નવી દિલ્હી, તા. ૨૦
સપ્ટેમ્બરમાં નવાં ધોરણો જાહેર થવાની શક્યતા
શેરબજાર નિયનકાર સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા નાના રોકાણકારોનાં હિત માટે આઈપીઓમાં ફાળવેલા શેર સામે સેફ્ટિનેટ લાગુ કરવા વિચારી રહી છે. આઈપીઓમાં ખૂબ જ નાના રોકાણકારોએ કરેલી અરજી પૈકીના કેટલાક ભાગની રકમની સલામતી માટે સેબી આગામી મહિને નિર્ણય લેશે તેવી શક્યતા છે, જો કે સેફ્ટિનેટના મુદ્દે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અને બજારના અન્ય વર્ગે વિરોધ દર્શાવ્યો હોવા છતાં સેબી આ તરફ આગળ વધશે. ચાલુ મહિને સેબીની બોર્ડ-બેઠકમાં રોકાણકારોને આઈપીઓ શેર ખરીદતી વખતે સેફ્ટિનેટ ગેરંટી આપવા માટેનો નિર્ણય મુલતવી રહ્યો હતો. શેરબજારમાં સેફ્ટિનેટની જોગવાઈથી સામાન્ય બજાર કામગીરીમાં અડચણ આવવાની શક્યતાએ વિવાદ થયો હતો.
સેબીના ચેરમેન યુ. કે. સિંહાએ જણાવ્યું હતું કે, સેફ્ટિનેટ મુદ્દે વધુ મસલત થયા બાદ અંતિમ નિર્ણય લેવાશે. સેબીની આગામી બોર્ડ-બેઠકમાં સેફ્ટિનેટના મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવશે. સેબીના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ જોગવાઈમાં કેટલાક સુધારા કરીને અત્યંત નાના રોકાણકારો સુધી સેફ્ટિનેટ મર્યાદિત રાખવામાં આવે તેવી વકી છે.
સેબીના મતે આઈપીઓમાં સેફ્ટિનેટની જોગવાઈથી ભારતીય નાગરિકો પાસે પડી રહેલી ફાજલ રકમ, સોનું અથવા અન્ય ડેડ ઈન્વેસ્ટમેન્ટને બદલે શેરબજારમાં લાવવામાં મદદરૃપ થશે. એક અંદાજ મુજબ સેબીએ નાના રોકાણકારો માટે આઈપીઓમાં જાહેર કરેલાં ધોરણો મુજબ ફક્ત ન્યૂનતમ લોટ સાઈઝ માટે સેફ્ટિનેટ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.
પ્રાઈમરી માર્કેટમાં સુધારણા અંતર્ગત સેફ્ટિનેટને મહત્ત્વની જોગવાઈ ગણવામાં આવી રહી છે. સેફ્ટિનેટના અમલથી આઈપીઓમાં ફેર પ્રાઈસિંગ થઈ શકશે તેમજ રોકાણકારોની મૂડીનો કેટલોક ભાગ સલામત બનશે. સેબીએ ૧૬ ઓગસ્ટની બોર્ડ બેઠકમાં મ્યુચ્યુઅલ ફંડ તેમજ આઈપીઓ રોકાણ અંગે મહત્ત્વના સુધારણા જાહેર કર્યા હતા.
લિસ્ટિંગ બાદ અમુક ચોક્કસ સમયમાં શેરનો ભાવ તળિયે જાય તો રોકાણકારોને ઇશ્યૂભાવથી શેર બાય બેક કરીને ફરજિયાત એક્ઝિટ ઓપ્શન આપવાની દરખાસ્તને સેફ્ટિનેટ કહે છે.