રાજકોટ, 17 સપ્ટેમ્બર
રાજકોટ ખાતે આજે વિવેકાનંદ રથયાત્રા દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારી નોકરીઓમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી, જે પ્રમાણે 25 વર્ષની વયમર્યાદા વધારીને 28 કરાશે અને 28 વર્ષની વયમર્યાદા વધારીને 30 વર્ષની કરવામાં આવશે.
ઉપરાંત રાજકોટ શહેરમાં લાગુ પડતાં એફએસઆઈનાં નિયમોમાં 25 ટકાનો વધારો જાહેર કર્યો હતો. જામનગરને પણ બાંધકામમાં 1+3ની છૂટછાટને બદલે 1+4 આપવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીએ આજે તેમનાં જન્મદિન નિમિત્તે યુવા પરિષદને સંબોધતાં કહ્યું હતું કે, કોંગ્રેસ સરકારની ભ્રષ્ટ રાજનીતિને કારણે 21મી સદીમાં દુનિયાનું નેતૃત્વ કરવાને બદલે આપણે પાછળ પડી રહ્યાં છે.
વધુમાં તેમણે એફડીઆઈની દેશમાં વ્યાપાર માટે આપેલી છૂટછાટ માટેનો મનમોહન સિંહે લીધેલો નિર્ણય વ્યાપાર માટે ઘતક સાબિત થશે અને ઉદ્યોગો ભાંગી પડશે તેમજ બેરોજગારી વધશે અને નાના વેપારીઓને પોતાની દુકાનો બંધ કરવાનો વારો આવશે, તેવું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વધુ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેમની સરકારે ખેલકૂદ ક્ષેત્ર પણ ગુજરાત આગળ આવે તેવી વિવિધ યોજનાઓ બનાવી છે. રાજ્ય સરકારે શિષ્યવૃતિમાં પણ વધારો જાહેર કર્યો છે. વ્યાયામ શિક્ષકોને અપાતું રોજનું ભથ્થું 30રૂપિયા હતું , જે વધારીને 150 કર્યું છે. જો કોઈ ખિલાડી નેશનલ લેવલ પર જીતે તો તેને મળતી શિષ્યવૃતિ 1800ને બદલે 2500 કરવામાં આવી છે. ઉપરાંત કોંગ્રેસની આકરી ટીકા કરીને દેશમાં થયેલાં અંધારપટને વખોડી નાખ્યો હતો.