મુંબઈ : ૧૮ ઓગસ્ટ ૨૦૧૨
મુંબઇનું આઝાદ મેદાન શનિવારે જંગનાં મેદાનમાં ફેરવાઇ ગયું હતું. છત્રપતિ શિવાજી સ્ટેશનની નજીક આવેલાં આ મેદાનને સામાન્ય રીતે ધરણાં અને પ્રદર્શનકારીઓને ફાળવવામાં આવે છે. અહીં આસામ અને મ્યાનમારના મુસ્લિમોનાં સમર્થનમાં એકત્ર થયેલાં મુંબઇની એક સંગઠન સંસ્થાના સમર્થકો હિંસક બની ગયા હતા અને આસામમાં હિંસા માટે મીડિયાને બેજવાબદાર ગણાવી હતી. જેના પરિણામે ભીડમાં બેઠેલાં કેટલાંક લોકોએ કવરેજ માટે હાજર મીડિયા પર હુમલો કર્યો હતો. આ હુમલાને રોકવા માટે પોલીસ ફોર્સે એર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટના બાદ પરિસ્થિતિ વધારે બેકાબૂ બની ગઇ છે. આ ઘટનાનાં પગલે હવે એવી અફવાઓ શરૂ થઇ છે કે, નોર્થઇસ્ટ ઇન્ડિયન્સ હવે તેમનાં ઘર, જોબ છોડીને અન્યત્ર રહેવા જઇ રહ્યાં છે. આ અંગે નોર્થઇસ્ટની કેટલીક સેલિબ્રિટીઝ સાથે વાત કરવામાં આવતાં તેઓએ આ મુશ્કેલીનો સમય બહુ ઝડપથી પસાર થઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.
લોકો પ્રત્યે ભેદભાવ અંગે યોગ્ય જાણકારી, ભૂગોળ અને કલ્ચરની ઊણપ સમાન આ ઘટનાને હું ખરેખર વખોડી કાઢું છું. આ ખરેખર અનુચિત અને લાગણીશૂન્ય વાત છે, હવે સમય ખરેખર બદલાયો છે, તો લોકોની દૃષ્ટિ અને અભિગમમાં પણ બદલાવ આવવો જોઇએ અને સરકારને સાથ આપવો જોઇએ.
-ડેની ડેન્ઝોગપ્પા, રૂક્ટર
હું મારી માતા તરફથી સિક્કિમ-બુદ્ધિસ્ટ છું અને પિતા તરફથી અગ્રવાલ હિંદુ છું. મારો એક મિશ્રિત ફેમિલીમાં ઉછેર થયો છે અને મારૂં શિક્ષણ વિદેશમાં થયું છે. હું હિંસાને કોઇ કાસ્ટ કે ધર્મ સાથે સરખાવવામાં નથી માનતી. હું એક ભારતીય છું, બસ ! આપણે એકબીજાં પ્રત્યે વધુ લાગણીશીલ બનવાની જરૂર છે.
-શ્રુતિ અગ્રવાલ ,મોડલ અને એક્ટર
જ્યારે ભારતમાં મારાં ઓલિમ્પિક વિજયનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે બીજી તરફ, મારાં નોર્થઇસ્ટ ફેલોમેનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હતાં તે જોઇને મને દુઃખ થઇ રહ્યું હતું. અફવાઓ મુશ્કેલીઓમાં વધારો કરવાનું જ કામ કરે છે. ગવર્નમેન્ટ દરેક વ્યક્તિની સુરક્ષા માટે પગલાં લઇ જ રહી છે.
- મેરિકોમ, બોક્સર
આઝાદ મેદાનમાં થયેલાં તોફાનના સમાચારથી હું ખુબ જ દુઃખી છું. આપણે સૌ પ્રથમ ભારતીય છીએ, જો કે, રાહતની વાત એ છે કે, લોકલ ગવર્નમેન્ટ તરફથી દરેક નોર્થઇસ્ટ ઇન્ડિયન્સને નિશ્ચિંત રહેવાની બાંહેધરી આપવામાં આવી છે. મુંબઇમાં રહેતાં આસામવાસીઓને પણ હું કહેવા માગું છું કે ચિંતાનું કોઇ કારણ નથી.
-દીપનીતા શર્મા, એક્ટર.
મોડર્ન સોસાયટીએ આ પ્રકારની હિંસાને આશરો ન આપવો જોઇએ. દરેક વ્યક્તિની એ જવાબદારી છે કે તેઓ જે તે પરિસ્થિતિ અંગે જાણકારી કેળવે ઉપરાંત સરકાર પર વિશ્વાસ રાખે. હું એ તમામ લોકો, જેઓ વિચારે છે કે તેઓ આ હિંસાનો ભોગ બનશે તેઓને કહેવા માગું છું કે, મને ક્યારેય દિલ્હી કે મુંબઇ અસુરક્ષિત નથી લાગ્યું.
- પેપોન, સિંગર, કમ્પોઝર