વડોદરા, તા.૧૯
પ્રતાપપુરા સરોવરમાં તાજેતરમાં પડેલા વરસાદ દરમિયાન ૪૦ ફૂટ પહોળું મસમોટંુ ગાબડંુ પડયું હતું. તેનો અહેવાલ બે દિવસમાં સુપ્રત કરવાનો મ્યુ.કમિશનરે સિટી એન્જિનિયરને આદેશ કર્યા હતો. તે વાતને ૬ દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી અહેવાલ સુપરત કરાયો નથી.
- બે દિવસમાં અહેવાલ સુપ્રત કરવાની વાતને ૬ દિવસ થયા
નોંધનીય છે કે, વર્ષ ૨૦૦૫ ની ૨૩ મી જૂને પ્રતાપપુરા સરોવરના પાળા તૂટી ગયા હતા. તેની મરામત પાંચ વર્ષે શરૂ કરાઈ હતી. વર્ષ ૨૦૧૦ માં પાળાના મજબૂતીકરણનું કામ હાથ પર લેવાયું હતું. રૂ.૧૦ કરોડના ખર્ચે ખાનગી કોન્ટ્રાક્ટર પાસેથી કામગીરી કરાઈ હતી.
હજુ તો ૯૦ ટકા જ મજબૂતીકરણનું કામ પૂર્ણ થયુ હતું. સરકારે સરોવરમાં ૫૦ ટકા એટલે કે અડધું સરોવર જ પાણીથી ભરવાની સૂચના આપી હતી. જેથી પાણીની મજબૂતાઈ ચકાસી શકાય. પરંતુ, અડધા સરોવર સુધીની સપાટી ભરવાને બદલે કોર્પારેશનના તંત્રએ આખુ સરોવર પાણીથી છલોછલ થવા દીધુ હતું. એટલું જ નહીં, સરોવરની સપાટી ૨૨૬ ફૂટ છે. જે ઓવર ફ્લો થઈને ૨૨૯ ફૂટ થઈ ગઈ હતી. જે દરમિયાન જ ગઈ તા.૧૩ મીએ સરોવરના પાળામાં શરૂઆતમાં લીકેજ થયુ હતું અને તે લીકેજ બીજા દિવસે ૪૦ ફૂટ પહોળા ગાબડાંમાં ફેરવાઈ ગયુ હતું.
મ્યુ.કમિશનરે આ ઘટનામાં સિટી એન્જિનિયરને અહેવાલ રજૂ કરવાની સૂચના આપી હતી. તે વાતને ૬ દિવસ થઈ ગયા છે તેમ છતાં હજુ અહેવાલ સુપ્રત કરાયો નથી. સૂત્રોએ તો કહ્યું હતું કે, ગાબડાંની મરામતનું રૂ.૧૦ કરોડનું કામ નૂર્મ યોજના હેઠળ થયુ હતું. જ્યારે મરામતની કામગીરી પર સુપરવિઝન પાણી પુરવઠા વિભાગે કરવાનું હતું. જેથી ગાબડું પડવા પાછળ દોષિત કોણ ઠરશે ? તે માટે બે વિભાગોના અધિકારીઓના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.