વડોદરા,તા. ૧૭
રૂ. ૧ કરોડની ખંડણી વસૂલવા માટે ગોત્રીના એક કર્મકાંડી બ્રાહ્મણના સગીર વયના પુત્રના અપહરણના ચકચારભર્યા બનાવમાં સંડોવાયેલા બિપિન પટેલના ૧૨ વર્ષના પુત્ર પ્રિતેષની આજે શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જયારે તેના પિતા બિપિન પટેલનીપોલીસ દ્વારા તલસ્પર્શી પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. ૧ કરોડની ખંડણી માટે અપહરણના બનાવમાં બાળ ગુનેગારની ધરપકડ કરવામાં આવી હોય તેવો કદાચ શહેરનો આ પહેલો બનાવ છે.
- ગોત્રીના કર્મકાંડી બ્રાહ્મણના સગીર વયના પુત્રનું અપહરણ કરી
- અપહરણ કરવા માટે પાડોશીના ૧૨ વર્ષના પુત્રની મહત્વની ભૂમિકા
- પાડોશી બિપીન પટેલે પરેશ પંડયા પાસેથી રૂ. ૭ લાખ વ્યાજે લીધા હતા
- પાડોશી બિપીનની પૂછપરછ જારી ધરપકડનો આંક ૩ થયો અપહરણ અને ખંડણીના બનાવમાં ૧૨ વર્ષના કિશોરની ધરપકડ થઈ હોય તેવો પહેલો બનાવ
ઈન્વેસ્ટિગેશન ઉપર પ્રકાશ પાડતા કમિશનરે ઉમેર્યુ હતુ ંકે કર્મકાંડી બ્રાહ્મણ પરેશભાઈ પંડયાએ થોડાક સમય પહેલા સેવાસી ખાતેની વડીલોપાર્જિત્ત મિલકત રૂ. ૧.૭૫ કરોડમાં વેચી હતી. ત્રણ ભાઈઓ વચ્ચે આ રકમના સરખા ભાગ પડયાં હતા. આ હિસ્સામાંથી કેટલીક રકમ પરેશભાઈએ લોકોને ધિરાણ આપી હતી. પાડોશી બિપિન પટેલે પણ પરેશ પંડયા પાસેથી અત્યાર સુધી ટૂકડે ટૂકડે રૂ. ૭ લાખ વ્યાજે લીધા હતા. જે રકમ ચૂકવવાની બાકી છે. બિપિન દારુ જુગાર રમવાની કૂટેવ ધરાવે છે.
શોર્ટકટથી પૈસા કમાવવા માટે તેણે નાણાં ધિરધારનો ધંધો કરતા પરેશ પંડયાના સગીર વયના એક પુત્ર અર્પણનું અપહરણ કરીને રૂ. ૧ કરોડની ખંડણી વસૂલવાનો પ્લાન ઘડયો હતો. આ કાવતરામાં બિપિનની સાળીનો છોકરો ધર્મેશ ઉર્ફે લાલો શૈલેષ પટેલ ( ઉં.વ.૨૧, મૂળ રહે, સેવાસી, હાલ ઉમરવા, પાવી જેતપુર) તથા દિપસિંહ ઉર્ફે દેશિયો તેરસિંહ રાઠવા (ઉં.વ. ૨૨, રહે, ઉમરવા, પાવીજેતપુર) તથા બિપિન પટેલના સગીર વયના પુત્ર પ્રિતેષની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીમાં સામેલ મુકેશ ઉર્ફે જાડિયો મૂળજી ભક્તશ્રી (ઉં.વ. ૨૬, રહે, ખાડિયા માતર, પાવીજેતપુર)ને પોલીસે ભાગેડુ જાહેર કરીને તેની વ્યાપક શોધખોળ શરુ કરી છે.
તા. ૧૫મીએ સાંજે ધર્મેશ, મુકેશ તથા દેશિયો અલ્ટો કારમાં ગોત્રી ટાંકી પાસેની કમલા નગર સોસાયટી પાસે ઉભા હતા. જ્યારે બિપિનનો પુત્ર અર્પણને પાવભાજી અને ચાઈનિઝ નુડલ્સ લેવાના બહાને કમલા નગર સુધી લઈ આવ્યો હતો. કારમાં બેઠા પછી અર્પણને અપહરણ થયું હોવાની જાણ થઈ હતી. આ કાર પાવીજેતપુર તાલુકાના ડુંગરાળ વિસ્તારના માલુશીરોદ ગામમાં લઈ જવાઈ હતી. આ ગામમાં રહેતી દેશિયાની વિધવા મામી કોકીલાબેનના મકાનમાં અર્પણને રાખવામાં આવ્યો હતો. કાચા બાંધકામવાળા મકાનમાંથી પોલીસે બંધકને મુકત કર્યો હતો. અપહરણના બનાવમાં મુકેશ, ધર્મેશ અને દેશિયાની ધરપકડ કરવામાં આવી છે. આ કાવતરામાં બીજુ કોણ સામેલ છે ? ષડયંત્ર કયાં ઘડવામાં આવ્યુ હતું ? પોલીસે વિવિધ થિયરી ઉપર તપાસ શરૂ કરી છે.
