ચેન્નાઈ, તા. ૧૪
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેક્કન ચાર્જર્સની ટીમ ટકશે કે તેનો છેદ ઉડાવી દેવાશે એ અંગે શનિવારે બીસીસીઆઇની ર્વિંકગ કમિટીમાં ફેંસલો લેવામાં આવશે. એક એવી પણ શક્યતા ઊભી થઇ છે કે કરારનો ભંગ કરવા બદલ ડેક્કન ચાર્જર્સનો છેદ ઉડાવી દઇ તેનાં સ્થાને નવાં શહેરને આઇપીએલની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે. બીસીસીઆઇ પાંચ કે છ શહેરનાં નામ જાહેર કરી તેમાંથી હાઇએસ્ટ બિડરને ફ્રેન્ચાઇઝી આપી શકે છે. પ્લેયર્સને ગઇ સિઝનની કુલ ૩૬ કરોડની મેચ-ફી નહીં ચૂકવી ડેક્કને કરારનો ભંગ કરેલો છે. એવી પણ સંભાવના ઊજળી બની છે કે પ્લેયર્સને પગાર ચૂકવવા યસ બેંક ડેક્કન ચાર્જર્સ માટે બેઇલઆઉટ પેકેજની જાહેરાત કરે. ડેક્કન ચાર્જર્સને ધીરાણ આપનારી ૨૮ સંસ્થામાં યસ બેંકનો પણ સમાવેશ થાય છે. ડેક્કનની હરાજી માટે ગુરુવારે એકમાત્ર પીવીપી વેન્ચર્સે રસ દર્શાવ્યો હતો. પીવીપી વેન્ચર્સે ઓફર કરેલી ૯૦૦ કરોડની રકમ ડેક્કન ચાર્જર્સને ઓછી લાગી હતી.
આઇપીએલની પૂરી ફ્રેન્ચાઇઝી વેચાણમાં મુકાઇ હોય તેવું પ્રથમ વાર થયું છે. અગાઉ ૨૦૦૯માં રાજસ્થાન રોયલ્સે પોતાનો અમુક હિસ્સો શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાને વેચ્યો હતો. શનિવારે મળનારી બીસીસીઆઇની બેઠકમાં બંધારણમાં ફેરફારના કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવે તેવી પણ સંભાવના છે.