીને વાડજના દધિચિ બ્રિજ સુધી ફેરી સર્વિસ શરુ કરવામાં આવનાર છે. જે માટે વોટરબસના ઓર્ડર સુધ્ધાં આપી દેવાયાં છે.આમ આગામી દિવસોમાં પરિવહનનું નવલું નજરાણું ધરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારી કરી છે.
.jpg)
.jpg)
.jpg)
.jpg)