વૉશિંગ્ટન, તા. ૧૮
- વૈજ્ઞાનિકોએ અફવા ફેલાવનારાઓનું મૂળ શોધી આપતું સોફ્ટવેર વિકસાવ્યું
- નેટવર્ક પર થોડાઘણાં લોકોની વિગતોનો અભ્યાસ કરીને પગેરું મેળવાશે
આસામમાં બે જૂથો વચ્ચેની અથડામણ બાદ પૂર્વોત્તરના લોકો પર હુમલાની અફવા ફેલાઈ અને તેમણે તેમની કર્મભૂમી છોડીને જન્મભૂમિ તરફ પ્રયાણ કર્યું. પૂર્વોત્તરના લોકોની હિજરતનો વિવાદ સંસદમાં પહોંચ્યો છે ત્યારે હુમલાની અફવા પાછળ તોયબા અને આઈએસઆઈ જેવા તત્વો જવાબદાર હોવાનું કહેવાય છે. જોકે આ પ્રકારની અફવાઓ ફેલાવનારાઓના મૂળ સુધી સત્તાવાળાઓ ભાગ્યે જ પહોંચી શકે છે. પરંતુ હવે તેમના માટે આ પ્રકારની અત્યંત ગંભીર અફવાઓ ફેલાવીને બચી જવું સરળ રહેશે નહીં.
સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકોએ એક એવી સોફ્ટવેર ડિવાઈસ વિકસાવી છે જે સરળતાથી ત્રાસવાદીઓ, ગુનેગારો, તોફાન ફેલવાનારાઓ, અફવા ફેલાવનારાઓના મૂળ સ્રોત સુધી પહોંચીને તેનું પગેરું મેળવી શકશે. લુઈસેન્નસ ફેડરલ પોલિટેકનિકના પ્રોફેસર ડૉ. પેડ્રો પિન્ટોના જણાવ્યા મુજબ તે લોકો આ માટે એવી પદ્ધતિ અપનાવે છે જેમાં કેટલીક બાબતોને નેટવર્ક પર મૂકીને પ્રસિદ્ધ કરાય છે પછી આ નેટવર્કના થોડાઘણા સભ્યો સાથે નેટવર્કને જોડીને તેમની વિગતોનો અભ્યાસ કરવામાં આવે છે, આમ સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલાં સોફ્ટવેર અલ્ગોરિધમ ઝડપથી કોઈ પણ ઘટના કે સમસ્યાનાં મૂળ સુધી પહોંચી જાય છે અને તેનું પગેરું મેળવીને મૂળ ગુનેગાર સુધી પહોંચી શકાય છે.
આ પ્રકારના કેસોમાં ખોટી વ્યક્તિ દંડાઈ ન જાય તે માટે માહિતી મોકલનાર દ્વારા માહિતી મેળવનાર સુધી કેટલી ઝડપથી વિગતો પહોંચે છે તે મહત્ત્વનું છે. મૂળ સ્રોત સુધી પહોંચ્યા પછી તપાસકારો શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લઈ શકે છે. પિન્ટો દ્વારા અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરવામાં આવેલા હુમલામાં સંડોવાયેલાં લોકોની માહિતી મેળવીને આ સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ૯/૧૧માં સંડોવાયેલા ત્રાસવાદીઓએ એકબીજાને મોકલેલા મેસેજનું રિકન્સ્ટ્કશન કરીને ત્રણ શકમંદોને અલગ તારવવામાં આવ્યા હતા જેમાંની એક વ્યક્તિ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
અફવા ફેલાવવાના કિસ્સામાં ૫૦૦ લોકોને મોકલવામાં આવેલા અફવાના મેસેજની વિગતોમાંથી કોણે અફવા ફેલાવી તે ૧૫થી ૨૦ લોકોએ મેળવેલા મેસેજને ટ્રેક કરીને સોફટવેર દ્વારા શોધી શકાય છે. કમ્પ્યૂટર વાઈરસ ફેલાવનારાઓ તેમજ રોગચાળો ફેલાવતાં જીવાણુઓના મૂળ સ્રોત સુધી પહોંચીને તેનું પગેરું પણ આ સોફ્ટવેર દ્વારા મેળવી શકાય છે. દક્ષિણ આફ્રિકામાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો તે પછી પાણી અને ટ્રાન્સપોર્ટેશનનાં નેટવર્કની ફોર્મ્યુલા અપનાવીને તેનાં જીવાણુઓનાં મૂળને સોફ્ટવેર દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું.