- આજે શનિશ્ચરી અમાસ સાથે આંશિક સૂર્યગ્રહણ
- આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક લાગશે નહી
- મેષ રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ રચાશે
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે રાત્રે થવા જઈ રહ્યું છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે 12.15 થી શરૂ થશે અને સવારે 04.07 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થશે. જોકે આ આંશિક સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાશે નહીં. તેથી સુતક સંબંધિત નિયમોનું પાલન કરવાની જરૂર નથી. તેમ છતાં, જ્યોતિષીઓ ભારતમાં આ ગ્રહણને લઈને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. ત્રણ મુખ્ય ગ્રહોનું દુર્લભ સંયોજન આનું કારણ માનવામાં આવે છે.
સૂર્ય-ચંદ્ર-રાહુનો સંયોગ
જ્યોતિષીઓનું કહેવું છે કે આ ગ્રહણમાં સૂર્ય, ચંદ્ર અને રાહુનો સંયોગ બનશે. આ સંયોગ પર શનિની દ્રષ્ટિ રહેશે. સૂર્ય, રાહુ અને શનિના પ્રભાવને કારણે અકસ્માત થવાની સંભાવના રહેશે. મેષ રાશિમાં ગ્રહણ સમગ્ર વિશ્વમાં યુદ્ધ અને વિસ્ફોટનો સંકેત આપે છે. ભારતની પૂર્વ બાજુએ ચીન, જાપાન અને બાંગ્લાદેશની બાજુમાં વધુ સમસ્યાઓ હોઈ શકે છે.
સૂર્યગ્રહણ વખતે શું ન કરવું જોઈએ
સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખૂબ કાળજી રાખવી જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન ધારદાર સાધનોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન પૂજા ન કરવી જોઈએ. ગ્રહણ દરમિયાન સૂર્યપ્રકાશમાં બહાર ન જવું જોઈએ. ગ્રહણ નરી આંખે ન જોવું જોઈએ. આ દરમિયાન કોઈપણ યાત્રા મુલતવી રાખવી જોઈએ.
આ 5 રાશિ સાવધાન રહો
મેષ રાશિ
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મેષ રાશિમાં જ થવાનું છે. તેથી, આ રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્ય અને અકસ્માતોનું ધ્યાન રાખવું પડશે. કરિયર અને શિક્ષણના મામલામાં મુશ્કેલી આવી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોએ પોતાના વ્યવસાય અને દાંપત્ય જીવન પર ધ્યાન આપવું પડશે. સ્વાસ્થ્ય સંબંધી નાની-નાની સમસ્યાઓને પણ અવગણશો નહીં.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને બિનજરૂરી ચિંતાઓ અને વિવાદોનો સામનો કરવો પડી શકે છે. પિતા અને ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
તુલા રાશિ
પારિવારિક જીવનનું ધ્યાન રાખવું પડશે. અકસ્માત થઈ શકે છે. વેપાર અને પૈસાની લેવડ-દેવડમાં વિશેષ કાળજી રાખવી.
મકર રાશિ
મકર રાશિના લોકોએ આ સમયે તેમની કારકિર્દીમાં જોખમ ન લેવું જોઈએ. નોકરી-ધંધામાં મોટો ફેરફાર તમારા માટે નુકસાનકારક બની શકે છે.