Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 02:34:56 AM IST
 

રાધારાણીનો જન્મદિવસ રાધાષ્ટમી

Sep 12, 2012 Supplements > Shraddha
 
comment     E-Mail     Print    
 
Viewed: 4130
Rate: 5.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

ભાદરવા સુદ આઠમના દિવસે મથુરા પાસેના બરસાનામાં મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં શ્રીકૃષ્ણપ્રિયા ભગવતી રાધાનો જન્મ થયો હતો. તેમનો જન્મદિવસ રાધાષ્ટમી તરીકે ઊજવાય છે. આ દિવસે રાધાજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. મથુરા, વૃંદાવન, બરસાના (જન્મ સ્થળ) વગેરે જગ્યાએ રાધારાણી મંદિર સહિત ભારતભરમાં રાધાષ્ટમીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઊજવાય છે

રાધાજીનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ નિષ્કામ અને નિઃસ્વાર્થ છે. તેઓ સંપૂર્ણપણે શ્રીકૃષ્ણને સસર્પિત છે. રાધાજી શ્રીકૃષ્ણ પાસેથી કોઈ કામનાપૂર્તિ નથી ઇચ્છતાં. તેઓ સદા શ્રીકૃષ્ણના આનંદ માટે ઉદ્યત રહે છે. તે જ રીતે મનુષ્ય સર્વસ્વ સમર્પણની ભાવના સાથે કૃષ્ણપ્રેમમાં લીન થાય છે ત્યારે જ તેઓ રાધાભાવ ગ્રહણ કરી શકે છે. કૃષ્ણપ્રેમનું શિખર રાધાભાવ છે, તેથી જ શ્રીકૃષ્ણને પામવા માટે દરેક ભક્ત રાધારાણીનો આશ્રય લે છે.

પુરાણોમાં શ્રીરાધાજી

જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં રાધા છે અને જ્યાં રાધા છે ત્યાં જ શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ વગર રાધા અથવા રાધા વગર શ્રીકૃષ્ણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, તેથી જ રાધાજી 'મહાશક્તિ' કહેવાય છે. આ અંગે વિવિધ પુરાણો અને ઉપનિષદો શું કહે છે.

* રાધોપનિષદમાં રાધાજીનો પરિચય આપતા કહેવાયું છે કે, 'કૃષ્ણ તેમની આરાધના કરે છે, તેથી જ તેઓ રાધા છે. વ્રજમાં ગોપીઓ અને દ્વારકાની પટરાણીઓ આ જ શ્રીરાધાનું અંશરૂપા છે. રાધાજી અને શ્રીકૃષ્ણ એક હોવા છતાં પણ ક્રીડા માટે બે થઈ ગયાં છે. રાધિકા શ્રીકૃષ્ણના પ્રાણ છે. આ રાધારાણીની અવહેલના કરીને જે પણ શ્રીકૃષ્ણની ભક્તિ કરે છે, તે પ્રભુને ક્યારેય મેળવી શકતો નથી.'

* ભવિષ્યપુરાણ અને ગર્ગસંહિતા અનુસાર દ્વાપરયુગમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી પર અવતરિત થયા ત્યારે ભાદ્રપદ માસના સુદ પક્ષની અષ્ટમી તિથિએ મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં ભગવતી રાધાજી અવતરિત થયાં ત્યારથી ભાદરવા સુદ આઠમ 'રાધાષ્ટમી' તરીકે વિખ્યાત થઈ.

* સ્કંદપુરાણ અનુસાર રાધા શ્રીકૃષ્ણનો આત્મા છે, તેથી ભક્તજન સીધી-સાદી ભાષામાં તેમને 'રાધારમણ' કહીને બોલાવે છે.

* પદ્મપુરાણમાં 'પરમાનંદ' રસને જ રાધા-કૃષ્ણનું યુગલ સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેમની આરાધના વગર જીવ પરમાનંદનો અનુભવ કરી શકતો નથી.

* નારદપુરાણ અનુસાર 'રાધાષ્ટમી'નું વ્રત રાખનાર ભક્ત વ્રજના દુર્લભ રહસ્યને જાણી લે છે.

* પદ્મપુરાણમાં સત્યતપા મુનિ સુભદ્રાગોપી પ્રસંગમાં રાધાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. રાધા અને કૃષ્ણને 'યુગલ સરકાર'ની સંજ્ઞા તો ઘણી જગ્યાએ આપવામાં આવી છે.