માલુશીરોદ ગામના વૃધ્ધને રૂ. ૧૦ હજારના ઈનામની જાહેરાત
પાવીજેતપુર તાલુકાના માલુશીરોદ ગામના ૭૦ વર્ષના વૃધ્ધ ભેટિયાભાઈ ભીલડાભાઈ રાઠવાની મદદ વગર આ ઓપરેશન અશકય હતું. દીવાના અજવાળે પોલીસને મંજિલ સુધી પહોંચાડનાર આ વૃધ્ધને સરકાર તરફથી રૂ. ૧૦ હજાર ઈનામ આપવાની પોલીસ કમિશનરે શુક્રવારે જાહેરાત કરી હતી. ડી.સી.પી. ક્રાઈમ સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડુંગરાળ અને જંગલ વિસ્તાર વચ્ચે આ ગામ આવેલુ હતું. આ ગામમાં લાઈટો ન હતી. આશરે અડધા કિલોમીટરના અંતરે એક મકાન આવેલુ હતું. તેવામાં ગામના ૭૦ વર્ષના ભેટિયાભાઈએ દીવો સળગાવીને કોના ઘરે જવું છે ? તેવુ પૂછયું હતું. પોલીસે આ વૃધ્ધને વિશ્વાસમાં લીધો હતો અને ગંભીરતા સમજાવીને દેશિયાની વિધવા મામીનું ઘરનું સરનામું પૂછયું હતું. આ વૃધ્ધ હાથમાં દીવો લઈને લાકડીના ટેકે આગળ ચાલતો હતો. જ્યારે પોલીસની ટીમ મોબાઈલ ફોનની લાઈટના અજવાળે પાછળ ચાલતી હતી. ત્રણ કિલો મીટર ચાલીને પોલીસ આખરે દેશિયાના મામીના કાચા મકાને પહોંચી હતી. ઝૂંપડા બહાર સૂતેલા દેશિયાને પોલીસે દબોચી લીધો હતો. અને ઝૂંપડામાં સૂતેલા અપહૃત અર્પણને બાનમાંથી મુકત કર્યો હતો.
અપહરણકારો ઓળખીતા હોય તો જોખમ વધુ હોય છે
પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર અપહરણકારને ઓળખતો હતો. આવા કિસ્સામાં ભોગ બનનારના જીવિત રહેવાની શકયતા ઘણી ઓછી હોય છે. પોલીસ એક્શનમાં આવે અને પકડાઈ જવાની બીકે અપહરણકારો ભોગ બનનારની હત્યા કરીને ભાગી જાય છે. જોકે પોલીસની સાવચેતીના કારણે કોઇ અમંગળ ઘટના બની ન હતી.
જ્યાં સુધી અર્પણ અપહરણકારોની ચુંગાલમાં હતો ત્યાં સુધી પોલીસ પણ સાવચેતી રાખીને તપાસનું ડગલું ભરતી હતી. ગુરુવારની રાત સુધી જો અપહરણકારોના સગડ ના મળ્યાં હોત તો કદાચ અમંગળ ઘટના થઈ હોત.
ભૂવાએ માથુ ધૂણાવીને કહ્યું 'અર્પણ, બે દિવસમાં આવી જશે'
સગીર વયના અર્પણનું અપહરણ થતાં ચિંતિત થયેલા કુટુંબીજનો ગોત્રી ગામમાં જેસીંગભાઈ નામના ભૂવા પાસે ગયા હતા. ત્યારે માથુ ધૂણાવીને ભૂવાએ કહ્યું હતું કે તમે ઘરે જતાં રહો બે દિવસમાં તમારો છોકરો ઘરે આવી જશે. આમ જોવા જઈએ તો કાગનું બેસવુ અને ડાળનું પડવુ પણ કહી શકાય, ભૂવાએ કરેલી આગાહી પ્રમાણે અર્પણ બે દિવસમાં પાછો ઘરે આવ્યો હતો.
કર્મકાંડી બ્રાહ્મણ પરિવારે જેસીંગભાઈના મેલડી માતાના મંદિરમાં નાળિયેર અને પ્રસાદની ભેટ મૂકી હતી. આ પરિવાર દ્વારા આજે દાંડિયાબજાર ખાતેના સિધ્ધિ વિનાયક મંદિરે પણ સવા કિલો પેંડાનો પ્રસાદ ચઢાવીને બાધા પૂરી કરવામાં આવી હતી. ગોધરા નજીક આવેલા ગણેશજીના મંદિરે આવતીકાલે શનિવારે પરેશ પંડયા બાધા પૂરી કરવા જશે. પંડયા પરિવારના નજીકનું સગપણ ધરાવતા સંબંધીએ જણાવ્યું હતું કે, અર્પણ માટે ઘણા સગાઓએ બાધા આખડી રાખી છે. આવનારા એક પખવાડિયામાં જે પૂરી કરવામાં આવશે.
હું પોલીસ તંત્રનો હૃદય પૂર્વક આભાર માનુ છું
અપહૃત અર્પણ સહિ સલામત ઘરે પાછો ફરતા બ્રાહ્મણ પરિવારે હાશકારો અનુભવ્યો હતો. અર્પણના પિતા પરેશભાઈ પંડયાએ સંદેશ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું પોલીસ કમિશનર અને તેમની ટીમનો હૃદય પૂર્વક આભાર માનુ છુ. પોલીસ ડિપાર્ટમેન્ટના કારણે જ મારો પુત્ર અપહરણકારોના ચુંગાલમાંથી છૂટયો છે.
પરેશ પંડયાની માતાને બિપીન મા કહેતો હતો
પંડયા પરિવાર સાથે બિપિન પટેલનો ચાર દાયકા જૂનો સંબંધ હતો. પરેશ પંડયાના માતૃશ્રી હાલ આ દુનિયામાં નથી પરંતુ તેઓ જ્યારે જીવિત હતા ત્યારે બિપિન પણ તેમને મા કહીને બોલાવતો હતો. દારૂ અને જુગારની લતમાં પાયમાલ થઈ ગયેલા બિપિને સંબંધોની લાજ પણ ન રાખી. રાખ્યા વગર પૈસા માટે ભત્રીજા જેવા અર્પણનું અપહરણ કર્યુ હતું.