રાજકોટ તા.૧૯
દેશભરમાં સોના ચાંદીના ઘરેણાંનું ઉત્પાદન કરતાં ચાર મુખ્ય શહેરો પૈકી આધુનિક મશીનરી અને ટેકનોલોજીના અભાવે છેલ્લાં એક દાયકામાં જેમ્સ એન્ડ જ્વેલરીના ઉત્પાદનમાં રાજકોટમાં અંદાજિત ૬૦ થી ૭૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે નિકાસમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ગંભીર પરિસ્થિતિમાંથી ઉભરી આવવા માટે એસોસિએશન દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞાોએ ઉદ્યોગ સાહસિકોને માહિતી આપી હતી.
- મુંબઈ-કોઈમ્બતૂરની આધુનિક મશીનરી સામે દેશી કારીગરો લાચાર
- નિકાસમાં પણ ૯૦ ટકા સુધીનો ઘટાડો, રાજકોટમાં ૧૬ હજાર કરતાં વધુ નાના-મોટાં એકમો
રાજકોટના કારીગરોની વર્તમાન પરિસ્થિત અંગે માહિતી આપતાં સંગઠનના પ્રમુખ જયસુખભાઈ આડેસરાએ જણાવ્યું કે, વર્ષોથી જેમ્સ એન્ડ જ્વેલરીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં રાજકોટ, મુંબઈ, કોઈમ્બતૂર અને મેરઠના કારીગરો અને ઉત્પાદનનો દબદબો રહ્યો છે. પરંતુ છેલ્લાં એક દાયકામાં ટેકનોલોજીના ક્ષેત્રે થયેલાં ફેરફારોના કારણે આધુનિક મશીનરી, ડિઝાઈન્સ અને નીચી પડતરના કારણે મોટાભાગનું ઉત્પાદન મુંબઈ અને કોઈમ્બતૂર તરફ વળી ગયું છે. પરિણામે, સૌરાષ્ટ્રના દેશી કારીગરો બેકાર બની રહ્યા છે. અગાઉના સમયમાં એકસાથે ૧૦-૧૦ કિલો ચાંદીની માળા બનાવવાના ઓર્ડર આવતાં, જેના સ્થાને હવે અઠવાડિયે માત્ર ૪૦૦-૫૦૦ ગ્રામના જ ઓર્ડર આવે છે.
આ જ પ્રકારે દેશના મુખ્ય પાંચ એક્સપોર્ટ ઝોનનો દિન પ્રતિદિન વધુને વધુ વિકાસ થયા બાદ તેને મળતી સવલતોના કારણે પણ રાજકોટની નિકાસમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો થયો છે.
એક અંદાજ મુજબ, રાજકોટમાં ૮ થી ૧૦ હજાર જેટલાં નાના એકમ તથા ૫ થી ૭ હજાર જેટલાં મધ્યમ અને મોટાં કદના એકમ છે. જેમાં પારંપરિક વ્યવસાયરૂપે સોની જ્ઞાાતિ ઉપરાંત પાંચેક હજાર કરતાં વધુ બંગાળી કારીગરો અને હવે પટેલ જ્ઞાાતિના કેટલાંક ઉદ્યોગ સાહસિકોએ પણ જેમ્સ એન્ડ જ્વેલરીના ઉત્પાદનમાં ઝંપલાવ્યુ છે. આ તમામના પરિવારજનો સહિત કુલ ૮૦-૯૦ હજાર કરતાં વધારે લોકોનો જિવન નિર્વાહ આ વ્યવસાય પર ચાલે છે. જે તમામ હાલ તો મૂશ્કેલીની સ્થિતિમાં મૂકાઈ ગયા છે.
રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન અને જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના ઉપક્રમે એન્જિનીયરીંગ એસોસિએશન હોલ ખાતે યોજાયેલાં સેમિનારમાં ઉદ્યોગ સાહસિકતા કેન્દ્ર, ગાંધીનગરના ડો. ચંદન ચેટરજીએ ઉદ્યોગ સાહસિકોને ધંધાના વિકાસ માટે લેવા જોઈતાં પગલાં વિશે જાણકારી આપી હતી. જ્યારે પ્રો. લલિત ચંદેએ બિઝનેસ મેનેજમેન્ટ અંગે, કેયુર બુચે કઈ પ્રકારે માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવવી તે અંગે તથા સુનિલભાઈ લાખાણીએ માર્ગદર્શન આપ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુબોધભાઈએ કર્યુ હતુ.
વર્ટિકલ માળાની કારીગરી શીખવા માટે દુબઈ-શારજાહથી કારગીરો આવતાં !
રાજકોટ : માળાની બનાવટમાં મણકા પર વર્ટિકલ એટલે કે ઉભી ડિઝાઈન બનાવવામાં આજે પણ રાજકોટના કારીગરોની મોનોપોલી છે. આ અંગે જયસુખભાઈએ જણાવ્યુ કે, વર્ષો પહેલાં દુબઈ અને શારજાહના કારીગરો પણ આ કામ શીખવા રાજકોટ આવતાં ! તદુપરાંત, એન્ટિક જ્વલરીની બનાવટમાં પણ રાજકોટના કારીગરોનું નામ જાણીતું છે.
સરકારની એકતરફી નીતિ નુક્સાનકારક
દેશમાં હાલ સુરત, મુંબઈ, નોઈડા, કલકત્તા, ચેન્નઈ એમ કુલ પાંચ એક્સપોર્ટ ઝોન છે. આ તમામ જગ્યાએ ૧૦૦ ટકા એક્સપોર્ટ થાય છે. પરંતુ ત્યાં ડયુટીમાં છૂટ છે. જેની સામે અન્ય સ્થળેથી નિકાસ કરનારને ઉંચી ડયુટી ભરવી પડતી હોઈ, પરવડે તેમ નથી. પરિણામે સરકારે આ ક્ષેત્રે ઉત્પાદન અને નિકાસ માટે થોડી છૂટછાટ આપવાની માગણી કરવામાં આવી હતી.