શ્રીકૃષ્ણનો મીઠાજેટલો પ્રેમ

એક વાર શ્રીકૃષ્ણ અને રાધાજી બેસીને વાતો કરી રહ્યાં હતાં ત્યારે રાધાજીએ બહુ પ્રેમથી શ્રીકૃષ્ણને પૂછયું કે, 'પ્રભુ! હું તમને કેટલો સ્નેહ અને પ્રેમ કરું છું એ વાતથી તમે સારી રીતે પરિચિત છો, પરંતુ આજે હું તમને પૂછું છું કે તમે મને કેટલો પ્રેમ કરો છો?' રાધારાણીની વાત સાંભળી શ્રીકૃષ્ણ હળવા સ્મિત સાથે પ્રેમથી બોલ્યા, 'પ્રિયે, હું તમને મીઠા જેટલો પ્રેમ કરું છું.' શ્રીકૃષ્ણની આ વાત સાંભળીને રાધાજીને ખૂબ જ આશ્ચર્ય થયું. તેઓ દુઃખી હૃદયે વિચારવા લાગ્યાં કે હું તો પ્રભુને અનહદ પ્રેમ કરું છું, મેં તો મારું સમગ્ર જીવન તેમના પર ન્યોછાવર કરી દીધું છે અને પ્રભુ મને માત્ર મીઠા જેટલો જ પ્રેમ કરે છે?

રાધાજીની આંખમાં અશ્રુ જોઈને શ્રીકૃષ્ણે વિચાર્યં કે રાધારાણીના મનમાં ચાલી રહેલા આ પ્રશ્નનું નિરાકરણ કરવું જ પડશે, તેથી તેમણે રાધારાણીને કહ્યું, 'પ્રિયે! તમારી રાજધાનીમાં બધાને આજે નિમંત્રણ આપો અને જાતજાતનાં સ્વાદિષ્ટ વ્યંજન બનાવીને તેમને ખવડાવો, પરંતુ એક વાતનું ધ્યાન રહે કે તમારે કોઈ પણ વ્યંજનમાં મીઠું નાખવાનું નથી.'

ભોળી રાધારાણીએ એવું જ કર્યું. નક્કી કરેલા સમયે પ્રજાજનો એકત્રિત થયા. રાધાજીએ આદર-સત્કારથી બધાનું સ્વાગત કર્યું અને ભોજન પીરસ્યું. બધી જ પ્રજા ભોજન કરવા બેસી ગઈ અને રાધાજીએ તેમને ભોજન શરૂ કરવા જણાવ્યું. શ્રીકૃષ્ણની આજ્ઞા મેળવીને બધાએ ભોજન કરવાનું શરૂ કર્યું.

કોઈ એક કોળિયો ખાતું તો કોઈક બે કોળિયા ખાતું અને એકબીજાની સામું જોતા. પ્રભુ કહેતા, ખાઓ ખાઓ, પ્રેમથી ખાઓ. કોઈ કંઈ જ ન બોલી શક્યું, પરંતુ એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, 'હે પ્રભુ! તમે પ્રેમથી જમાડી રહ્યા છો. તમે જમવા માટે છપ્પન પ્રકારની વાનગીઓ બનાવડાવી છે. જેને જોતાં જ મોંમાં પાણી આવી રહ્યું છે, પરંતુ આ બધી જ વાનગીઓમાં મીઠું નથી, તેથી તે બધી વાનગી ફિક્કી લાગી રહી છે, સ્વાદ વગરની લાગી રહી છે. કૃપા કરીને રાધાજીને કહો કે તેમાં મીઠું નાખે, જેથી આ વાનગીઓ ખાવાયોગ્ય બને.'

આ સાંભળી પ્રભુએ કહ્યું, 'પ્રિયે! હવે બધી જ વાનગીઓમાં મીઠું નાખી દો.'

પ્રભુની આજ્ઞા મેળવીને રાધારાણીએ બધી જ વાનગીઓમાં મીઠું નાખી દીધું અને પ્રજાને ફરીથી ભોજન કરવા કહ્યું. પ્રજાએ બધી જ વાનગીઓ આરોગીને ભરપૂર આનંદ મેળવ્યો. આ જોઈને શ્યામસુંદરે હસીને રાધારાણી તરફ જોયું. રાધારાણીને પોતાના મનમાં ચાલી રહેલા પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો કે પ્રભુ તેમને કેટલો પ્રેમ કરે છે.

શા માટે શ્રીકૃષ્ણ રાધાજીને સૌથી વધારે પ્રેમ કરે છે?

અથવા
શ્યામસુંદરનો રાધાપ્રેમ

શ્રીકૃષ્ણ હંમેશાં રાધાજીને યાદ કરતા. શ્રીકૃષ્ણનો રાધાજી માટેનો આવો પ્રેમ જોઈને તેમની પત્નીઓ હંમેશાં વિચારતી હતી કે રાધાજીમાં એવી તો શું વાત છે કે શ્યામસુંદર અમારા જેવી પત્નીઓ હોવા છતાં પણ સૌથી વધારે પ્રેમ રાધાજીને કરે છે અને તેમને જ સૌથી વધારે યાદ કરે છે?

