- શિવાલયમાં શિવલિંગ સામે નંદી શા માટે બિરાજમાન હોય
- નંદીનાં દર્શન કર્યાં પછી તેમનાં શિંગડાંઓનો સ્પર્શ કરીને માથે હાથ લગાવવાનું વિધાન
- નંદીનાં દર્શન કરવાથી મનુષ્યમાં સદ્બુદ્ધિ આવે છે
દેવાધિદેવ મહાદેવની આરાધનાનો મહિનો શ્રાવણ શરૂ થઇ રહ્યો છે. શ્રાવણને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આ વખતે અધિક મહિનો હતો જે પૂર્ણ થતાની સાથે જ શિવજીની આરાધનાનો અવસર શરૂ થયો છે. શિવજીના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે. શું તમે જાણો છો કે શા માટે શિવાલયમાં શિવલિંગ સામે નંદી બિરાજમાન હોય છે અને નંદીનાં દર્શન કર્યાં પછી તેમનાં શિંગડાંઓનો સ્પર્શ કરીને માથે હાથ લગાવવાનું શું વિધાન હોય છે.
જ્યારે આપણે શિવમંદિરમાં જઈએ ત્યારે ત્યાં પોઠિયા એટલે કે નંદીનાં દર્શન આપણે જરૂર કરીએ છીએ, પરંતુ દરેકને એક પ્રશ્ન જરૂર થાય કે શિવાલયની બહાર નંદીની પ્રતિમા શા માટે રાખવામાં આવે છે? કદાચ એવો વિચાર આવે કે મહાદેવનું વાહન નંદી હોવાથી નંદીની પ્રતિમા શિવાલયમાં હોય છે. આ વાત સાચી કે નંદી હંમેશાં માતા પાર્વતી અને શિવજીની સાથે જ રહે છે. જ્યાં શિવ હોય ત્યાં નંદી અવશ્ય હોય છે, પરંતુ તેની પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે. જેમાં નંદી કેમ અને કેવી રીતે શિવજીની સવારી બન્યા તે પણ જણાવાયું છે.
શું છે પૌરાણિક કથા?
શિલાદ મુનિએ બ્રહ્મચારી થઈ ગયા પછી વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી. મુનિ યોગ અને તપ વગેરેમાં વ્યસ્ત રહેવાને કારણે ગૃહસ્થાશ્રમ અપનાવવા નહોતા માગતા. શિલાદ મુનિએ સંતાનની કામનાથી ઈન્દ્ર દેવને તપ કરીને પ્રસન્ન કર્યાં અને જન્મ તથા મૃત્યુહીન પુત્રનું વરદાન માગ્યું, પરંતુ ઇન્દ્ર દેવે વરદાન આપવામાં અસમર્થતા દર્શાવતા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું.
ભગવાન શંકર શિલાદ મુનિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં શિલાદના પુત્ર રૂપમાં પ્રગટ થવાનું વરદાન આપ્યું અને નંદી રૂપમાં તેઓ પ્રગટ થયા. ભગવાન શંકરના વરદાનથી નંદી મૃત્યુના ભયથી મુક્ત, અજર-અમર અને સુખી થઈ ગયા. ભગવાન શંકરે ઉમાની સંમતિથી સંપૂર્ણ ગણો તથા વેદો સમક્ષ ગણોના અધિપતિ તરીકે નંદીનો અભિષેક કરાવ્યો. આ રીતે નંદી નંદીશ્વર થઈ ગયા. પછી મરુતોની પુત્રી સુયશાની સાથે નંદીના વિવાહ થયા. ભગવાન શંકરે નંદીને વરદાન આપ્યું કે જ્યાં નંદીનો નિવાસ હશે ત્યાં મારો પણ નિવાસ હશે. ત્યારથી દરેક શિવાલયોમાં શિવજીની સામે નંદીની સ્થાપના અવશ્ય કરવામાં આવે છે.
નંદીનાં દર્શનનું મહત્ત્વ
નંદીનાં નેત્ર હંમેશાં પોતાના ઈષ્ટનું સ્મરણ રાખવાનાં પ્રતીક છે, કારણ કે નેત્રોથી જ તેમની છબી મનમાં વસે છે અને અહીંથી જ ભક્તિની શરૂઆત થાય છે. નંદીનાં નેત્ર આપણને એ શીખવે છે કે જો ભક્તિની સાથે મનુષ્યમાં ક્રોધ, અહમ તથા દુર્ગુણોને પરાજિત કરવાનું સામર્થ્ય ન હોય તો ભક્તિનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. નંદીનાં દર્શન કર્યાં પછી તેમનાં શિંગડાંઓનો સ્પર્શ કરીને માથે હાથ લગાવવાનું વિધાન છે. આ સિવાય મુઠ્ઠી વાળીને તર્જની તથા કનિષ્ઠિકા આંગળી ખુલ્લી રાખીને તેને બંને શિંગડાં પર મૂકીને તેમાંથી શિવજીનાં દર્શન કરવામાં આવે છે.
કહેવાય છે કે આમ કરવાથી નંદીને આપણે શિવજીની દૃષ્ટિએ જોઈ શકીશું. નંદીનાં દર્શન કરવાથી મનુષ્યમાં સદ્બુદ્ધિ આવે છે, વિવેક જાગ્રત થાય છે. નંદીનાં શિંગડાં બીજી બે વાતોનાં પ્રતીક છે. તે છે જીવનમાં જ્ઞાન અને વિવેકને અપનાવવો. નંદીના ગળામાં એક સોનેરી ઘંટડી હોય છે. જ્યારે તેનો અવાજ આવે છે તો તે મનને ખૂબ જ મધુર લાગે છે. ઘંટડીની મધુર ધૂનનો અર્થ છે કે નંદીની જેમ જ જો મનુષ્ય પણ ભગવાનની ધૂનમાં રમ્યા કરે તો જીવનયાત્રા બહુ સરળ થઈ જશે.
નંદી પવિત્રતા, વિવેક, બુદ્ધિ અને જ્ઞાનના પ્રતીક છે. તેમની દરેક ક્ષણ શિવજીને જ સમર્પિત છે અને મનુષ્યને એ જ શિક્ષા આપે છે કે તે પણ પોતાની દરેક ક્ષણ પરમાત્માને અર્પણ કરતો રહે તો તેનું ધ્યાન ભગવાન રાખશે. તેથી હવે શિવાલયમાં જાઓ ત્યારે નંદીનાં દર્શન કરવાનું ન ભૂલતા. જો તમે નંદીને ખુશ કરશો તો શિવજી પણ ખુશ થશે અને હંમેશાં તમારા પર કૃપાદૃષ્ટિ વરસાવતા રહેશે.