ભુજ, તા. ૧૯
સમગ્ર દેશની સાથે કચ્છ જિલ્લામાં પણ રમજાનના ર૯મા રોઝાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરો ઈદની ખુશીમાં એકબીજાને ભેટીને ઈદની મુબારક બાદી પાઠવી હતી. આજે સમગ્ર કચ્છ કોમી એકતા અને એખલાસભર્યા વાતાવરણમાં ઈદ-ઉલ -ફિત્ર મનાવશે જેની તૈયારી ઈદની પૂર્વ સંધ્યાએ જ આરંભી દેવામાં આવી હતી.
- કોમી એકતા સાથે ઈદની પૂર્વ સંધ્યાએ મુબારકબાદી પાઠવાઈ
પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખીને મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની ઈબાદત - બંદગી કરાઈ હતી. અબાલ - વૃદ્ધ સૌએ આ પૂરા મહિનાના રોજારાખીને પવિત્ર રમજાન માસને વિદાય આપી ઈદની ખુશીમાં વાતાવરણ તરબોળ બન્યું હતું સાંજે મગરીબ નમાજ બાદ સ્થાનિક ચાંદ કમિટી દ્વારા ચાંદ દેખાયાના અહેવાલો વહેતા થયા બાદ જિલ્લાભરમાં ફોન અને એસએમએસ દ્વારા ઈદ મુબારકના સંદેશા વહેતા થયા હતા.
આજે સવારે જિલ્લાભરના ગ્રામ્ય વિસ્તારો સહિત જિલ્લા મથક ભુજમાં વિવિધ ઈદગાહો પર ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરો આપસમાં ખુશીની આપ-લે કરશે. ઈદની પૂર્વ સંધ્યાએ ભુજ શહેરની મસ્જિદોને લાઈટ ડેકોરેશનથી સજાવવામાં આવી હતી.શહેરની સેવાકીય કાર્યો કરતી સંસ્થા શાહે જીલાન યુવક મંડળ દ્વારા સંજોગનગરના ખ્વાજા ચોક ખાતે સવારે ૧૦-૩૦ કલાકે 'પયગામે અમન' કાર્યક્રમ યોજાશે જેમાં કોમી એકતાના સંદેશા હિન્દુ - મુસ્લિમ સમાજના અગ્રણીઓના હસ્તે વિધવા બહેનોને સહાય કરવામાં આવશે. મૌલાના અલીફ નકશબંદી, આશાપુરા મંદિરના પૂજારી જનાર્દન દવે, મૌલાના ગુલામ મોહંમદ, અમીરઅલી લોઢિયા, શંકર સચદે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ભુજ શહેર ઉપરાંત લખપત, અબડાસા,નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ તથા રાપર તેમજ ભચાઉ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈદની ખુશી વ્યક્ત કરતાં વહેલી સવારથી ઈદગાહો તરફથી જતાં રસ્તા ભરાઈ જશે અને જિલ્લાભરના મુસ્લિમ બિરાદરો કોમી એખલાસ સાથે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવશે.
ચાંદ દેખાતા આજે જિલ્લા ભરમાં રમઝાન ઈદની ઉજવણી
માહે શવ્વાલનો ચાંદ આજે રવિવારના દેખાતાં સોમવાર તા.ર૦મીના જિલ્લા ભરમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવશે એમ કચ્છ મુસ્લિમ સમાજ ચાંદ કમિટીના પ્રમુખ મૌ. ઈલયાસ ફલાદી ચિસ્તી તથા ડો. માલીએ એક સતાવાર યાદીમાં જણાવ્યું હતું.