એક વાર જ્યારે શ્રીકૃષ્ણની પટરાણીઓને રાધાજીને મળવાનો અવસર મળ્યો ત્યારે તેઓ તેમના માટે ભેટસ્વરૂપ ગરમ દૂધને એક પાત્રમાં લઈને રાધાજીની પાસે ગયાં. પટરાણીઓ રાધાજીને મળી. થોડી વાર પછી તેમણે ગરમ દૂધ રાધાજીને આપ્યું અને કહ્યું કે આ દૂધ શ્રીકૃષ્ણએ તેમના માટે મોકલ્યું છે. આ સાંભળતાંની સાથે જ તેમણે દૂધ ગરમ છે કે ઠંડું તેની પરવા કર્યા વગર તરત જ તે દૂધ પી ગયાં, કારણ કે આ દૂધની ભેટ તેમના પ્રિયતમે મોકલી હતી. આ જ રાધાપ્રેમની પરાકાષ્ઠા હતી.

જ્યારે પટરાણીઓ રાધાજીને મળીને પાછી શ્રીકૃષ્ણ પાસે પહોંચી ત્યારે તેમણે જોયું કે શ્રીકૃષ્ણ મોંમાં ચાંદાંને કારણે દુખાવાથી કણસી રહ્યા છે. પટરાણીઓને જ્યારે શ્રીકૃષ્ણના મોંનાં ચાંદાંનું રહસ્ય જાણવા મળ્યું તો તેમને ખૂબ જ પસ્તાવો થયો. તેમણે માની લીધું કે શ્રીકૃષ્ણ રાધાજીની રગેરગમાં વસે છે. રાધાજીના હૃદયમાં શ્રીકૃષ્ણ રહે છે, તેથી ગરમ દૂધથી રાધાજીને કંઈ ન થયું. શ્રીકૃષ્ણએ રાધાજીનાં તમામ કષ્ટ પોતે લઈ લીધાં.

આ પ્રસંગ પરથી જાણવા મળે છે કે શ્રીકૃષ્ણ અને રાધાજી એકબીજામાં કેવી રીતે સમાયેલાં છે. રાધાભાવ કોઈ પણ પ્રેમથી સર્વોચ્ચ છે. રાધાભાવ એ એવી સ્થિતિ છે જ્યાં એ જાણવું મુશ્કેલ છે કે કોણ રાધા છે અને કોણ શ્રીકૃષ્ણ છે? આ યોગની તુર્ય અવસ્થા (અંતિમ અવસ્થા) પણ કહેવાય છે.

રાધાજીએ શા માટે પોતાના નામની જય બોલવી?
શ્યામસુંદરને તો રાધે નામ પ્રિય છે

શ્રી રાધાજીએ પોતાના મહેલમાં પોપટ પાળ્યા હતા. તેઓ પોપટને રોજ હરેકૃષ્ણ, હરેકૃષ્ણ બોલવાનું શીખવે. સાથે પોપટ પણ આખો દિવસ હરેકૃષ્ણ, હરેકૃષ્ણ બોલતા રહેતા અને રાધાજીની સખીઓ પણ હરેકૃષ્ણ, હરેકૃષ્ણ કહેતી.

એક દિવસ રાધાજી યમુના કિનારે વિચરણ કરી રહ્યાં હતાં. ત્યાં તેમણે જોયું કે શ્યામસુંદર નારદજીને કંઈક કહી રહ્યા છે. રાધાજી છુપાઈને તેમની વાતો સાંભળવા લાગ્યાં. નારદજી કહી રહ્યા હતા કે હું વ્રજ સહિત જ્યાં પણ જાઉં ત્યાં મને હરેકૃષ્ણ, હરેકૃષ્ણની ગુંજ સંભળાય છે. આ સાંભળી ઠાકોરજીએ કહ્યું, પણ મને તો રાધે રાધે નામ પ્રિય છે.

શ્યામસુંદરના મોઢે આ વાત સાંભળીને રાધાજીની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. તેઓ તરત જ પોતાના મહેલમાં પાછાં ફર્યાં. હવે તેઓ પોપટને હરેકૃષ્ણની જગ્યાએ રાધે-રાધે શીખવવા લાગ્યાં. જ્યારે તેમની સખીઓએ કહ્યું કે આ સાંભળીને લોકો તમને અભિમાની કહેવા લાગશે, કારણ કે તમે પોતાના નામની જય બોલાવા માંગો છો ત્યારે રાધાજીએ કહ્યું, જો મારા પ્રિયતમને આ નામ પસંદ છે, તો હું આ જ નામ લઈશ, પછી ભલે મને લોકો અભિમાની કહેતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com