ભાવનગરતા.૧૭
ભાવનગર-ત્રાપજ હાઈવે પર આવેલા ઊખરલા નજીક આવેલી ક્રિષ્ના ઓઈલ મિલમાં આજે પુરવઠા તંત્રની ટીમે દરોડો પાડીને રૂપિયા ૩૮,૨૫૦નો જથ્થો સિઝ કરીને સંચાલકો સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.
- મગફળીના બિનહિસાબી જથ્થા બદલ તંત્રની કાર્યવાહી
આ અંગે સાંપડતી માહિતી અનુસાર,ભાવનગર જિલ્લા કલેકટરની સુચના અનુસાર, પુરવઠા વિભાગની ટીમે આજે શુક્રવારનાં ભાવનગર-ત્રાપજ હાઈવે પર આવેલા ઉખરલા નજીક નરેશભાઈ કરશનભાઈ કુકડીયાની માલિકીનાં ક્રિષ્ના ઓઈલ મિલમાં દરોડો પાડીને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.પુરવઠા વિભાગની તપાસની આ કાર્યવાહીમાં રૂપિયા ૩૮,૨૫૦ની કિંમતનો ૮,૩૫ કિલોગ્રામ મગફળીનો બિનહિસાબી જથ્થો માલુમ પડયો હતો.
ચેકિંગની આ કાર્યવાહીમાં બિનહિસાબી જથ્થો માલુમ પડતા પુરવઠા વિભાગની ટીમે વેપારી અધિનિયમ ૧૯૭૭ની કલમ ૮ અને ૯ના ભંગ બદલ ક્રિષ્ના ઓઈલ મિલના માલિક સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરીને મગફળીનો મસમોટો જથ્થો સિઝ કર્યો હતો.દરોડાની આ કાર્યવાહીમાં પુરવઠા ઈન્સ્પેકટર્સ પી.એમ.ઉપાધ્યાય અને એ.ડી.ગાંધીનો કાફલો જોડાયો હતો.