સુરત, તા.૧૪
એરઇન્ડયાએ સુરત -દિલ્હી ફલાઇટના મુસાફરોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ રેટ જાહેર કર્યા છે. ઉપરાંત નીંચા દરની બેઠક ક્ષમતા પણ વધારવામાં આવી છે. ૬૮ની બેઠક ક્ષમતા ધરાવતા એરક્રાફટમાં નીંચા દરની બેઠક ક્ષમતા ૧૦થી વધારીને ૨૫ કરવામાં આવી છે.
- બે સ્લેબમાં બેઠક ક્ષમતા ૧૦થી વધારીને ૨૫ કરાઇ
- લોઅર ફેરમાં રિટર્ન ટિકિટ લેનારાને લગભગ ૧૦૦૦નું ડિસ્કાઉન્ટ
એરઇન્ડિયા સાથે સંકળાયેલા વર્તુળો પ્રમાણે, સુરત- દિલ્હી ફલાઇટના મુસાફરો માટે એરલાઇન્સ દ્વારા લોઅર ફેરની બેઠક વધારવામાં આવી છે. ઉપરાંત ફેરમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યા છે. તાકીદની અસરથી દિલ્હી- સુરત -દિલ્હી ફલાઇટની લોઅર ફેર માટેની બેઠક ક્ષમતા વધારવામાં આવી છે. લોઅર ફેરની ટિકિટના બે સ્લેબ છે. ૧૪ દિવસ પૂર્વે અને ૭ દિવસ પૂર્વે એડવાન્સમાં બુકિંગ કરાવનારાઓને આ લાભ મળી શકે છે. સુરત- દિલ્હી ફલાઇટ માટે ઉપયોગમાં લેવાતા એરક્રાફટમા કુલ ૬૮ મુસાફરોની બેઠક ક્ષમતા છે. જે પૈકી લોઅર ફેર માટે ૧૦ બેઠક ફાળવવામાં આવી હતી. આ બેઠક ક્ષમતા વધારીને ૨૫ કરવામાં આવી છે. જે મુજબ અગાઉ ૧૪ દિવસ પહેલા બુકિંગ કરાવનારાઓના લોઅર ફેરમાં ૫ બેઠક હતી, જે વધારીને ૧૫ કરવામાં આવી છે.
જ્યારે, ૭ દિવસ પહેલા બુકિંગ કરાવનારાઓ માટેના લોઅર ફેરમાં ૫ બેઠક હતી, જે વધારીને ૧૦ કરવામાં આવી છે. વધુમાં પ્રાપ્ત વિગત પ્રમાણે એરલાઇન્સ દ્વારા લોઅર ફેરના મુસાફરો માટે ડિસ્કાઉન્ટ પણ જાહેર કરાયા છે. જેમાં ખાસ કરીને રિટર્ન ટિકિટ બુકિંગ કરાવનારને લગભગ ૮૦૦- ૧૦૦૦ રૂપિયા ડિસ્કાઉન્ટ મળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત -દિલ્હી ફલાઇટના ભાડા ઘટાડવા માટે શહેરીજનો દ્વારા માગ કરવામાં આવી રહી છે. જે અંગે શહેરીજનો તથા સંસ્થાઓ દ્વારા રજૂઆત પણ થઇ છે. જેને લઇને એરલાઇન્સ દ્વારા નીંચાદરની બેઠકો વધારવામાં આવી હોવાનો અંદાજ માડવામાં આવી રહ્યો છે. જો કે, હાલમાં પ્રાથમિક તબક્કે આ લાભ માત્ર સપ્ટેમ્બર પૂરતો જ આપવાની તથા તેના અભ્યાસના આધારે હવે પછીનો નિર્ણય લેવાના સંકેત આપવામાં આવ્યા છે.