શ્રીનગર, તા. ૨૦
- આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવાના હેતુથી પાક. તરફથી ગોળીબાર કરાયો
- જવાબી કાર્યવાહીમાં બીએસએફે ગોળીબાર કરતા એક ઘૂસણખોર ઠાર
જમ્મુના અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની લશ્કરના જવાનોએ ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના હેતુથી ભારતની લશ્કરી છાવણીઓ પર ગોળીબાર કર્યા બાદ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ પણ જવાબી કાર્યવાહી કરતાં એક ઘૂસણખોરનું મોત થયું હતું. એક પખવાડિયાની અંદર આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) અને અંકુશ રેખા (એલઓસી) પર પાકિસ્તાન દ્વારા ૧૪મી વાર શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
પાકિસ્તાની રેન્જર્સે રવિવારે મોડી રાત્રે અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પરના માલાબેલા, ગરખાલ, સિદરા કેમ્પ અને નાકાનંબર-૧૦ પર ગોળીબાર કરી શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેના વળતા જવાબમાં બીએસએફના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો, જેમાં એક ઘૂસણખોર માર્યો ગયો હતો તથા બીજો ભાગી છૂટયો હતો. બંને બાજુએથી સોમવારે સવારે ૭.૩૦ વાગ્યા સુધી ભીષણ ગોળીબાર ચાલુ રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યાનુસાર પાકિસ્તાની લશ્કરે આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવાના હેતુથી ગોળીબાર કર્યો હતો, પણ બીએસએફના જવાનોએ આતંકવાદીઓની ઘૂસણખોરીની યોજના નિષ્ફળ બનાવી હતી. આ મહિનામાં પાકિસ્તાને વારંવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ૧૭મી ઓગસ્ટે પાકિસ્તાની સેનાએ આર. એસ. પુરા સબ સેક્ટરમાં કોરોટોની બોર્ડર પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફ જવાન ચંદરરાય શહીદ થયો હતો. આ પહેલાં ૧૫મી ઓગસ્ટે પાકિસ્તાને પુંચ સેક્ટરમાં કૃષ્ણાઘાટી અને સામ્બા વિસ્તારમાં પણ ગોળીબાર કર્યો હતો.