પાલીતાણા, તા.૧૭
પાલીતાણાની મહિલાએ એક મહિલા સહિત ત્રણ શખસો સામે અજાણી મહિલાની લાશને નજીકમાં આવેલા કુવામાં દાટી દીધી હોવાની પોલીસમાં અરજી આપતા ચકચાર મચી જવા પામી હતી. અરજીના આધારે હકીકત જાણવા આજે શુક્રવારે મામલતદારની હાજરીમાં કુવાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ કુવાનું ૧૦ ફુટ જેટલું ખોદકામ કરવા બાદ કુવાની અંદરથી જાનવરના અવશેષો મળી આવ્યા હતા.
- મહિલા સહિત ત્રણ શખસોએ મહિલાની લાશને દાટી દિધાની રાવ કરાઈ હતી
- મોડીરાત સુધી અરજદાર સહિતના લોકોએ ખોદકામ કર્યુ
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાલીતાણાના જામવાળી રોડ પર આવેલ શક્તિનગરમાં રહેતા ચંપાબેન વલ્લભભાઈ ચૌહાણ નામના મહિલાએ તેના પાડોશમાં જ રહેતા જયાબેન મનજીભાઈ કોળી નામની મહિલા અને દિલીપ બાલાભાઈ તથા તેનો ડ્રાઈવર જીવરાજ સહિતના ત્રણ શખસોએ ત્રણ થી ચાર માસ પુર્વે એક અજાણી મહિલાની લાશને તેના ઘરની નજીક આવેલા કુવામાં દાટી દીધો હોવાની પાલીતાણા ટાઉન પોલીસમાં અરજી કરતા પોલીસે જાણવા જોગ એન્ટ્રી દાખલ કરી આક્ષેપોની ગંભીરતાને ધ્યાને રાખી આજે શુક્રવારે ડીવાયએસપી ચૌહાણ, પી.આઈ. ઝાલા, પીએસઆઈ ચૌધરી સહિતના સ્ટાફે પાલીતાણા મામલતદાર જોશીની હાજરીમાં બુરાયેલા કુવાનું જેસીબીથી ખોદકામ કર્યુ હતુ. લગભગ પંદર ફુટ જેટલુ ખોદકામ કર્યા બાદ કુવામાંથી જાનવરના અવશેષો મળી આવતા પોલીસે સાંજના પ-૦૦ વાગ્યા સુધી કુવાનું ખોદકામ કર્યુ હતું પરંતુ કોઈ માનવ અવશેષ ન મળી આવતા પોલીસ પાછી ફરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરજદાર મહિલા ચંપાબેન ચૌહાણ સહિતના લોકો પોલીસની હાજરીમાં મોડીરાત સુધી કુવાનું ખોદકામ કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ઉક્ત મહિલાની અરજીના આધારે પોલીસે ગઈકાલે જ ત્રણેય શખસની ધરપકડ કરી હતી. જે તમામને આજે સાંજે કોર્ટમાં રજુ કરવામાં આવતા અદાલતે મહિલા સહિત ત્રણેયને જામીન પર છોડી મુકવાનો હુકમ કર્યો હતો.