રાજકોટ, તા.૧૬ :
શહેરમાં બુધવારથી ગણેશ ઉત્સવ સંદર્ભે તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. સાર્વજનિક ગણેશ ઉત્સવના પંડાલોને આકર્ષક રોશનીથી અને ધજા-પતાકાથી શણગારવામાં આવી રહ્યાં છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો ગણપતિ તેડશે અને ૧૧ દિવસ ભાવપૂર્વક ભક્તિ કરશે.
- આકર્ષક રોશની અને ધજા-પતાકાથી પંડાલો શણગારાયા
- ૧૧ દિવસ સુધી ભાવિકો ગણપતિ મહારાજની ભક્તિ કરશે : રોજ નીતનવા કાર્યક્રમ
શિવ શક્તિ યુવા ગ્રુપ દ્વારા એસ.એન.કે. ચોકમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૯ના રોજ સવારે દસ વાગ્યે પ્રતિષ્ઠા, રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા, ૨૦મીએ રાત્રે લોકડાયરો, ૨૨મીએ રાત્રે શ્રીનાથજીની ઝાંખી, ૨૩મીએ રાત્રે બહેનો માટે પાણીપુરી સ્પર્ધા, ૨૫મીએ રાત્રે ભાઈઓ માટે લાડુ સ્પર્ધા, ૨૬મીએ રાત્રે મહાઆરતી, ૨૭મીએ રાત્રે લોકડાયરો, ૨૮મીએ હસાયરો, ૨૯મીએ સવારે દસ વાગ્યે વિસર્જન યાત્રા નીકળશે. આ ગણપતિ આસપાસ ઉંદરો પ્રદક્ષિણા ફરતા હોય ભાવિકોમાં ખાસ આકર્ષણ રહે છે. બ્રહ્મસેના દ્વારા શ્રીમદ્દ ભવન, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે અને માતુશ્રી, ચંપકનગર સોસાયટી શેરી નં.૩, પેડક પાસે ગણપતિ ઉત્સવનું આયોજન કરાયું છે. પરંતુ બ્રહ્મસેના પરિવારના હિતેશભાઈ રાવલની પુત્રી ચાંદનીનું અવસાન થતાં બન્ને સ્થળો પર માત્ર પૂજા અને અર્ચના થશે.
સંસ્થા દ્વારા બન્ને સ્થળો પર ૧૦૮ ગણેશ મંત્રો અને સિધ્ધિ વિનાયક પાઠ અને આરતીની બુક વિતરણ કરવામાં આવશે. જવાન ગ્રુપ દ્વારા ઈન્દિરા સર્કલ પાસે આપણા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૯મીએ સવારે ૯ વાગ્યે પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ વર્ષે અહીં સાત ફૂટની મુર્તિની સ્થાપના કરવામાં આવશે. રોજ સવારે ૯ વાગ્યે મહાપૂજા અને રાત્રે ૮ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. ગણેશોત્સવ દરમિયાન સંગીત સંધ્યા, સત્યનારાયણ ભગવાનની કથા, સુંદરકાંડના પાઠ સહિતના કાર્યક્રમ યોજાશે. સમગ્ર ચોકને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો છે.