જબુગામ, તા. ૧૯
જબુગામ પંથકમાં ભૂગર્ભ જળ સંચય અર્થે સિંચાઇ વિભાગ દ્વારા ચાલુ ચોમાસા પૂર્વે જબુગામ જીવનપુરાના કોતર પર ચેકડેમનું નિર્માણ કરાયું છે પરંતુ સાત લાખ રૂપિયા ઉપરાતની રકમ ખર્ચાયા બાદ પણ જીવનપુરા કોતર પરનો ચેકડેમ પ્રથમ વરસાદે જ તૂટી જતાં હયગય થયાની બુમ ઉઠી હતી. પરંતુ હજી સુધી રિપેરીંગની પણ શરૂઆત થઇ નથી જયારે ચેકડેમની આજુબાજુ સંરક્ષણ દિવાલ પણ ન બનાવવામાં આવતા ખેતરોના ધોવાણ થતા ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.
- ડેમનું સમારકામ હાથ ધરવામાં પણ તંત્રની ઢીલાશભરી નીતિ
નદી કિનારાના કોતરોમાંથી વહી જતા પાણીને અટકાવવા ભૂગર્ભ જળ સંચય કરીને જમીનમાં પાણીના તળ ઉંચા લાવવા માટે સરકારની યોજના અન્વયે બોરીબંધ અને ચેકડેમ બનાવવામાં આવે છે. જેમાં યોગ્ય પ્રમાણમાં ન બનાવતા બોરી બંધની રેતી પાણીમાં વહી ગઇ હતી. જીવનપુરા ખાતે બનેલો ચેકડેમ સાતેક લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ છે. જે ચેકડેમ તુડી જતાં સિંચાઇ વિભાગનો બીજો પ્રયોગ ફારસરૂપ થયો છે. સામાન્ય વરસાદે જ ચેકડમના ચુરેચુરા થઇ જતા તેમાં હલ્કી ગુણવત્તાનું કામ થયું છે. ચેકડેમ પાસે આવેલા ખેતરના ધોવાણ અર્થે ખેડૂત હિતેન્દ્રસિંહ વાંસદિયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જીવનપુરા કોતર પરનો ચેકડેમ સ્થાનિક તંત્ર કોન્ટ્રાકટર કે કોઇ માહિતી વના ઉજ્જડ વેરાન કોતરોમાં આડેધડ બનાવી લીધો છે.
પાણી રોકાઇ રહે અને પાણીનો પ્રવાહ પણ મજબુત બાંધકામથી અટકી રહે તેમ ચેકડેમની દીવાલો અને પાયો મજબુત જોઇએ. આ અંગે રાજ્ય સરકારના સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે આ કામગીરી કરનાર કોન્ટ્રાકટર સામે શિક્ષણાત્મક પગલાં લેવાને બદલે બચાવ કરવા માંડયા હતા. જયારે યોગ્ય સમયમાં રીપેર થઇ જશે તેમ સિંચાઇ વિભાગના અધિકારીએ હૈયાધારણા આપી હતી.