રાજકોટ,તા.૧૭
જેતપુર નવાગઢ ખાતે આવેલી શોલે હોટલ પાસે અગાઉ છેડતીના મુદે થયેલી માથાકૂટના કારણે બારોટ અને દલિત પરિવાર વચ્ચે ધોકા, પાઈપ, તલવાર જેવા ઘાતક હથિયાર સાથે ધીંગાણું ખેલતા બન્ને પક્ષના છ વ્યકિતને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
- પોલીસે બન્ને જૂથની ફરિયાદ પરથી સામસામા ગૂના નોંધ્યા
નવાગ્ઢ દાસી જીવણપરામાં શોલે હોટલ પાસે મધરાત્રે જૂની અદાવતના કારણે દલિત અને બારોટ પરિવાર વચ્ચે શસસ્ત્ર ધીંગાણું ખેલાયુ હતુ. જેમાં દિલીપ નરેશભાઈ ચૌહાણ (ઉ.વ.ર૪) હંસાબેન નરેશભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) સામા પક્ષે લલીત ધનજીભાઈ વડીયાતર (ઉ.વ.ર૭) લખન ધનજીભાઈ (ઉ.વ.ર૯) પ્રેમજી નાથાભાઈ રાઠોડ (ઉ.વ.૩૭) અને નગીન ગણપતભાઈ શ્રીમાળી (ઉ.વ.૩ર)ને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દિલીપની બહેન કિંજન અને તેની બહેનપણી સંગીતાની અગાઉ લખને છેડતી કરતા તે બાબતે બન્ને પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અને ગતરાત્રે આ બાબતે ફરી ઉગ્ર બોલાચાલી થયા બાદ બન્ને પરિવાર ઘાતક હથિયાર સામે આમને સામને આવી જતા ધીંગાણુ ખેલાયું હતું. આ બનાવ અંગે જેતપુર પોલીસે બન્ને જૂથની ફરિયાદ પરથી સામસામા ગુના નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.