આજકાલ મુંબઈ પર ધણીપણું કરવાની ભારે સ્પર્ધા ચાલતી હોય એવું લાગે છે. શિવસેના થકી મરાઠી માણૂસના અધિકાર માટેના સંઘર્ષમાં હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જોડાઈ છે. કાઁગ્રેસ, ભાજપ તથા રાષ્ટ્રવાદી કાઁગ્રેસ મરાઠીપણાની વાત આવે ત્યારે મૂક પ્રેક્ષક રહીને સંમતિ આપવાનું પસંદ કરે છે. આજે મુંબઈની માલિકીના હકને કોઈએ પડકાર્યો નથી છતાં પેટ ચોળીને શૂળ ઊભું કરનારા સર્વપક્ષી મરાઠી નેતાઓ થકી મુંબઈને પ્રાંતવાદી વાઘાં પહેરાવવાની કોશિશ થકી એના કોસ્મો-સ્વરૃપને ખેદાનમેદાન કરી દેવાની ઘાતક પ્રવૃત્તિ આદરી છે. રાજનેતાઓ અને પક્ષો કને નક્કર પ્રજાલક્ષી મુદ્દાઓ હોતા નથી ત્યારે બિનમુદ્દાઓ ઉછાળીને પ્રજાની લાગણીને ઉશ્કેરવાની કોશિશ થતી હોય છે. એમાં સત્તા પક્ષ પોતાની જન-ઑડિટની જવાબદારીમાંથી છટકી શકે છે અને વિપક્ષ સત્તામાં પાછા ફરવા માટેનો મારગ ગોતે છે. મુંબઈના મૂળ નિવાસી કોળી-માછીમાર પ્રજાથી લઈને એના વર્તમાન સ્વરૃપ સુધીના ઘટનાક્રમમાં અનેકોનું યોગદાન રહ્યું. પોર્ટુગીઝો થકી અંગ્રેજોને દહેજમાં અપાયેલા મુંબઈ ટાપુના વિકાસમાં દેશી-વિદેશી પ્રજાનું યોગદાન રહ્યું. એના આર્િથક વિકાસના પાયાના પથ્થર તરીકે ગુજરાતી પ્રજાનું યોગદાન કોઈ નકારી શકે નહીં. મુંબઈને મરાઠીભાષિકોની, દિલ્હીને હિંદીભાષિકોની, કોલકાતાને માત્ર બંગાળી બાબુઓની, બેંગલુરૂને કન્નડભાષિકોની અને ચેન્નઈને તમિળોની ગણાવવાની વૃત્તિ-પ્રવૃત્તિ તો ભારતીય સંસ્કૃતિને લજ્જિત કરી મૂકશે. ભારતના હજારો વર્ષના ઇતિહાસમાં એની સંસ્કૃતિમાં અનેકોએ ઉમેરણ કર્યાં છે. સત્તા સંઘર્ષો અને ગુલામીના યુગમાં પણ શાસકોએ તથા નવાગંતુકોએ ભારતીય સંસ્કૃતિને સીંચીને સમૃદ્ધ બનાવી છે. #039;બોમ્બે#039;નું મુંબઈ થયું એના થકી મરાઠી પ્રજાએ ગૌરવ જરૃર અનુભવ્યું, પણ એટલા માત્રથી સંતોષ માની લેવાની આવશ્યકતા નથી. મુંબઈને ફરીને સંયુક્ત મહારાષ્ટ્ર અને મહાગુજરાતના વિવાદમાં સપડાવવાની કોશિશમાં આપણા ટૂંકી દૃષ્ટિના રાજનેતાઓ છે. મૂળભૂત રીતે ભાષાવાર પ્રાંતરચના થકી જે વિષફળ ભોગવવાનો વારો આવ્યો છે એનું જ આ પરિણામ છે. અનેકતામાં એકતાનું ગૌરવ લેનાર આ રાષ્ટ્ર આજે ભાષાવાર પ્રાંતરચનાથી અલગ અલગ ભાષાઓ અને ઉપભાષાઓમાં વિભાજિત છે. હિંદીભાષિક રાજ્યોમાં પણ રાજ્યોનાં વિભાજનો થયા જ કરે છે. મુંબઈ પર મરાઠીપણાનો ધ્વજ લહેરાવવાની નિરર્થક કોશિશ કરનારાઓની નજર સામે જ નાગપુરમાં રાજધાની સાથેના વિદર્ભ રાજ્યની માગણી પણ હજુ ઊભી છે. મરાઠી-બિનમરાઠીના સંઘર્ષ તો સાપના ઝેરનાં પારખાં કરવા જેવાં છે. એ અખતરા જોખમી છે. એ દિશા ખોટી છે. ક્યારેક પાછા ના ફરી શકાય એવા તબક્કે પહોંચી જવાશે. આજના સ્વાર્થી રાજનેતાઓ ટૂંકા ગાળામાં થોડા ઘણા સ્વાર્થ અંકે કરી શકશે, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે વેરઝેરનાં બીજ જ વારસામાં દઈ જશે. આવાં જોખમ અત્યારે વાંચી લેવાની જરૃર છે.
