બીસીસીઆઇ ઇજાગ્રસ્ત ભારતીય ખેલાડીઓ માટે જોખમ નહીં ઉઠાવે

નવી દિલ્હી, તા.૧
આઇપીએલની ટૂર્નામેન્ટ સમાપ્ત થયા બાદ પ્રથમ જૂનથી ઇંગ્લેન્ડમાં ટોચની આઠ ટીમો વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને તે કારણસર બીસીસીઆઇ ભારતીય ખેલાડીઓ માટે કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માગતું નથી. ભારતે આ સિઝનમાં ૧૩ ટેસ્ટ મેચ રમી હતી. જેને કારણે ઘણા ખેલાડીઓ થાકી ગયા છે તો કેટલાક ખેલાડીઓ ઇજાગ્રસ્ત બન્યા છે. હવે આઇપીએલ દરમિયાન ખેલાડીઓની ઇજા વધી જાય તો ટીમ માટે મોટી મુશ્કેલી ઊભી થઇ શકે છે અને તેમનું ટ્રોફી જાળવી રાખવાનું સ્વપ્ન અધૂરું રહી શકે છે. આથી બીસીસીઆઈ પણ સજાગ બન્યું છે. ૨૦૧૩માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બની હતી.
આમ તો બીસીસીઆઇ માટે આઇપીએલ એક મહત્ત્વની ટૂર્નામેન્ટ છે કારણકે તેનાથી બીસીસીઆઇને અઢળક નફો થાય છે પરંતુ આ વખતે ઇજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યામાં વધારો થતાં તેની ચમક થોડી ફિકી પડતી જણાઇ છે. આ સિઝન પૂર્ણ થયા બાદ આઈપીએલ શરૂ થાય તે પહેલાં જ લોકેશ રાહુલ, રવીચન્દ્રન અશ્વિન જેવા ખેલાડીઓએ ઇજાનાં કારણે પોતાનું નામ પાછું લઇ લીધું છે.
વિરાટ કોહલી માટે બોર્ડ કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માગતું નથી અને જે માટે બોર્ડે કોહલીને અત્યારે આઇપીએલમાંથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઉમેશ યાદવ, રવીન્દ્ર જાડેજાને પણ આઈપીએલની શરૂઆતની મેચોમાં આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંને બોલરો અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે અને ઇંગ્લેન્ડની પીચો પર બંને બોલરો મહત્ત્વની ભૂમિકા ભજવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન