રાજકોટ તા. ૧૯
મોત કયારે અને કેવી રીતે આવે છે તે આજ સુધી કાળા માથાનો માનવી જાણી શકયો નથી ત્યારે આવી જ એક વિચિત્ર ઘટના શાપર - વેરાવળમાં બની જવા પામી છે. જેમાં કારખાનામાં નીકળેલા કોબ્રાને પકડવા ગયેલા પ્રૌઢને સાપે દંશ દેતા બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત આંબી ગયું હતું.
- શાપર - વેરાવળમાં કારખાનામાં બપોરે બનેલી ઘટના
- કોઠારીયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટની ભાગોળે ઔદ્યોગીક વસાહત શાપર - વેરાવળમાં આવેલ દર્શન પાર્કમાં રહેતા સર્પ પકડવાના નિષ્ણાંત સતારભાઇ જીવાભાઇ સંધી ઉ.વ. ૫૦ આજે બપોરે ઘર પાસે આવેલા કારખાનામાં નીકળેલા કોબ્રાને પકડવા ગયા હતા અતિ ઝેરી સાપ ગણાતા કોબ્રાને સંધી પ્રૌઢે પકડી લીધા બાદ સર્પે પ્રૌઢને દંશ દેતા ઝેરી અસર થઇ હતી જેના પગલે સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજયું હતું. ટ્રેનની ઠોકરે યુવાનનું મોત : કોઠારીયા રેલવે ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજયું હતું. પોલીસની તપાસમાં મરનાર યુવાન પાણીપુરીવાળો હોવાની શંકા વ્યકત કરી હતી જયારે યુવાને બજરીયા શર્ટ અને આછુ લીલુ પેન્ટ પહેરેલ હોવાનું જાણવા મળ્યું છે.
એકલવાયું જીવન જીવતા લોહાણા વૃધ્ધાનું મોત :
મારૂતીનંદન સોસાયટીમાં રહેતા ભાનુબેન જગજીવનભાઇ કોટક (ઉ.વ. ૭૦) નામના લોહાણા વૃધ્ધા આજે બપોરે પોતાના ઘરેથી મૃત હાલતમા મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. એકલવાયું જીવન જીવતા વૃધ્ધાનું બિમારી સબબ મૃત્યુ થયાનું પોલીસે જણાવ્યું હતું. જયારે તેમને સંતાનમાં ત્રણ દિકરી હોવાનું જાણવા મળ્યું છે