મુંબઈમાંથી બિનમરાઠીઓની હકાલપટ્ટી કરીને ખાલીપો રાજ્યના અંતરિયાળ પ્રદેશમાંથી નોકરી-ધંધા માટે આવનારા મરાઠીભાષિકોથી ભરી લેવાની કોશિશ થાય તો કેવું ચિત્ર ઉપસશે એનો વિચાર સુદ્ધાં અત્યારના મરાઠી આંદોલનકારીઓ કરતા નથી. પોતાનાં રાજકીય તરભાણાં ભરવાનાં એમનાં ઝેરીલાં સાધનો મુંબઈની ભવ્યતાને ખંડેર બનાવીને રહે એ પહેલાં સમગ્ર દેશની પ્રજા અને શાસકોએ જાગવું પડશે. ગાંધીજીએ ગામડાં ભણી જવાની કરેલી વાજબી વાતને ભૂલાવીને નહેરુવાદી આયોજનોએ શહેરીકરણની સમસ્યાઓ સર્જી દીધી છે. આજે મુદ્દો મુંબઈનો છે, કાલે બીજાં રાજ્યો અને પ્રદેશોનાં નગરો પર વધતા વસ્તીબોજનો હશે. શહેરોના આવા રાજકીય વિસ્ફોટ ટાળીએ. મુંબઈ દેશની આર્િથક રાજધાની છે. એ સમગ્ર દેશની છે. એને માત્ર મહારાષ્ટ્રની રાજધાની તરીકે મરાઠી વાઘા પહેરાવવા જતાં તો એના વિશ્વ સ્વરૃપને પ્રાંતવાદી છબિમાં સીમિત કરી નાંખવા જેવું થશે. મુંબઈના તમામ નિવાસી એના સ્વરૃપને વધુ જીવવા યોગ્ય, પર્યાવરણની દૃષ્ટિએ સુંદર અને સમાજની દૃષ્ટિએ સુયોગ્ય બનાવે એ જરૃરી છે. મુંબઈ કોની એ પ્રશ્ન જ અસ્થાને છે. આજે ઉત્તર ભારતીયો વિરુદ્ધ છેડાયેલો જંગ આવતી કાલોમાં બીજાઓ ભણી તકાશે. આ તો વસ્ત્રાહરણ જેવું લાગે છે. મુંબઈ દેશની અનેક પ્રજાઓના પરસેવાથી સિંચાઈને વર્તમાન સ્વરૃપમાં આવી છે ત્યારે મરાઠીભાષિકોના રાજકીય પક્ષો અને મરાઠી બુદ્ધિજીવીઓ એનું ચીરહરણ કરવા મેદાને ના પડે એમાં જ ગનીમત.
છેલ્લા કેટલાક વખતથી જે ઘટનાઓ બની તે યોગ્ય ન હતી. ઉત્તર ભારતીયો, બિહારીઓ વગેરે એટલે કે બિનમરાઠીભાષી લોકોને મુંબઈ-મહારાષ્ટ્રમાંથી હાંકી કાઢવાની વાત થઈ. ત્યાર બાદ તેના વિરોધમાં હિંસાત્મક ઘટનાઓ ઘટી.જો કે તેને પાછળથી રાજકીય સ્વરૃપ અપાયું અને તેમાં બીજા પ્રદેશના અને રાષ્ટ્રીય નેતાઓ પણ કૂદી પડયા. સામસામા આક્ષેપો-પ્રતિઆક્ષેપો થયા. ચૂંટણીઓ નજીક હોવાથી અને ઠાકરે પિતા-પુત્રના પક્ષોની તાસીર પહેલેથી ધાકધમકીભરી હોવાથી સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે પણ આકરાં પગલાં લેતાં સહુ ખચકાય છે. પરિણામે વધુ પ્રોત્સાહન મળે છે. તાજેતરમાં કેટલીક કંપનીઓ કે સંસ્થાઓનાં નામો #039;બોમ્બે#039;થી શરૃ થતાં હોવાથી #039;બોમ્બેને બદલે મુંબઈ#039; કરોની માગણી સાથે ભાંગફોડ થઈ. કંપની કે સંસ્થાના નામ તો દાયકાઓ પૂર્વે તેની સ્થાપના વખતે રખાયાં હોય અને તે તે નામે જ જાણીતી બની હોય. તેથી આવાં નામો તાત્કાલિક ન બદલાય તેટલી તો સમજણશક્તિ હોવી જોઈએ, પણ જેને સમજવું હોય તેને માટે ઠીક છે. બાકી રાજકારણમાં આજે જ્યારે #039;ન્યુસન્સ#039;ની વેલ્યુ વધી ગઈ છે ત્યારે આવી અપેક્ષા રાખવી જ યોગ્ય નથી. ટૂંકમાં એવું કહી શકાય કે આવો વિરોધ અસ્થાને જ હોય. લોકશાહીમાં મત વ્યક્ત કરવાનો અધિકાર બધાને છે, પણ હિંસાત્મક રીતે કે ભાંગફોડ કરીને નહીં. વિરોધ વ્યક્ત કરવાની રીત હોવી જોઈએ.