હૈદ્રાબાદ, તા. ૨૦
- ચૂંટણીપંચે પહેલીવાર કિન્નરોને માન્યતા આપી
- શપથપત્રમાં માતા-પિતાની જગ્યાએ ગુરૂના હસ્તાક્ષરને માન્યતા
દેશમાં કિન્નર હવે કોઈપણ સમસ્યા વિના મત આપી શકશે. ચૂંટણીપંચે પહેલીવાર તેમને માન્યતા આપી છે, જેના કારણે મતદાનથી વંચિત કિન્નરો હવે મતદાન કરી શકશે. ભારતીય ચૂંટણીપંચ દ્વારા જારી કરાયેલા સંશોધિત દિશાનિર્દેશ પ્રમાણે કિન્નરો કોઈ પણ સમસ્યા વિના કિન્નર મતદાર યાદીમાં તેમનું નામ નોંધાવી શકશે.
ચૂંટણીપંચે મતદાર યાદીમાં નોંધણીની પ્રક્રિયામાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચે કિન્નરોની સાનુકૂળતા માટે નોંધણી અંગેના શપથ અને પ્રતિજ્ઞાાફોર્મમાં કેટલાક મહત્ત્વના સુધારાઓ કર્યા છે. કેટલાક પરિવારો તેમના સંતાનને કિન્નર તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતા, જેથી તેઓ મતદાનથી વંચિત રહી જાય છે. મતદાર યાદીમાં નામ નોંધાવવા માટેની વર્તમાન પ્રક્રિયા અનુસાર નોંધણી પ્રક્રિયામાં ઉંમર અને રહેઠાણના પુરાવાઓ આપવા જરૂરી હોય છે. ઉપરાંત આ પુરાવાઓ પર માતા-પિતાના હસ્તાક્ષર જરૂરી છે. ચૂંટણી પંચે આ પ્રક્રિયામાં કેટલોક ફેરફાર કરીને માતા-પિતાની જગ્યાએ ફોર્મમાં 'ગુરૂ' અને પુત્ર/પુત્રીની જગ્યાએ 'ચેલા' શબ્દોનો સમાવેશ કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કેટલાક પરિવારોમાં કિન્નરોને સ્વીકારવામાં નથી આવતા. આ પ્રકારના મામલાઓમાં યોગ્ય વ્યક્તિઓ ચાલુ નામ નોંધણીપ્રક્રિયાને કારણે મતાધિકારથી વંચિત રહી જાય છે.
આ બાબતે રાજ્યોના મુખ્ય ચૂટણી અધિકારીઓને પત્ર મોકલી દેવામાં આવ્યો છે જેને જિલ્લા કલેક્ટરો અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ સુધી મોકલી દેવામાં આવ્યો છે. પહેલી વખત અરજી કરી રહેલા ૧૮થી ૨૫ વર્ષના અરજીકર્તાઓના શપથપત્રના શિર્ષકમાં માતા-પિતા શબ્દ સાથે 'ગુરૂ' શબ્દ જોડવામાં આવ્યો છે. પુત્ર અથવા પુત્રીની જગ્યાએ 'ચેલા' શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફોર્મમાં કિન્નરોનાં માતા-પિતા અથવા તેમના ગુરૂની સહીને સ્વીકારવામાં આવી છે.